ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ પાટણ જિલ્લામાં કુલ ૧૨૦ નાણાં ધિરનાર શાહુકારો નોંધાયેલ છે. નોંધાયેલ તમામ શાહુકારોએ ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ની જોગવાઈઓનું પાલન કરી જરૂરી કામગીરી કરવાની રહે છે.
ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ હેઠળ તારણવાળા ધિરાણ માટે ૧૨ ટકા તથા તારણ વિનાના ધિરાણ માટે ૧૫ ટકા વ્યાજદરની જોગવાઈ કરવામાં આવેલ છે. વધુમાં, અધિનિયમની કલમ-૨૩(૧) મુજબ દરેક નાણાકીય વર્ષ દરમિયાન નાણાં ધિરધારના હિસાબોનું ઓડિટ કરાવવાનું ફરજિયાત છે.

અધિનિયમની કલમ-૨૧(૧) અંતર્ગત તમામ શાહુકારોએ ઓનલાઇન નોંધણી કરાવી પોતાના માસિક/વાર્ષિક હિસાબો તથા જરૂરી પત્રકો ઓનલાઇન રજૂ કરવાના રહે છે. આ હિસાબો અને પત્રકો ઈ-કો-ઓપરેટીવ પોર્ટલ પર સમયસર રજૂ ન કરવા બાબત ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમની કલમ-૪૪ હેઠળ ઉલ્લંઘન ગણાય છે અને તે ગંભીર બાબત છે.
વધુમાં, રૂ.૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર મારફતે તથા રૂ.૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (C.A.) મારફતે દર વર્ષે હિસાબોનું ઓડિટ કરાવવાનું રહેશે.
આથી, તા. ૩૧/૦૩/૨૦૨૬ના રોજ પૂર્ણ થયેલ નાણાકીય વર્ષનું ઓડિટ સત્વરે પૂર્ણ કરાવી તેનો ઓડિટ રિપોર્ટ ઓનલાઇન ઈ-કો-ઓપરેટીવ પોર્ટલ પર રજૂ કરવા તમામ સંબંધિત શાહુકારોને સૂચિત કરવામાં આવે છે.
આ ઉપરાંત, ઉપરોક્ત સૂચના સંદર્ભે દિન-૭ (સાત)માં જરૂરી સ્પષ્ટતા તથા ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવે છે. નિર્ધારિત સમયમર્યાદામાં જરૂરી હિસાબો, ઓડિટ રિપોર્ટ તથા સ્પષ્ટતા રજૂ કરવામાં નહીં આવે તો સંબંધિત શાહુકારો સામે ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ની જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેની ગંભીરતાથી નોંધ લેવા જણાવવામાં આવે છે.
વધુ માહિતી તથા માર્ગદર્શન માટે શાહુકારોના નિબંધક તથા જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, પાટણની કચેરી, જિલ્લા સેવા સદન, બ્લોક-૨, ભોંયતળિયે, પાટણ ખાતે તેમજ
ફોન નં.: ૦૨૭૬૬-૨૨૩૨૮૪
ઈ-મેઈલ: drpatan20@gmail.com પર સંપર્ક કરી શકાશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
