બોટાદ અને તેનાથી 6 કિલોમીટર દૂર આવેલા હડદડ ગામમાં પાંચ દિવસથી એક મુદ્દો ચગ્યો છે. એ છે કડદાનો મુદ્દો. કડદાનો મુદ્દો શું છે તે આગળ સમજાય જશે પણ આ કડદાના કારણે બોટાદ અને હડદડ ગામ સળગ્યાં. આ વિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા છે રાજુ કરપડા. તેણે ખેડૂતોને હાકલ કરી કે ખેડૂતો સાથે છેતરપિંડી થઈ રહી છે. આ નહિ ચલાવી લેવાય. આ હાકલ સાથે તેણે ખેડૂતોની મહાપંચાયત બોલાવી. આ મહાપંચાયત થાય તે પહેલાં જ ટોળાંએ પોલીસ વાહનોમાં તોડફોડ કરી, પથ્થરમારો થયો અને પોલીસે પણ ટીયર ગેસના સેલ છોડ્યા. 65 લોકોને દબોચી લીધા. આ બધું થયા પછી કદડાનો મુદ્દો રાખના ઢગલા જેવો છે. ઉપરથી ભલે ઠંડો લાગે પણ અંદરથી હજી ચિનગારી સળગી રહી છે. પહેલા આ બે તસવીરો જુઓ, 12 ઓક્ટોબરે હડદડ ગામમાં ઘર્ષણ થયું હતું… આમ આદમી પાર્ટીના નેતા કરપડાએ ત્યારે કહેલું કે પોલીસે મહાપંચાયતની મંજૂરી ન આપી. તો પોલીસે ત્યારે મીડિયાને એવું કહેલું કે મહાપંચાયતનું આયોજન કરવા મંજૂરી માગી જ નહોતી. અત્યારે સ્થિતિ એવી છે કે રાજુ કરપડા અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. પોલીસ શોધી રહી છે. ભાસ્કર હકીકત જાણવા બોટાદમાં ગ્રાઉન્ડ પર પહોંચ્યું છે. આજના ગ્રાઉન્ડ રિપોર્ટમાં જણાવીશું કે, આ સમગ્ર કડદાનો મુદ્દો શું છે? તેની શરુઆત ક્યાંથી થઈ? ખેડૂતોની શું માંગ છે? જે લોકોને પોલીસ ઉઠાવીને લઈ ગઈ તેમના પરિવારજનો શું કહી રહ્યા છે? યાર્ડના લોકો શું કહી રહ્યા છે? અને ખેડૂતોની સ્થિતિ પણ જાણીશું. કડદાનો સમગ્ર મુદ્દો કેવી રીતના ઉઠ્યો?
બોટાદમાં સોશિયલ મીડિયામાં એક ખેડૂતનો વીડિયો ફરતો થયો આ વીડિયો હતો કપાસમાં થતા કડદાનો એટલે કે ખેડૂત તેમનો કપાસ માર્કેટીંગ યાર્ડમાં લઈ જાય. જ્યાં હરાજી સમયે નક્કી કરેલા ભાવ કરતા જીન (ગોડાઉન)માં ઓછો ભાવ આપવામાં આવે. આ વીડિયો વાયરલ થયા બાદ બોટાદ અને તેની આસપાસના કપાસના ખેડૂતોમાં રોષ ફેલાયો અને મુદ્દો પકડી લીધો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ.. 9-10 ઓક્ટોબરના રોજ રાજુ કરપડા પોતે ટેમ્પો ચલાવીને 15 મણ કપાસ લઈને બોટાદના માર્કેટીંગ યાર્ડમાં પહોંચી ગયા. અહીંયા તેમની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ હતા. ભારે ભીડવાળા ખેડૂતોના વીડિયો સોશિયલ મીડિયામાં વહેતા થયા અને 12 ઓક્ટોબર રવિવારના દિવસે મહાપંચાયતનું આયોજન કરાયું. આ આયોજન બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કરાયું હતું પરંતુ પોલીસ પરવાનગી ન આપતા હડદડ ગામમાં આયોજન કરવું પડ્યું. કડદો એટલે શું?
