વડોદરા ખાતે ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. વડોદરાના પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીને કારણે ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ટિપ્પણી બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેમજ થોડા સમય માટે રસ્તા પર અશાંતિ અને પથ્થરમારો થયો હતો. મળતી માહિતી મુજબ, સોશિયલ મીડિયામાં AI આધારિત ધાર્મિક લાગણી દુભાય એવી કોઈ પોસ્ટ મૂકાયા બાદ સમગ્ર મામલો બિચક્યો હતો અને લોકોના ટોળેટાળા માર્ગો પર ઉમટી પડ્યા હતા. સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ-કોમ્બિંગ પોલીસ તંત્રની સજાગતાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. આ ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ જોડાયા હતા. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોનું એક ટોળું સિટી પોલીસ મથકમાં ધસી આવ્યું હતું, જ્યાં પોલીસે સમજાવટથી મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. સોમવારથી નવરાત્રિ પર્વ શરૂ થઈ રહ્યુું છે એવા સમયે જ કોમી શાંતિ ડહોળાય એવી ઘટના બનતા પોલીસ તંત્ર સજાગપણે સક્રિય થયું છે. જો કે, લોકોના ઉશ્કેરાટ અને માગણી પછી આખરે પોલીસે સોશિયલ મીડિયા પોસ્ટ અંગે ફરિયાદ સ્વીકાર્યા પછી માંડ મામલો શાંત પડ્યો હતો. આ સમાચાર પણ વાંચો… સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસે બોલાવતાં હોબાળો:ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે ગેરસમજમાં ટોળાનો બી ડિવિઝન પોલીસનો ઘેરાવ, પરિસ્થિતિ તંગ બનતાં લાઠીચાર્જ ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. દરમિયાન રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું. (સંપૂર્ણ સમાચાર વાંચો…)
