અમદાવાદમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ 1માં રહેતા પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી લાશ મળી આવી હતી. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ કાઢી પીએમ અર્થે ખસેડ્યો હતો. આ કેસમાં ઓઢવ પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. હિંમાશું ઉર્ફે રાહુલ હરીશભાઇ રાઠોડ (રહે.હિરાવાડી, ચાર રસ્તા અમદાવાદ), પપ્પુ હિરાજી મેઘવાલ (રહે. જાવલ શીરોહી, રાજસ્થાન) અને ત્રીજામાં સગીરનો સમાવેશ થાય છે. ત્રણેય આરોપીને રાજસ્થાનના શીરોહી પાસેથી પોલીસે પકડી લીધા છે. આરોપીઓએ નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હિંમતભાઈ રૂડાણીની હત્યા કરી હતી. આ હત્યા માટે પૂર્વ ભાગીદાર મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. 100 જેટલા CCTV તપાસ્યા: ડીસીપી
ઝોન-5 ડીસીપી ડૉ.જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરના રોજ ઓઢવ પોલીસને વિરાટ નગર ચાર રસ્તા બ્રિજ નીચે કારમાં ડેડબોડી મળવાની જાણ થાય છે. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને સિનિયર અધિકારીઓને જાણ કરે છે. ઓઢવ, રામોલ અને નિકોલના તમામ પીઆઈ તથા ડીસ્ટાફની ટીમ બનાવી તપાસ કરવા આવે છે. આ તપાસ દરમિયાન 100 જેટલા સીસીટીવી તપાસતા બપોરના અઢી વાગ્યા આસપાસ જે કારમાં ડેડબોડી મળી આવી હતી તે કાર વિરાટનગર ચાર રસ્તા બ્રિજ નીચે મૂકી બાઈક લઈને ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. અમીરગઢ બોર્ડરથી રાજસ્થાનમાં પ્રવેશવાની જાણ થઈ ને શિરોહીથી દબોચ્યા
ત્યાર પછી બાઇકના માલિકને શોધીને તેની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, આ બાઇક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોરને આપી હતી અને તેની સાથે બે શખ્સ પણ હતા. જેથી તેને અમે ટેકનિકલ સર્વેલન્સમાં મૂક્યા હતા. મોડી રાત્રે જાણ થાય છે કે, તેઓ અમીરગઢ બોર્ડર પરથી રાજસ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે. જેથી એક ટીમ રવાના કરવામાં આવે છે અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના એસપીને જાણ કરવામાં આવે છે. તેઓ એલસીબી ટીમ તથા અમીરગઢ પોલીસની ટીમને મદદ મોકલે છે અને આરોપીઓને શિરોહી નજીકથી દબોચી લેવામાં આવે છે. આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુએ પૂછપરછમાં કહ્યું કે, તેને મૃતક હિંમત કનુભાઈ રૂડાણીની હત્યા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી. સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કાર છોડી
આ હત્યા નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં કરવામાં આવી હતી. આરોપીઓ મૃતકને પહેલેથી જ ઓળખતા હતા અને તેનો પીછો કરતા હતા. મૃતક પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે અને આરોપીઓ કાર નજીક પહોંચે છે. મૃતક બેઝમેન્ટમાં પરત ફરે છે ત્યારે તેની હત્યા કરી દે છે અને કારની ડેકીમાં નાંખી જુદા જુદા વિસ્તારમાં ફેરવે છે, અંતે વિરાટનગર ચાર રસ્તા બ્રિજ પાસે કાર છોડીને નાસી છૂટે છે. 2024માં આરોપીના પુત્ર સામે મૃતકના પુત્રએ CIDમાં ફરિયાદ કરી હતી