ખેડૂતનો માલ પહેલા સવારમાં યાર્ડમાં આવે અહીં બધા એજન્ટો અને વેપારીઓ હોય છે. ટેમ્પોમાં કે ટ્રેક્ટરમાં બહારથી માલ પહેલા વેપારી જોવે છે અને હરાજી બોલાય છે. દાખલા તરીકે હરાજીમાં કોઈ એક ખેડૂતને કપાસના એક મણના 1500 રુપિયા નક્કી થાય તો તે ખેડૂતનો માલ જે તે વેપારીના જીન એટલે કે ગોડાઉન પર મોકલાય છે. અહીં કપાસના બીમાંથી તેલ, ફૂલમાંથી રૂ, પશુનો ખોરાક ખોળ બધું અલગ બને છે. બાદમાં ત્યાં માલ ઉતારવામાં આવે ત્યારે ગોડાઉન પર હાજર વેપારીના માણસો ટેમ્પા કે ટેક્ટરની અંદરનો માલ જોવે તો તે ભેજ વાળો કે ખરાબ નીકળે છે. તો પછી તેનો ભાવ ઓછો થઈ જાય છે. 1500 રુપિયા મણ નક્કી કરેલો ભાવ 1300 કે 1400 થઈ જાય છે. જેને કડદો કહેવાય છે. ભાસ્કરની ટીમ બોટાદના એ હડદડ ગામમાં પહોંચી જ્યાં પોલીસ પર પથ્થરમારો થયો હતો. અહીં પહોંચતાં જોયું તો અજંપાભરી શાંતિ હતી. થોડો કર્ફયૂ જેવો માહોલ હતો. પોલીસનો ભારે બંદોબસ્ત હતો. પોલીસ પર પથ્થરમારો થયા બાદ પોલીસ ગામમાં રહેતા ઘરમાંથી કેટલાક નિર્દોષ લોકોને પણ ઉઠાવીને લઈ ગઈ છે. તેવો સ્થાનિકોનો આક્ષેપ છે. તેમાં અમે એવા પરિવારને મળ્યા જેમાં વર્ષાબેન કે જેમના પતિ શામજીભાઈને પોલીસ ઉઠાવીને લઈ ગઈ છે. અમે તેમને મળ્યા તો તેમણે અમને જણાવ્યું કે, રવિવારની રજા હોવાથી હું મારા પતિ અને અમારા બે છોકરા ઘરે હતા. અમને ખબર પણ નહોતી કે અહીં આવી કોઈ સભા ભરાવાની છે. મારા ઘરવાળા તો ઘરમાં સૂતા હતા ત્યારે અચાનક 10-12 પોલીસવાળા અમારા ઘરમાં આવ્યા અને બધું ચેક કરવા લાગ્યા. અમારા ઘરના બધા રુમ, સંડાસ, બાથરુમ બધી જગ્યાએ જોયું તો અમારા ઘરમાંથી કોઈ મળ્યું નહીં. પછી મારા ઘરવાળાને કહ્યું કે, આ ભાઈને સહી કરવા પોલીસ સ્ટેશન લઈ જવાના છે. પોલીસવાળા મારા ઘરવાળાને સહી કરવાના બહાને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. અન્ય એક નિલેશભાઈ જેમને પોલીસ ઉઠાવીને લઈ ગઈ તેમનાં પત્ની સોનલબેનને અમે મળ્યા તો તેમણે કહ્યું કે, અમે રવિવારે હીરાનું કામ કરવા ગયા હતા. અમારા ઘરની સામે જ આ બધો બનાવ બન્યો હતો. અમને ગામમાંથી ફોન આવ્યો ત્યારે અમને ખબર પડી. પછી અમે અમારા છોકરાને વીડિયો કોલ કર્યો તો તે રડવા લાગ્યો. એટલે અમે તાત્કાલિક દોડીને ઘરે આવ્યા તો રસ્તામાં પોલીસે રોક્યા. જવા નહોતા દેતા. અમે કહ્યું કે, અમારું ઘર અંદર છે. છોકરાંલ રોવે છે એટલે અંદર આવવા દીધા. પછી અમે ઘરે આવ્યા અને થોડીવાર રહીને પોલીસ ઘરમાં આવી. મારા