સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું છે. ગૌશાળામાં સંગ્રહિત મોટાપાયે સુકો ઘાસચારો પળવારમાં જ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોરડા ગામે આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ગૌશાળામાં સંગ્રહિત મોટા પ્રમાણમાં સુકો ઘાસચારો પળવારમાં આગની ઝપેટમાં આવી જતાં બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનાને કારણે ગૌશાળાના સંચાલકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
મળતી માહિતી મુજબ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પશુઓ માટે રાખવામાં આવેલો ઘાસચારો સંપૂર્ણપણે સળગી ગયો હતો. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા, જેને કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો અને ગૌ સેવકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.ગૌ સેવકો દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા પ્રયત્નો બાદ આગને સંપૂર્ણપણે બુઝાવવામાં સફળતા મળી હતી. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈપણ પશુને જાનહાનિ થઈ નથી, જેના કારણે ગૌશાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે.
પરંતુ આગના કારણે ગૌશાળામાં રાખવામાં આવેલો ઘાસચારો સંપૂર્ણપણે નષ્ટ થયો છે તેમજ ઘાસચારો કાપવાનું કટર મશીન પણ બળી ને ખાખ થઈ ગયું છે. પ્રાથમિક અંદાજ મુજબ આ આગમાં આશરે 2 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.આગ લાગવાના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. ગૌશાળા જેવી સંવેદનશીલ જગ્યાએ આવી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ માહિતી મેળવવાના પ્રયાસો ચાલુ છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