મનસુખ લાખાણીની અટકાયત કરી લેવામાં આવી છે. મનસુખ લાખાણી અને મૃતક હિંમતભાઈ રૂડાણી પાર્ટનર હતા અને પૈસાની લેતીદેતીમાં મનદુખ થયું હતું. 2024માં મૃતકના પુત્ર(ધવલ રૂડાણી)એ આરોપીના પુત્ર સામે ઇકોનોમિક ઓફેન્સને લઈ સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરી હતી. આરોપીઓએ હત્યા કર્યા બાદ મનસુખ લાખાણીને ફોન કરવાના પ્રયાસ કર્યા હતા પણ તેમણે ફોન ઉપાડ્યો નહોતો. આજથી એક દોઢ વર્ષ પહેલાં રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોર મનસુખ લાખાણીને ત્યાં ગાર્ડ તરીકે કામ કરતો હતો. મનસુખ લાખાણીએ 50 હજાર આપીને તેને માર મારવા માટે કહ્યું હતું. આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ અને પપ્પુ શિરોહી નજીકના જવાહર ગામના છે. રાહુલ ઉર્ફે હિમાંશુ ગાર્ડનું કામ કરે છે અને પપ્પુ કારખાનામાં કામ કરે છે. મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે હિમાંશુ છે અને તેણે જ આખો પ્લાન ઘડ્યો હતો. શું છે 2024નો એ વિવાદ
વર્ષ 2024માં ધવલ રૂડાણીએ તે સમયે તેના જ ભાગીદાર કિંજલ લાખાણી સામે છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ CID ક્રાઈમના EOW વિભાગમાં કરી હતી. જેમાં બિલ્ડરની ખોટી સહીઓ અને ઓથોરિટી લેટર પેડ ડુપ્લિકેટ બનાવી 1.50 કરોડ રૂપિયા બેંકમાંથી ઉપાડી લીધા હતા તેમજ બારોબાર દુકાનો બનાવી વેચી દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પોલીસે કિંજલ લાખાણી વિરુધ ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. સોપારી આપનારના પુત્ર કિંજલ લાખાણીએ મૃતક સાથે મારામારી કરી હતી
ધવલ રુડાણીની વર્ષ 2020માં કિંજલ લાખાણી સાથે મિત્રતા થઈ હતી, બંને ભાગીદારીમાં નિકોલમાં રૂપિયા 3 કરોડમાં જમીન ખરીદી તેના પર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ બાંધવાનું નક્કી કર્યું હતું. બિલ્ડર અને ભાગીદાર કિંજલ લાખાણી વચ્ચે 50% ભાગીદારના કરાર કરવામાં આવ્યા હતા. પરંતુ થોડા સમય બાદ ધવલ અને કિંજલ લાખાણી વચ્ચે માથાકૂટ થવા લાગી હતી. વર્ષ 2020માં કિંજલ લાખાણીએ ધવલ ભાઈના પિતા સાથે મારામારી કરી હતી જે બાદ કિંજલ લાખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. તેમ છતાં કિંજલ લાખાણી રોજ સ્કીમ પર આવતો રહેતો હતો અને તમામ વહીવટ પોતાની રીતે કરવા લાગ્યો હતો. 10.30 વાગ્યે પિતા-પુત્ર સાથે સાઈટ પર ગયા હતાં
આ અંગેની ફરિયાદમાં મૃતક હિંમતભાઈના પુત્ર ધવલએ જણાવ્યું કે, 13 સપ્ટેમ્બરના રોજ સવારે 10.30 વાગ્યે હિંમતભાઈ ભાટ સર્કલ પાસે સફેદ કલરની મર્સિડીઝ કાર લઈને નવા બની રહેલા તેમના ભાટ પાસેના બંગલા તરફથી રિંગ રોડ તરફ આવતા હતા. હિંમતભાઈનો પુત્ર પણ ગાડી લઈને સામેથી મળ્યો હતો, જેથી તેમના પુત્રએ ગાડી રિવર્સ લઈ ગાડી ઉભી રાખી હતી. બંને બંગલાના કામકાજ અંગે એકાદ મિનિટ જેટલી ચર્ચા કર્યા બાદ ત્યાંથી છુટા પડ્યાં હતા. બપોરના આશરે ત્રણેક વાગ્યે હિંમતભાઈના પુત્ર ધવલ રૂડાણીએ હંસપુરા ખાતે સાઈટની ઓફિસે પરત આવ્યો હતો. પુત્રએ જમવા માટે ફોન કરતા સ્વીચઓફ આવ્યો