ઘરવાળાને કહ્યું કે, તમે સાથે ચાલો સહી કરવાની છે, એવું કહીને મારા ઘરવાળાને લઈ ગયા. પોલીસકર્મીઓ મને જેમ તેમ બોલવા લાગ્યા. જ્યારે બનાવ બન્યો ત્યારે તો મારા ઘરવાળા મારી સાથે હીરાના કારખાને હતા તેના પુરાવા પણ અમારી પાસે છે. અમારા બે છોકરા છે તેમને તાવ આવ્યો છે. અમે રવિવારના બનાવ બન્યો ત્યારના ખાધા વગરના બેઠાં છીએ. અમને કંઈ ખબર નથી પડતી કે શું કરીએ. બોટાદના ખસ ગામના કપાસની ખેતી કરતા ખેડૂત કરણસિંહ ચાવડા સાથે ભાસ્કરે વાતચીત કરી. તેમણે વ્યથા જણાવતાં કહ્યું કે, ખેડૂતો શાંતિથી આંદોલન કરતા હતા, પરંતુ તેમાં રાજકીય છેડછાડ કરવામાં આવી. મારે 35 વીઘા જમીન છે. જેમાં અમે કપાસની ખેતી કરીએ છીએ. દિવાળી માથે છે અમારે મજૂરોને રુપિયા ચૂકવવાના હોય છે એટલે હાલમાં કડદો થતો હોય તો પણ અમારે મજબૂરીમાં માલ આપી દેવો પડે છે. મોટાભાગના બધા જ ખેડૂતો સારામાં સારો કપાસ લઈને જ યાર્ડમાં જાય છે. કદાચ 5-10 ટકા એવું બને કે ખરાબ કપાસ આવી ગયો હોય. તે પણ કંઈ બધો ખરાબ નથી હોતો. પરંતુ કોઈને કોઈ બહાને હેઠળ કપાસ ખરાબ છે, ભેજવાળો છે – એવું કહીને કડદો કરવામાં આવે છે. આના કારણે બધા ખેડૂતોએ ભોગવવું પડતું હોય છે. આ કડદાના કારણે ખૂડેતો હેરાન થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલાં 400 રુપિયા મણ કપાસ વેચાતો હતો. તે સમયે 400 રુપિયાની આસપાસ જ DAPની એક થેલી મળતી હતી. હાલમાં 1200-1300 રુપિયા મણ કપાસનો ભાવ થયો છે પરંતુ સામે DAP યુરીયાની થેલીના ભાવ 1700-1800 રુપિયા થઈ ગયા છે. હવે આમાં અમારા જેવા ખેડૂતોને કેમનું પોસાય? હાલમાં સરકાર ટેક્સ ડ્યુટી હટાવીને બહારથી DAP યુરિયા આયાત કરે છે. જો આ યુરિયા બહારથી આયાત ન કરવું પડયું હોત તો ખેડૂતોને કપાસના 1 મણના બે હજાર રુપિયાની આસપાસ મળી રહેત અને ખેડૂતોને પોસાય પણ ખરા. ખેતી કરવાની દવામાં અને ખાતરના ભાવ વધતા હાલમાં મોંઘવારી પણ વધતી જાય છે. સરકાર પાક વીમા હેઠળ એક હેક્ટર દીઠ 6 હજાર રુપિયાની સહાય કરે છે. મોટું નુકસાન થયું હોય તો આ 6 હજારમાં અમારું શું પૂરું થાય? કડદાને લઈને માર્કેટીંગ યાર્ડ લેખિતમાં કોઈ બાંયધરી નથી આપતું, પણ કીધું છે ખરૂં કે, કોઈ પણ વેપારી કડદો કરશે તો તેનું લાયસન્સ રદ કરવામાં આવશે. કંઈક ને કંઈક આમાં રાજકારણ સંડોવાયેલું છે. જો તમામ ખેડૂતો ખરાબ કપાસ લઈને માર્કેટીંગ યાર્ડમાં જતા હોય તો આટલી મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા જ ન થાય. હાલમાં ખેડૂત એટલો હેરાન અને પરેશાન છે, દેવામાં ડૂબેલો