મેડિકલ સાયન્સમાં ક્યારેક એવા કિસ્સા બને છે જે વર્ષો જૂની આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિની તાકાતનો પુનઃ પરિચય કરાવે છે. ગુજરાતમાં ‘મોયા મોયા’ નામની અત્યંત દુર્લભ બીમારીનો પ્રથમ કિસ્સો પાટનગરમાં સામે આવ્યો છે. છેલ્લાં આઠ વર્ષથી પથારીવશ અને લાખો રૂપિયાના ખર્ચ બાદ પણ અસહાય બનેલા યુવાનને ગાંધીનગરની સરકારી આયુર્વેદ હોસ્પિટલના પંચકર્મ નિષ્ણાત ડૉ. રાકેશ ભટ્ટે માત્ર 35 દિવસની સારવારમાં પોતાના પગે ચાલતો કરી દીધો છે. દીકરાની સારવાર માટે પિતાએ લાખો રૂપિયા ખર્ચી નાખ્યા
ગાંધીનગરના સેક્ટર-26માં રહેતા અને કલોલની અરવિંદ મિલમાં નોકરી કરતા દિલીપસિંહ બિહોલાના પુત્ર હર્ષને વર્ષ 2016માં પ્રથમ વખત સ્ટ્રોક આવ્યો હતો. જે બાદ 2018માં બીજા સ્ટ્રોકે તેને સંપૂર્ણપણે પથારીવશ કરી દીધો હતો.પિતાએ દીકરાને સ્વયંભૂ પગભર માટે ગાંધીનગર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીના નામાંકિત તબીબોના ઉંબરા ઘસ્યા હતા.ત્યારે તપાસમાં બહાર આવ્યું કે હર્ષ ‘મોયા મોયા’ જેવી જટિલ બીમારીથી પીડિત છે. આ બીમારીની સારવાર માટે નાભિમાં 18 હજારની કિંમતના મોંઘા ઇન્જેક્શનો અને ભારે એન્ટીબાયોટિક્સ પાછળ પિતાએ પોતાની આજીવન જમાપુંજી અને નોકરીના નાણાં મળીને અંદાજે 40 થી 50 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. પરિવારે એલોપેથી સારવાર કરાવ્યા બાદ આયુર્વેદિક સારવાર કરાવવાનો નિર્ણય કર્યો. ત્યારે પિતા હર્ષને લઈને સેક્ટર-22ની સરકારી આયુર્વેદ હોસ્પિટલના વૈધ ડૉ. રાકેશ ભટ્ટ પાસે પહોંચ્યા હતા .ડૉ. ભટ્ટે હર્ષની નાડી તપાસીને આયુર્વેદિક પદ્ધતિથી નિદાન કર્યું અને પંચકર્મ ચિકિત્સા શરૂ કરી હતી .માત્ર 35 દિવસની સઘન સારવાર અને તે પણ તદ્દન મફત, જેનું પરિણામ આજે નજર સામે છે. હર્ષ જે બે વ્યક્તિના ટેકા વગર ઊભો થઈ શકતો નહોતો, તે આજે 70 ટકા જેટલો સ્વસ્થ થઈ હોસ્પિટલના કોરિડોરમાં જાતે હરતો-ફરતો થયો છે. મોયા મોયા બીમારી શું છે?
