તાજેતરમાં આદિત્ય ધર નિર્દેશિત રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં સંજય દત્ત દ્વારા બોલાયેલા એક ડાયલોગને લઈને જૂનાગઢમાં વસતા બલોચ મકરાણી સમાજમાં તીવ્ર રોષ ફેલાયો છે. ફિલ્મમાં અભિનેતા સંજય દત્ત દ્વારા બોલવામાં આવેલા એક સંવાદ પર સમાજે સખત વાંધો ઉઠાવ્યો છે. જૂનાગઢ બલોચ મકરાણી સમાજના પ્રમુખ અને એડવોકેટ એજાજ મકરાણીએ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફિલ્મનાં અભિનેતા, ડાયલોગ રાઇટર અને ડિરેક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે. સમાજનું કહેવું છે કે આ પ્રકારના અભદ્ર ડાયલોગ્સથી તેમની સામાજિક લાગણી દુભાઈ છે અને સમાજનું અપમાન થયું છે. ​બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી અરજીમાં મુખ્યત્વે એક ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે: “હંમેશાં બોલતા હૂં બડે સાબ મગરમચ્છ પે ભરોસા કર સકતે હૈ મગર બલોચ પે નહીં.” આ ફિલ્મના નિર્માતા જ્યોતિ દેશપાંડે, આદિત્ય ધર અને લોકેશ ધર છે. ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર માધવન, અર્જુન રામપાલ, સારા અર્જુન અને રાકેશ બેદી મુખ્ય ભૂમિકાઓમાં છે. ‘માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી’
પ્રમુખ એજાજ મકરાણીએ જણાવ્યું હતું કે આ ટિપ્પણી સીધી રીતે બલોચ મકરાણી સમાજને નિશાન બનાવીને કરવામાં આવી છે અને એનાથી સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. ​10 દિવસમાં કાર્યવાહી ન થાય તો હાઇકોર્ટ જવાની ચીમકી
​આ વિરોધના ભાગરૂપે જૂનાગઢ બલોચ મકરાણી સમાજના આગેવાનોએ નિર્ણય લીધો છે કે તેઓ આવતીકાલે જિલ્લાકક્ષાએ આવેદનપત્ર પાઠવશે. સમાજના અગ્રણી એજાજ મકરાણીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દસ દિવસની અંદર આ મામલે યોગ્ય અને સંતોષકારક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો બલોચ મકરાણી સમાજ સમગ્ર મામલાને લઈને ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખખડાવશે અને ન્યાય માટે લડત આપશે. તેમનું માનવું છે કે જો આવા અભદ્ર વર્તન કરનારા કલાકારો, દિગ્દર્શકો અને સ્ક્રિપ્ટ રાઇટરોને રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં અન્ય સમાજોની લાગણીઓ પણ દુભાવવાનું ચાલુ રહેશે, જેનાથી દેશભરમાં સામાજિક તંગદિલી ભર્યું વાતાવરણ ઊભું થઈ શકે છે. ગુજરાતમાં 8 લાખ બલોચ કરે છે વસવાટ
​બલોચ મકરાણી સમાજ મૂળભૂત રીતે બલૂચિસ્તાનના મકરાણ પ્રદેશમાંથી ભારત આવ્યા છે અને આજે ભારતભરના અલગ અલગ વિસ્તારોમાં તેમની વસતિ ઘણી છે. જૂનાગઢ જિલ્લામાં આશરે 25,000થી વધુ અને સમગ્ર ગુજરાતમાં 8 લાખથી વધુ બલોચ મકરાણીઓ વસે છે. ભારતભરમાં તેમની વસતિ દોઢ કરોડથી પણ વધુ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુજરાતમાં જૂનાગઢ, ભાવનગર, કચ્છ, જામનગર, ગીર સોમનાથ, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત અનેક શહેરોમાં આ સમાજની મોટી વસતિ વસવાટ કરે છે. આટલી મોટી વસતિ ધરાવતા અને શાંતિપૂર્ણ રીતે વસતા સમાજની લાગણીને માત્ર કમાણી માટે દુભાવવામાં આવી હોવાથી સમગ્ર સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ​એડવોકેટ એજાજ મકરાણીએ વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરી એક ચોક્કસ સમાજને જે રીતે ટાર્ગેટ કરવામાં આવ્યો છે એ સખત રીતે વખોડવાલાયક છે. તેમણે વિનંતી કરી છે કે વહેલી તકે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને આવા સંવાદોને ફિલ્મમાંથી તાત્કાલિક દૂર કરવામાં આવે અન્યથા સમાજ પોતાની માન-મર્યાદાના રક્ષણ માટે કોર્ટનાં તમામ પગલાં ભરવા માટે તૈયાર છે.
ફિલ્મમાં શું બતાવ્યું છે?
