હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, પોર્ટ પર LC 3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે. ગતરોજ પડેલા ભારે વરસાદ, નદીઓમાં પાણીનો વધારો અને આજની ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા કલેક્ટરે નિર્ણય કર્યો છે. કે. જી.થી લઈને ધો.12 સુધીના તમામ વિદ્યાર્થીઓને માટે રજા જાહેર કરાઈ છે. 5 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમના સિઝનમાં પહેલીવાર 23 દરવાજા 2.50 મીટર ખોલવામાં આવ્યા હતાં. મોટીમાત્રામાં પાણી છોડાતા નર્મદામૈયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. નર્મદા નદી બે કાંઠે વહેતી ચાણોદના મલ્હાર રાવ ઘાટના 95 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ સાથે જ નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને 27 ગામોને એલર્ટ પર મુકવાની ફરજ પડી હતી. આવતી કાલે એટલે કે, 7 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બાકીના અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ અપાયું છે. (5 સપ્ટેમ્બરના વરસાદની પળેપળની અપડેટ)
