હોસ્ટેલમાં ડેન્ગ્યુ-મેલેરિયા જેવી ગંભીર બીમારી ફેલાશે તો જવાબદાર કોણ? સંચાલકોની ઘોર બેદરકારી સામે ઉઠ્યા સવાલો

બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલી જાણીતી રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતા નિર્દોષ વિદ્યાર્થીઓ હાલ ગંભીર હાલાકીનો સામનો કરી રહ્યા છે. હોસ્ટેલ પરિસરમાં મચ્છરોના અસહ્ય ત્રાસને કારણે વિદ્યાર્થીઓનું આરોગ્ય જોખમમાં મુકાયું છે. રાત-દિવસ મચ્છરોના ડંખથી પીડાતા બાળકોના પગ તેમજ શરીર પર મોટા-મોટા ગુમડાં અને લાલ ચકામા થઈ ગયા છે. શિક્ષણ અને સુવિધાના નામે વાલીઓ પાસેથી ઊંચી ફી વસૂલતા શાળા પ્રશાસનની આ ઘોર બેદરકારીને પગલે વાલી વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો છે.
સતત મચ્છર કરડવાથી હોસ્ટેલના વિદ્યાર્થીઓના પગમાં અસહ્ય ખંજવાળ, લાલ સોજા અને પરુ ભરેલા ગુમડાં થઈ ગયા છે, જેના કારણે બાળકો રાત્રે શાંતિથી ઊંઘી પણ શકતા નથી. હાલની ઋતુમાં મચ્છરોના ઉપદ્રવથી ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા જીવલેણ તાવ ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. હોસ્ટેલના રૂમો અને કેમ્પસમાં નિયમિત ફોગિંગ, પેસ્ટ કંટ્રોલ કે યોગ્ય મચ્છરદાનીની કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી.પોતાના વ્હાલસોયા સંતાનોને સારા શિક્ષણની આશાએ ભાભરની આ હોસ્ટેલમાં મૂકનારા વાલીઓ હવે ચિંતામાં મુકાયા છે. વાલીઓમાં ચર્ચાતો મુખ્ય સવાલ એ છે કે: “જો મચ્છરજન્ય ઉપદ્રવને કારણે કોઈ બાળક ગંભીર બીમારીનો ભોગ બનશે કે કોઈ અનિચ્છનીય ઘટના ઘટશે, તો તેની જવાબદારી રાધે સ્કૂલનું મેનેજમેન્ટ લેશે કે કેમ?
સમગ્ર હોસ્ટેલ પરિસર અને વર્ગખંડોમાં તાત્કાલિક અસરથી જંતુનાશક દવાનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવે.
પીડિત તમામ વિદ્યાર્થીઓની સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તાત્કાલિક મેડિકલ તપાસ કરાવી યોગ્ય દવા-સારવાર આપવામાં આવે.
હોસ્ટેલની બારી-બારણાં પર યોગ્ય મચ્છરજાળી લગાવવામાં આવે.
તાલુકા આરોગ્ય વિભાગ અને શિક્ષણ તંત્ર તાકીદે શાળાની મુલાકાત લઈ તપાસ હાથ ધરે.
જો શાળા સંચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય સુધારાત્મક પગલાં નહીં લેવાય, તો વાલીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
The Gujarat Live News રિપોર્ટ પ્રવિણભાઇ કાંકરેજ
