વડા, ચીકણવાસ અને આંગણવાડામાં બિનઅધિકૃત ખનન સામે મોટી કાર્યવાહી કરાઈ
બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા ૯ માસમાં ૯૪૧ કેસ કરીને કુલ રૂ.૧૮ કરોડથી વધુની દંડ વસુલાત કરાઈ
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પાલનપુર ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા અલગ અલગ જગ્યાએ ટીમો બનાવી આકસ્મિક રેઇડ કરી ખનીજચોરી કરતા ૧૩ વાહનો જપ્ત કરવામાં આવ્યા અને ૩૨ લાખની દંડની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહી અંતર્ગત વડા તા. ઓગડ ખાતેથી ૫ ડમ્પર સાદી રેતી ખનીજ રોયલ્ટી પાસ વગર વહન કરતા સીઝ કરી જપ્ત કરી અને આ મુદામાલ થરા પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે, અમીરગઢ તાલુકાના ચીકણવાસ ખાતેથી બિનઅધિકૃત ખનન કરતું એકસેવેટર મશીન જપ્ત કરવામાં આવ્યું છે તથા કાંકરેજ તાલુકાના આંગણવાડા ખાતેથી બિનઅધિકૃત સંગ્રહ સાથે સંકળાયેલ ૦૧ લોડર અને ૦૨ વાહન સહીત ૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૦૭ લાખની દંડની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ગુરપ્રીતસિંહ સારસ્વાના નેતૃત્વમાં બનાસકાંઠા જિલ્લામાં માત્ર ૦૯ માસમાં જ બિન અધિકૃત ખનન, વહન, સંગ્રહના ૯૪૧ કેસો ઝડપી પાડીને ૧૮ કરોડથી વધુની વસુલાત કરી છે અને જીલ્લાની ચાલુ વર્ષમાં જ ૧૨૬ કરોડની મહેસુલી આવક ઉભી કરાઈ છે તેમ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
The Gujarat Live News રિપોર્ટર બી.એમ.રાવળ ( બી.કે)
