પાટણ શહેરના પદ્મનાભ રોડ પર આવેલ કેશવ પ્રાઇમ ફ્લેટ નજીક જીવરાજ પાર્ક સોસાયટી અને ભોલેનાથ સોસાયટી વચ્ચે આવેલા કેનાલ ચાર રસ્તા વિસ્તારમાં અસહ્ય ગંદકી, મચ્છરો અને દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ જતાં સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ તાજેતરમાં કેનાલ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સફાઈ બાદ ચાર રસ્તા પાસે પાળી બનાવી દેતાં કેનાલનું પાણી બંને બાજુ અટકી ગયું છે. પરિણામે ગંદુ પાણી સ્થિર થઈ જતાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને આસપાસના વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે.
રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે ચોમાસાની શરૂઆત પહેલા જ આવી સ્થિતિ સર્જાતાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના ચેપી રોગચાળાનો ખતરો ઊભો થયો છે.
વિસ્તારના નાગરિકોએ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા પ્રમુખશ્રીને તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ અટવાયેલું પાણી દૂર કરવા, સફાઈ કામગીરી હાથ ધરવા અને મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ સહિતના જરૂરી પગલાં લેવા માંગ કરી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જો સમયસર કાર્યવાહી નહીં કરવામાં આવે તો જાહેર આરોગ્ય માટે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે.
The Gujarat Live News અહેવાલ: વિપુલભાઈ ચૌધરી રાધનપુર