ફિલ્મની સ્ટોરી 1999માં થયેલા IC-814 વિમાન અપહરણ અને 2001ના ભારતીય સંસદ હુમલાની પૃષ્ઠભૂમિથી પ્રેરિત છે. સ્ટોરીની શરૂઆત ભારતીય ગુપ્તચર એજન્સીના પ્રમુખ અજય સાન્યાલ (આર માધવન)થી થાય છે, જે પાકિસ્તાનમાં ચાલી રહેલા આતંકવાદ અને અંડરવર્લ્ડ નેટવર્કને ખતમ કરવાની યોજના બનાવે છે. આ માટે તેમને એક એવા યુવકની જરૂર હોય છે, જેની કોઈ ઓળખ ન હોય અને જે કોઈ ગુનામાં ફસાયેલો હોય. તેમની શોધ પંજાબના 20 વર્ષના હમઝા (રણવીર સિંહ) સુધી પહોંચે છે, જે જેલમાં બંધ છે. હમઝાને વિશેષ તાલીમ આપવામાં આવે છે અને મિશન માટે પાકિસ્તાન મોકલવામાં આવે છે. પાકિસ્તાનમાં હમઝાનો સામનો લ્યારીના ખતરનાક અંડરવર્લ્ડ સાથે થાય છે, જ્યાં તેને ગેંગસ્ટર રહેમાન ડાકુ (અક્ષય ખન્ના) અને કરાચીના એસપી ચૌધરી અસલમ (સંજય દત્ત) જેવા ખતરનાક લોકો સાથે કામ પાર પાડવું પડે છે. ફિલ્મનો પહેલો ભાગ ગેંગસ્ટર દુનિયા, અપરાધ અને હિંસા દર્શાવે છે, જ્યારે ફિલ્મનો બીજો ભાગ જાસૂસી, છેતરપિંડી અને ષડયંત્રથી ભરેલો છે. સ્ટોરી દર્શકોને અંત સુધી ઉત્સુક રાખે છે કે શું હમઝા તેના મિશનમાં સફળ થાય છે અને કેવી રીતે તે અંડરવર્લ્ડનો સફાયો કરે છે. કોણ છે બલોચ?
બલૂચિસ્તાનના કલાત રજવાડાના છેલ્લા શાસક મીર અહેમદ યાર ખાને તેમના પુસ્તક ‘ઇનસાઇડ બલૂચિસ્તાન’માં લખ્યું છે કે બલોચ પોતાને પયગંબર ઇબ્રાહિમના વંશજ માને છે. તેઓ સિરિયાના વિસ્તારમાં રહેતા હતા. વરસાદના અભાવ અને દુષ્કાળને કારણે આ લોકોએ સ્થળાંતર કરવાનું શરૂ કર્યું. સિરિયા છોડ્યા પછી આ લોકોએ ઈરાનના પ્રદેશમાં પડાવ નાખ્યો. તત્કાલીન ઈરાની રાજા નુશેરવાનને આ ગમ્યું નહીં અને તેમણે આ લોકોને અહીંથી ભગાડી દીધા. આ પછી આ લોકો એ વિસ્તારમાં પહોંચ્યા, જેનું નામ પાછળથી બલૂચિસ્તાન રાખવામાં આવ્યું. જ્યારે બલોચે ઈરાન છોડ્યું ત્યારે તેમનો નેતા મીર ઇબ્રાહિમ હતા. જ્યારે તેઓ બલૂચિસ્તાન પહોંચ્યા ત્યારે તેમની જગ્યાએ મીર કમ્બર અલી ખાન આવ્યા. આ કુળને પયગંબર ઇબ્રાહિમના નામ પરથી બ્રાહીમી કહેવામાં આવતું હતું, જે પાછળથી બ્રાવી અથવા બ્રોહી બન્યું. બલોચે મુઘલોને હિન્દુ રાજવંશ હટાવવામાં મદદ કરી
બલોચ લોકો આ વિસ્તારમાં સ્થાયી થયા. ઘણાં વર્ષો પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા. આ દરમિયાન બલૂચિસ્તાનના કલાત વિસ્તારમાં સેવા (Sewa) વંશનું શાસન હતું, જેને હિન્દુ રાજવંશ માનવામાં આવે છે. આ રાજવંશના એક પ્રખ્યાત શાસક રાણી સેવી (Rani Sewi) હતાં, જેમના નામ પરથી પાછળથી સિબી પ્રદેશનું નામ પડ્યું. સેવા રાજવંશ મુખ્યત્વે કલાત અને એની આસપાસના વિસ્તારોમાં શાસન કરતો હતો અને એ સમયે આ રાજવંશ હિન્દુ પરંપરાઓનું પાલન કરતો હતો. ભારતના મુઘલ સમ્રાટ અકબરે 1570ના દાયકામાં બલૂચની મદદથી કલાત પર આક્રમણ કર્યું અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું. 17મી સદીના મધ્યમાં મુઘલોનું શાસન નબળું પડવા લાગ્યું અને બલૂચ જાતિઓએ બળવો શરૂ કર્યો. મુઘલોએ 18મી સદી સુધી અહીં શાસન કર્યું, પરંતુ બલૂચો દ્વારા તેમને હાંકી કાઢવામાં આવ્યા. અહીંથી બલોચોએ કલાતમાં પોતાના રાજ્યનો પાયો નાખ્યો અને બલૂચિસ્તાનમાં બલોચોનું શાસન શરૂ થયું. ઇતિહાસકારોના મતે