છે કે પ્રાઈવેટ સ્કૂલમાં છોકરા ભણાવી નથી શકતા. સરકાર અમારી વ્યથા સમજતી નથી. અમે બોટાદના એ માર્કેટીંગ યાર્ડમાં પણ ગયા કે જ્યાં કડદાના આક્ષેપો થઈ રહ્યા છે. બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન મનહર માતરિયાને મળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમના પિતાનું અવસાન થયું હોવાથી તેઓ ન મળી શક્યા. જેથી અમે માર્કેટીંગ યાર્ડના ડીરેક્ટર દીયાળભાઈને મળ્યા. જેમણે અમને કડદા વિશે, ખેડૂતો વિશે અને વેપારીઓ વિશે વિસ્તારમાં વાત કરી અને કહ્યું કે, કોઈપણ માલફેર હોય તો તેનો ભાવફેર થાય. ચોમાસું હજી હમણા જ પૂરું થયું છે. ચોમાસાના કારણે કોઈ ખેડૂતનો કપાસ ભેજ વાળો હોય તો તેને ઓછો ભાવ મળે છે. ખેડૂત નો માલ પહેલા સવારમાં યાર્ડમાં આવે અહીં બધા એજન્ટો અને વેપારીઓ હોય છે. ટેમ્પોમાં કે ટ્રેક્ટરમાં બહારથી માલ પહેલા વેપારી જોવે છે અને હરાજી બોલાય છે. દાખલા તરીકે હરાજીમાં કોઈ એક ખેડૂતને કપાસના એક મણના 1500 રુપિયા નક્કી થાય તો તે ખેડૂતનો માલ જે તે વેપારીના જીન એટલે કે ગોડાઉન પર મોકલાય છે. અહીં કપાસમાંથી તેલ, રુ, ખોળ બધું અલગ પડે છે. બાદમાં ત્યાં માલ ઉતારવામાં આવે ત્યારે ગોડાઉન પર હાજર વેપારીના માણસો ટેમ્પા કે ટેક્ટરની અંદરનો માલ જોવે તો તે ભેજવાળો કે ખરાબ નીકળે છે. તો પછી તેનો ભાવ ઓછો થઈ જાય છે. 1500 રુપિયા મણ નક્કી કરેલો ભાવ 1300 કે 1400 થઈ જાય છે. પરંતુ જે સારો કપાસ નીકળ્યો હોય તેના તો 1500 રુપિયા લેખે જ મળે છે. ખેડૂત ફરિયાદ કરે તો યાર્ડમાંથી જે તે એજન્ટ ગોડાઉન પર માલ જોવા જાય છે કે, શું ખરેખર માલ ખરાબ છે કે નહીં. ખેડૂત એજન્ટથી પણ સંતુષ્ટ ન થવાય તો યાર્ડનો ઈન્સપેક્ટર ચેક કરવા જાય છે અને જો ચેકીંગમાં થોડો ગણો 5-10 ટકા માલ ખરાબ હોય તો અમે વેપારીને કહીને ખેડૂતનો માલ ઉતારી લઈએ છીએ. જેથી ખેડૂતને નુકસાન ન થાય. અમે ખેડૂતોનું હીત પહેલા જોઈએ છીએ. પરંતુ બધો જ માલ ખરાબ નીકળે તો તે વેપારીને પણ કેમનું પોસાય? 2015માં હાર્દિક પટેલે પાટીદાર આંદોલન કર્યું હતું, તેમ હાલમાં 2025માં AAPના આ રાજુ કરપડાને આંદોલન કરવું છે અને 2027ની વિધાનસભાની ચૂંટણીમાં સત્તા મેળવવી છે. આ રાજુભાઈ ખેડૂતો માટે નથી આવ્યા પોતાના રાજકારણ માટે આવ્યા છે. રાજુભાઈ કડદા વાળા 50 ખેડૂતો શોધી લાવે અમે તેમને 500 ખેડૂતો બતાવીએ વગર કડદાના…. રાજુભાઈ પોતે ટેમ્પો ચલાવીને 15 મણ કપાસ લઈને યાર્ડમાં આવ્યા હતા અને કહ્યું હતું કે, આ કડદાનો માલ છે. રાજુ કરપડાને અહીં બોટાદમાં