રાધનપુર તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મળતી સહાયની ચુકવણીને લઈને વિવાદ ઉભો થયો છે. કેટલાક લાભાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી ફરિયાદોમાં મકાન બાંધકામના હપ્તા મેળવવા માટે કથિત રીતે લાંચની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
લાભાર્થીઓના જણાવ્યા પ્રમાણે, યોજનાના શરૂઆતના હપ્તા મળ્યા બાદ મકાનનું બાંધકામ આગળ વધારવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ મળવાપાત્ર મોટા હપ્તાની ચુકવણીમાં મુશ્કેલી સર્જાતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દરમિયાન સંબંધિત કચેરીના કર્મચારીઓ દ્વારા કથિત રીતે નાણાંની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
જો લાભાર્થીઓના આક્ષેપોમાં તથ્ય હોય તો ગરીબ પરિવારો માટે અમલમાં મુકાયેલી સરકારી યોજનાની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉભા થાય છે. કારણ કે હપ્તાની રકમ સમયસર ન મળવાથી અનેક પરિવારોનું મકાનનું બાંધકામ અધવચ્ચે અટકી શકે છે.
લાભાર્થીઓએ માંગ કરી છે કે સમગ્ર મામલે માત્ર કચેરીસ્તરની તપાસના બદલે ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. હપ્તાની ચુકવણીના રેકોર્ડ, સ્થળ તપાસ, લાભાર્થીઓની ફરિયાદો તથા સંબંધિત પ્રક્રિયાની ચકાસણી કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે.
હવે જોવાનું એ રહેશે કે હપ્તાની ચુકવણીમાં વિલંબ પાછળ વહીવટી કારણ છે કે અન્ય કોઈ બાબત? લાભાર્થીઓના આક્ષેપોની તપાસ થશે કે નહીં? અને તપાસમાં કોઈ ગેરરીતિ બહાર આવે તો જવાબદાર સામે શું કાર્યવાહી થશે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