ઇતિહાસકારો કહે છે કે બલૂચ લોકો સિરિયાના આરબો કરતાં ઈન્ડો-ઈરાનીઓની વધુ નજીક છે. ઈન્ડો-ઈરાની લોકોને આર્ય પણ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં, ઇતિહાસકારો માને છે કે બલોચ પણ આર્ય છે. હજારો વર્ષ પહેલાં આર્યો મધ્ય એશિયામાં રહેતા હતા, પરંતુ ખરાબ વાતાવરણ અને યુદ્ધની સ્થિતિને કારણે તેઓ બીજી જગ્યાની શોધમાં આ સ્થળ છોડીને ગયા. ત્યાંથી નીકળ્યા પછી પહેલા આર્મેનિયા અને અઝરબૈજાન પહોંચ્યા. તેમણે અઝરબૈજાનના બ્લાસગાન પ્રદેશમાં રહેવાનું શરૂ કર્યું. અહીં આર્યોની ભાષા અને બોલીનું મિશ્રણ કરીને એક નવી ભાષા બનાવવામાં આવી, જેને બલશક અથવા બલાશોકી નામ આપવામાં આવ્યું. આર્યો બલાશ તરીકે ઓળખાવા લાગ્યા. ઈસ.550માં અઝરબૈજાન ઈરાનના ખામ સામ્રાજ્યના નિયંત્રણ હેઠળ આવ્યું. સાસાની સામ્રાજ્યની સ્થાપના 224-651 ઈ.સ.માં થઈ હતી. છઠ્ઠી સદીના અંતમાં અને સાતમી સદીની શરૂઆતમાં, આ પ્રદેશ પર બાહ્ય હુમલાઓ વધ્યા અને હવામાન પણ વધુ ખરાબ થયું, તેથી મધ્ય એશિયાથી અહીં આવેલા આર્યો વિવિધ વિસ્તારોમાં સ્થાયી થયા. કેટલાક લોકો ઈરાનના જાનુબી (દક્ષિણ) બાજુ ગયા અને કેટલાક લોકો ઈરાનના મગરિબ (પશ્ચિમ) બાજુ ગયા. આર્યો જાનુબી તરફ ગયા અને ત્યાંથી આગળ ઈરાનના કમન અને સિસ્તાન પહોંચ્યા. અહીં તેમનું નામ બાલાશથી બદલીને બલૂચ કરવામાં આવ્યું અને બોલીનું નામ બલાશોકીથી બદલીને બલૂચી કરવામાં આવ્યું. ધીમે ધીમે આ બલૂચ લોકો સિસ્તાનથી આગળના વિસ્તારોમાં પ્રવેશ્યા. આ વિસ્તાર પાછળથી બલૂચિસ્તાન તરીકે ઓળખાતો હતો. બલૂચિસ્તાનની ભારત સાથે નિકટતાના આક્ષેપો
ભારત આઝાદ થયું અને તેના બે ભાગલા થયા ત્યારે બલૂચિસ્તાન પાકિસ્તાન સાથે નહીં પણ ભારત સાથે જોડાવા માગતું હતું, પણ ભૌગોલિક રીતે તે પાકિસ્તાન સાથે સંકળાયેલું હોવાથી તેને પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યું હતું. બલૂચિસ્તાનની જે પઠાણ પ્રજા છે તે પાકિસ્તાનના પંજાબી શાસકો કરતાં અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. પઠાણોને લાગે છે કે પાકિસ્તાની સરકાર તેમને કચડી નાંખીને તેમની સંસ્કૃતિ મિટાવી દેવા માગે છે. આ કારણે પરાક્રમી પઠાણ યોદ્ધાઓ દાયકાઓથી પાકિસ્તાનના લશ્કર સામે સશસ્ત્ર જંગ લડી રહ્યા છે. બલૂચિસ્તાનને પાકિસ્તાનની ચુંગાલમાંથી મુક્ત કરીને સ્વતંત્ર થવા તેમણે બલૂચિસ્તાન લિબરેશન આર્મી નામના ઉગ્રવાદી સંગઠન પણ છે. પાકિસ્તાનનો આક્ષેપ છે કે ભારતની ગુપ્તચર સંસ્થા ‘રો’ આ સંગઠનને મદદ કરી રહી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!