કોઈ લેવાદેવા નથી. ચોટીલામાં તેમનું જીન (ગોડાઉન) ચાલે છે. જો અહીં બોટાદ માર્કેટીંગ યાર્ડમાં કડદો થાય તો સૌથી પહેલા અમને ખબર પડી જાય. ખરેખર કડદો થતો હોય તો લાખો મણ કપાસ ક્યાંથી આવે? બોટાદના યાર્ડમાં આજુબાજુના જિલ્લા અને તાલુકાના ખેડૂતોનો પણ કપાસ વાવે છે. ગઢડા, બરવાળા, રાણપુર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના ખેડૂતો કપાસ લઈને અહીં બોટાદના માર્કેટીંગ યાર્ડમાં આવે છે. જ્યારે અમારી પાસે રજૂઆત આવી ત્યારે જ અમે વેપારીઓ અને એજન્ટોને બોલાવીને કડક શબ્દોમાં સૂચના આપી દીધી હતી કે, કોઈપણ જાતનો કડદો કરશો તો કોઈપણ નોટિસ આપ્યા વગર સીધું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. હવે આ રાજુ કરપડા લેખિતમાં માંગે છે તો લેખિતમાં કોણ આપે? હાલમાં દિવાળી નજીક છે. ખેડૂતોએ મજૂરોને મજૂરી ચૂકવવાની હોય, ખાતરના અને દવાના રુપિયા કાઢવાના હોય તેવા ટાણે રાજુ કરપડાએ હુરીયો બોલાવીને હરાજી બંધ કરાવી દીધી. છતાં અમે શાંત રહ્યા, તેમને મળવા ગયા અને કહ્યું કે, અમે બધામાં સહમત છીએ. પરંતુ તેમને સમાધાન નહોતું જોઈતું અને ખેડૂતોને કહ્યું કે, તમારો બધો કપાસ અહીં યાર્ડમાં ઉતારી દો. હવે આવું કેવી રીતે શક્ય છે? યાર્ડમાં લાખો મણ કપાસ ઠલવી દેવામાં આવે પછી તેને ભરીને કેવી રીતે ગોડાઉન લઈ જવું? આ શક્ય જ નથી. હડદડ ગામના સ્થાનિક આગેવાન મયુરભાઈએ અમને જણાવ્યું કે, બોટાદ જિલ્લાના હડદડ ગામમાં જે ઘટના બની છે તે બોટાદ જિલ્લા માટે દુ:ખદ ઘટના છે. આમ આદમી પાર્ટી અને તેના નેતા રાજુ કરપડાએ જે મહાપંચાયતનું આયોજન કર્યું હતું તે હડદડ ગામથી અઢી ત્રણ કિલોમીટર દૂર માર્કેટીંગ યાર્ડમાં કર્યું હતું. પરંતુ તે લોકોએ અચાનક સભાનું લોકેશન ચેન્જ કરીને સભા હડદડ ગામમાં યોજી નાખી. આ સભાનું આયોજન જે હડદડ ગામમાં થયું હતું તે ગામના મોટાભાગના લોકો અજાણ હતા કે તેમના ગામમાં આવી કોઈ મહાપંચાયતનું આયોજન થવાનું છે. કદાચ એ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકોને ખ્યાલ હશે કે સભા થવાની છે. અહીં જ્યારે સભા ભરાઈ ત્યારે આસપાના ગામના લોકો અન્ય તાલુકા અને જિલ્લાના લોકો અહીં આવી પહોંચ્યા હતા. સભા ચાલતી હતી ત્યારે ગામના ચોકમાં જ્યાં ગ્રામ પંચાયતની ઓફિસ આવેલી છે ત્યાં પોલીસ આવી અને વાતચીત ચાલતી હતી. પોલીસ લોકોને હટાવવાનો પ્રયાસ કરી રહી હતી એટલામાં કોઈ અસાજિક તત્વોએ પથ્થરમારો શરુ કરી દીધો. આ હુમલાનું કામ આયોજનબદ્ધ તરીકે કરવામાં આવેલું છે. ગામને ખબર જ નથી તો ક્યાંથી