બન્ને પિતા-પુત્ર જ્યારે બપોરના જમવા બેસે ત્યારે એકબીજાને ફોનથી જાણ કરી જો શક્ય હોય તો અમારી સાઇટ ઓફિસે સાથે જ જમતા હતા. જેથી ત્રણેક વાગ્યાના સમયે ધવલ પટેલે તેના પિતા હિંમતભાઈને ફોન કરતા તેમનો મોબાઇલ સ્વીચઓફ આવ્યો હતો. સાંજના પાંચેક વાગ્યે પણ મોબાઈલ નંબર ઉપર ફોન કરતા ફોન સ્વીચઓફ આવ્યો હતો. આટલા લાંબા સમય સુધી ફોન સ્વીચઓફ રાખતા ન હોવાથી ઘરે ફોન કરીને પૂછ્યું હતું, પરંતુ હિંમતભાઈ ઘરે પણ હાજર નહોતા. સાડા સાતેક વાગ્યા સુધીમાં અવાર-નવાર ફોન કરતા ફોન સ્વીચઓફ આવતો હોવાથી સગા-સંબંધીઓને પણ ફોન કર્યા હતા. ત્યારબાદ તેમને પણ હિંમતભાઈ વિશે પૂછ્યું હતું, જોકે તેમની કોઈ ભાળ મળી નહોંતી. શોધખોળ કરતા હિંમતભાઈની કાર ઓવરબ્રિજ નીચેથી મળી
નિકોલ વિસ્તારમાં કે જ્યાં હિંમતભાઈ મળી આવવાની શક્યતાઓ હતી તે જગ્યાઓએ તેમનો પુત્ર ફર્યો હતો. બાદમાં તેમના અન્ય સંબંધીને જાણ કરીને શોધવા માટે નીકળ્યા હતા. નવેક વાગ્યે વિરાટનગર ચાર રસ્તાથી સોનીની ચાલી તરફ જતા હતા, ત્યારે સફેદ કલરની મર્સિડીઝ ગાડી વિરાટનગર ઓવરબ્રિજ નીચેના પાર્કિગમાં પાર્ક કરેલી હોવાથી ગાડીમાં તપાસ કરતા ગાડીમાં કોઇ દેખાયું નહીં અને ગાડી લોક કરેલી હતી. કારની અંદર લોહીના ડાઘા વાળો રૂમાલ મળ્યો, તપાસમાં કરતા ડેકીમાં મૃતદેહ હતો
બાદમાં આજુબાજુમાં અને લોકોની પૂછપરછ કરી હતી, જ્યારે ગાડીમાં અંદર જોયું તો લોહીના ડાઘ વાળો રૂમાલ જોવા મળ્યો હતો, જેથી તેઓ ગભરાઈ ગયા હતા. ત્યારબાદ ગાડીની ચાવી ઘરેથી મંગાવી હતી. ગાડી ખોલી અને ત્યારબાદ ત્યાં જોતા રૂમાલ પડ્યો અને પાછળના ભાગે મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી આ બાબતે જ્યારે ગાડીની ડેકી ખોલીને જોતા તેમાં હિંમતભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગઈ
મળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં તાત્કાલિક ઓઢવ પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડ્યો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. હિંમતભાઈ પોતે પાટીદાર સમાજના અગ્રણી છે. મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘાના નિશાન
પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા હિંમતભાઈની હત્યા કરી ગાડીમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. હિંમતભાઈના મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘા જેવા નિશાન મળી આવ્યા છે, જેથી કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. ઓઢવ પોલીસે હિંમતભાઈના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા ગુનો નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ તેમજ તેમની કોલ ડિટેઈલ વગેરેનાં આધારે એક સગીર સહિત ત્રણ આરોપીને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. છેલ્લે દીકરાએ 11 વાગ્યે રિંગ રોડ પર જોયા હતાં
પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની ગાડીના ડેકીમાં મૃતદેહ મૂકવામાં આવ્યો હતો. શરીર પર ચપ્પાના ઘા મારીને હત્યા કરી હોય તેવા નિશાન મળ્યા હતા. બિલ્ડર હિંમતભાઈ સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા. 11 વાગ્યે મૃતકના દીકરાએ મૃતકને રિંગ રોડ પર પસાર થતા જોયા હતા. હત્યા પૈસાની લેતી દેતીમાં થઇ હોવાની પોલીસને શંકા છે. હાલ પોલીસે પૂછપરછ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. રાજ્યનાં 4 મોટાં શહેરોમાં 5 મહિનામાં સૌથી વધુ હત્યા અમદાવાદમાં થઈ
રાજ્યનાં અન્ય ત્રણ મોટાં શહેરોની તુલનામાં અમદાવાદમાં આ વર્ષે પહેલા 5 મહિનામાં સૌથી વધુ હત્યા નોંધાઈ છે. 2024ની તુલનામાં ચાલુ વર્ષે શહેરમાં હત્યાની ઘટનામાં વધારો થયો છે. જ્યારે ગત વર્ષ કરતાં સુરત અને વડોદરામાં હત્યાની ઘટના ઘટી છે. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના શહેરો ક્રાઇમ કેપિટલ બન્યા: કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું કે, રાજ્યમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી અને વહીવટ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અત્યંત ગંભીર છે. માત્ર 48 કલાકમાં શહેરમાં બનેલી બે જઘન્ય હત્યાઓએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નચિહ્ન છે. 12 સપ્ટેમ્બરના રોજ પાલડી પોલીસ સ્ટેશનથી નજીક યુવકની ક્રૂર હત્યા કરવાના આવી. 13 સપ્ટેમ્બરના રોજ વિરાટનગર ક્રોસિંગ પર બિલ્ડરની ક્રૂર હત્યા થઈ. આ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે જનતાની સલામતી ભગવાન ભરોસે છે. ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. રાજ્યનાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનાં શહેરો ક્રાઈમ કેપિટલ બન્યા છે. મુખ્ય ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ માં કથળેલી કાયદો વ્યવસ્થાને કારણે નાગરિકોની સુરક્ષા ભગવાન ભરોસે છે. આ પણ વાંચો…કાંકરિયામાં રિક્ષામાં બેઠેલા યુવકને બે શખસે મળીને 16 ફડાકા અને બે છરીના ઘા માર્યા, ‘king of bapu’ લખી વીડિયો વાઇરલ કર્યો 12 સપ્ટેમ્બરે ગુંડાઓએ ધારિયાં-છરીના આડેધડ ઘા મારી યુવકને પતાવી દીધો
બે દિવસ પહેલાં જ પાલડી વિસ્તારમાં યુવકની હત્યાથી અમદાવાદમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી છે. દેશના સૌથી સ્વચ્છ શહેર અમદાવાદમાં પોલીસ ગુંડાઓને ‘સાફ’ નથી કરી શકતી. દેશનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ હવે જાણે કે ગુનાખોરીમાં ક્રાઇમ સિટી સુરતની હરીફાઈ કરતું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદમાં હવે ચિંતાજનક રીતે જાહેરમાં હત્યા, લૂંટ, મારામારી જેવા ગુનાઓ સામાન્ય બનતા જાય છે.(વાંચો સંપર્ણ અહેવાલ) દેશનું સૌથી સુરક્ષિત શહેર અમદાવાદ બન્યું અનસેફ સિટી!
ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં હત્યાની 7 ઘટના બની હતી, જ્યારે જાહેરમાં હથિયારથી હુમલા સાથે મારામારી અને અસામાજિક તત્ત્વોના આતંકના 3 કિસ્સા પણ સામે આવ્યા હતા.ત્યારે અમદાવાદ શહેરની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તો કંઈક અલગ જ જોવા મળી રહી છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!