મોયા મોયા એ રક્તવાહિનીઓને લગતી અત્યંત દુર્લભ બીમારી છે. જાપાનીઝ ભાષામાં તેનો અર્થ ‘ધુમાડાના ગોટા’ જેવો થાય છે. આ રોગમાં મગજને લોહી પહોંચાડતી મુખ્ય નળીઓ બ્લોક થઈ જાય છે.જેના કારણે મગજ પોતાનો રસ્તો બનાવવા નાની નાની અસંખ્ય રક્તવાહિનીઓ વિકસાવે છે, જે એક્સ-રે કે સ્કેનિંગમાં ધુમાડા જેવી દેખાય છે. આ સ્થિતિમાં દર્દીને વારંવાર સ્ટ્રોક આવવા, લકવો મારવો અથવા માનસિક ક્ષમતા ઘટવા જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે આ રોગ જાપાન અને કોરિયામાં વધુ જોવા મળે છે. ભારતમાં તેના કેસ જૂજ હોય છે. આયુર્વેદે મારા દીકરાને નવજીવન આપ્યું- દિલીપસિંહ બિહોલા
આ અંગે હર્ષના પિતા દિલીપસિંહે જણાવ્યું કે, ડૉ. રાકેશ ભટ્ટ અમારા માટે દેવદૂત સાબિત થયા છે. જે બીમારી માટે અમે લાખો રૂપિયા હોમી દીધા અને આશા છોડી દીધી હતી, ત્યાં આયુર્વેદે મારા દીકરાને નવજીવન આપ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે બાકીની સારવાર પૂર્ણ થતા મારો હર્ષ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે. આયુર્વેદની સારવારથી હર્ષ 8 મહિના બાદ ચાલતો થયાનો દાવો
આ અંગે સેકટર 22 ની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં પંચકર્મ નિષ્ણાત વૈધ રાકેશ ભટ્ટે જણાવ્યું કે,મોયા મોયા…રોગનો આ ત્રીજો કેસ અહીં આવ્યો છે.પેલા દિલ્હીના બે દર્દીઓને સારવાર અપાઈ હતી. તો ગુજરાતનો આ પ્રથમ કેસ હર્ષ બિહોલાનો છે. મોયા મોયા બહુ દુર્લભ થતો રોગ છે અને ભારતમાં તો ખૂબ જ ઓછા લોકોને થાય છે. મોટાભાગે આ જાપાન, કોરિયા, ચીન ત્યાં થતો હોય છે. નાના બાળકો અને 40 વર્ષથી ઉપરના જે લોકો હોય છે એ લોકોને આ રોગ થવાની શક્યતા વધારે હોય છે.તો જ્યારે પણ હર્ષરાજ અહીં આવ્યો ત્યારે એના સિમ્ટોમ્સમાં એની વિચારશક્તિ વધારે નહોતી, યાદશક્તિ વધારે નહોતી, બેલેન્સ રાખી નહોતો શકતો, એકાગ્રતાનો અભાવ હતો, ચાલવામાં એને તકલીફ પડતી હતી. ખેંચ પણ આ રોગમાં આવી શકે છે વારંવાર. એનું કારણ છે કે એની અંદર જે રક્તવાહિનીઓ છે એ સાંકડી થતી જાય છે, નેરો થતી જાય છે અને કેટલીક જગ્યાએ બ્લોકેજ પણ રક્તવાહિનીઓમાં થતું હોય છે. એટલે જે રક્તનું પરિભ્રમણ શરીરમાં થવું જોઈએ, જે ઓક્સિજન શરીરના બધા અંગોમાં પહોંચવો જોઈએ, એ પૂરતો પહોંચી શકતો નથી. એને કારણે ખેંચ, ખાલી ચડવી એટલે કે હાથ પગમાં શૂન્યતા, નબળાઈ આ બધું આ રોગમાં થઈ શકતું હોય છે. આના નિદાન માટે MRI, MRA કે સેરેબ્રલ એન્જીયોગ્રાફી એ બધું થતું હોય છે. એ બધું જ એણે કરાવ્યું હતું અને આજે એના પપ્પા કહે છે કે 40 થી 50 લાખ રૂપિયાનો આજ સુધીમાં એમનો ખર્ચો થયો હતો. વારંવાર થતો આ ડિસીઝ આયુર્વેદમાં તો એને અસાધ્ય રોગોમાં ગણતરી કરી છે, પણ નોર્મલ લાઈફ સાથે તમે જીવી શકો છો. આપણે એ જ પ્રયત્ન કર્યા છે અને એનું પરિણામ આજે 70 થી 80 ટકા આપણને જણાઈ રહ્યું છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!