ધારાસભ્ય વી.ડી. ઝાલાની આંશિક ઉપસ્થિતિથી રહીશોમાં ખુશીનો માહોલ, સોસાયટીના પ્રશ્નો ઉકેલવાની ખાતરી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારના વોર્ડ નંબર-11માં આવેલી ચિત્રકૂટ સોસાયટી ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સોસાયટીના પ્રમુખ દિલીપભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપપ્રમુખ બળવંતભાઈ નાયી, મંત્રી મુકેશસિંહ રાઠોડ, ખજાનચી મહાવીરસિંહ રહેવર સહિત કારોબારી સભ્યો હેમંતભાઈ રામી, મહેન્દ્રભાઈ દેસાઈ, મહેન્દ્રસિંહ વાઘેલા, રમેશભાઈ પટેલ, શૈલેષભાઈ શુક્લ, બ્રિજેશભાઈ પટેલ, બાલુસિંહ પરમાર, રમેશભાઈ દેસાઈ, ખોડાભાઈ પટેલ, પાર્થભાઈ તથા મહિપાલસિંહ રાજપરમાર સહિતના આગેવાનો અને રહીશો જોડાયા હતા.
આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ધારાસભ્યની આંશિક ઉપસ્થિતિથી સોસાયટીના રહીશોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ધારાસભ્ય વી.ડી. ઝાલાએ પોતાના સંબોધનમાં સોસાયટીના રહીશોને ખાતરી આપતાં જણાવ્યું હતું કે વિસ્તારની કોઈપણ સમસ્યા હોય તેના નિરાકરણ માટે તેઓ જવાબદારીપૂર્વક પ્રયાસ કરશે. નગરપાલિકા સંબંધિત નવા કે જૂના વિકાસકામોને વેગ આપી પૂર્ણ કરાવવા માટે જરૂરી સહયોગ આપવાની પણ તેમણે ખાતરી આપી હતી.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે સોસાયટીમાં ધાર્મિક ભાવના સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રહીશોએ એકબીજાને જન્માષ્ટમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને નાસ્તા સહિતની વ્યવસ્થા સાથે સમગ્ર કાર્યક્રમને આનંદ અને ઉત્સાહભેર ઉજવ્યો હતો. સમગ્ર આયોજન દરમિયાન સોસાયટીમાં ભક્તિ અને હર્ષોલ્લાસનો માહોલ છવાયો હતો.
The Gujarat Live News બ્યુરો ચીફ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