તેઓ પથ્થર એકઠા કરે? ખેડૂતોના આ આંદોલનને રાજકીય સ્વરુપ મળતાં આંદોલનને બદનામ કરવાનો કદાચ પ્રયાસ થયો હોઈ શકે છે. સમગ્ર બનાવ મામલે અમે જિલ્લા SP ધર્મેન્દ્ર શર્માને મળ્યા અને સૌથી રાજુ કરપડા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે, સમગ્ર બનાવની FIRમાં રાજુ કરપડા મુખ્ય આરોપી છે. તેમને પકડવા માટે અમે ચક્રો ગતિમાન કર્યા છે. નિર્દોષ લોકો વિશે પૂછતાં કહ્યું કે, અમે કોઈ નિર્દોષ લોકોને નથી પકડ્યા. સભામાં હાજર લોકો હતા, તેમાંથી કેટલાક લોકો ગામના હતા અને તેમાંથી પણ ખાસ કરીને કેટલાક આમ આદમી પાર્ટીના હતા. તે લોકોને ડીટેઈન કર્યા હતા પરંતુ બાદમાં ખબર પડી કે કેટલાક નિર્દોષ પણ છે તો તે લોકોને અમે છોડી દીધા હતા. હજી પણ એક પોલીસકર્મી કે જેમને માથામાં ગંભીર ઈજા થઈ છે તે હોસ્પિટલમાં એડમિટ છે. અત્યાર સુધીમાં અમે કુલ 65 લોકોને અટકાયતમાં લીધા છે. આ લોકો સામે ગેરકાયદેસર મંડળી રચીને પૂર્વઆયોજીત કાવતરું કરવું સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ પથ્થરમારામાં ઈજાગ્રસ્ત થનારા પોલીસકર્મી અને ખેડૂતોએ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લીધી છે. જેમાંથી મોટાભાગના લોકોએ બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર લીધી છે. આ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરનાર ડો.મિલન કાંતેસરિયાને મળીને ઈજાગ્રસ્ત લોકોની ઈજા વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, હડદડમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણને લઈ કેટલાક ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને ખેડૂતો અમારી પાસે આવ્યા હતા. જેમાં પોલીસકર્મીઓને પથ્થરના ઘા વાગવાથી ચામડી ફાટી ગઈ હતી જેના માટે ટાંકા લીધા હતા. એક પોલીસકર્મીને માઈનોર ફેક્ચર થયું હતું જેની અમે પાટાપિંડી કરી હતી. જેટલા પણ લોકોને જે કોઈ ઈજા હતી તે નોર્મલ હતી કોઈને દાખલ કરવા પડે કે ઓપરેશન કરવું પડે તેવી કોઈ સ્થિતિ નહોતી. જરુરી સારવાર કરીને તેમને સ્ટેબલ કન્ડિશનમાં આપણે ઘરે મોકલી દીધા હતા. તેવી જ રીતે કેટલાક ઈજાગ્રસ્ત ખેડૂત મિત્રો પણ અમારી પાસે સારવાર માટે આવ્યા હતા. તેમણે પણ કોઈને માથામાં, હાથમાં, પગમાં માઈનોર ફેક્ચર હતા. કેટલાકને ટાંકા લેવા પડ્યા હતા જે તમામ લોકોને પણ આપણે પ્રાથમિક સારવાર કરીને ઘરે મોકલી આપ્યા હતા. કોઈને જીવનું જોખમ થાય તેવી કોઈ ગંભીર ઈજા નહોતી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!