રાઘવ મિત્ર મંડળના આયોજનમાં દાંડિયા રાસ સાથે કૃષ્ણભક્તિનો માહોલ છવાયો

સાંતલપુર તાલુકા ના જાખોત્રા ગામમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુ યુવા ભાઈઓના રાઘવ મિત્ર મંડળ દ્વારા આયોજિત ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
જન્માષ્ટમીના પર્વ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં જાણીતા કલાકાર દયારામ ઠાકોરના સંગીતના તાલે દાંડિયા રાસ યોજાયો હતો. દાંડિયાના તાલે યુવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લેતા સમગ્ર ગામમાં ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પ્રસંગે નંદના નાદ અને જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તિ અને આનંદના સંગમ વચ્ચે ગ્રામજનોએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનો માટે જમણવાર તથા પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. સૌએ પ્રસાદ ગ્રહણ કરી પર્વની ઉજવણીમાં સહભાગી બની આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે ગામના સરપંચ રામજીભાઈ સહિત આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રે સહયોગ આપનાર આગેવાનોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
રાઘવ મિત્ર મંડળના આયોજન અને ગ્રામજનોના સહયોગથી યોજાયેલો આ કાર્યક્રમ ધાર્મિક ભાવના, સામાજિક એકતા અને યુવાનોના ઉત્સાહનું સુંદર ઉદાહરણ બની રહ્યો હતો. સમગ્ર જાખોત્રા ગામમાં કૃષ્ણ જન્માષ્ટમીનો પર્વ હર્ષોલ્લાસ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
