સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં 22 જૂનને સોમવારે બપોરે એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કરી ચૂકેલા અને દોઢ વર્ષ પહેલાં સગાઈ કરનાર યુવાન દંપતીએ સામાજિક લગ્નમાં વિઘ્ન આવવાની આશંકાએ હોટેલના રૂમમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આ દુર્ઘટનામાં 23 વર્ષીય પત્નીનું કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પતિની હાલત અત્યંત ગંભીર હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલા પતિનું પણ આજે (23 જૂન) મોત થયું છે. કપલે આ અંતિમ પગલું ભરતા પહેલાં પોતાના પરિવારજનોને મોબાઈલ પર હૃદયદ્રાવક અંતિમ મેસેજ મોકલ્યા હતા. જેમાં માનસીએ પિતાને અંતિમ મેસેજમાં કહ્યુ કે, મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ… જ્યારે અભયે તેના ભાઈને મેસેજ કરી મોતનું આપઘાતનું કારણ જણાવ્યું હતું. હોટેલના 103 નંબરના રૂમમાં બન્નેએ દવા પીધી હતી
મળતી માહિતી મુજબ, સરથાણા બાપા સીતારામ ચોક પાસે આવેલા સિલ્વર બિઝનેસ હબમાં લા મરીના હોટેલ આવેલી છે. ગતરોજ સોમવારે બપોરે અહીંના 103 નંબરના રૂમમાં માનસી હસમુખભાઈ ઉમરેટીયા (ઉં.વ.23, રહે. માનસરોવર સોસાયટી, યોગીચોક, સરથાણા) અને અભય રામજીભાઇ ત્રાડા (ઉં.વ.23, રહે. રૂક્ષ્મણી સોસાયટી, નાના વરાછા)એ સેલ્ફોસ નામની ઝેરી દવા પી લીધી હતી. ઓફિસે જવાનું કહીને હોટેલમાં મળ્યા હતાં, યુવતીનું મોત
માનસી રોજની જેમ સવારે નોકરી પર જવા નીકળી હતી, પરંતુ તેણે પતિ અભય સાથે હોટેલમાં મળવાનું નક્કી કર્યું હતું. હોટેલના રૂમમાં બંનેએ ઝેર પી લેતાં જ હોટેલ સ્ટાફ અને પરિવારને જાણ થઈ હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંનેને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે માનસીને મૃત જાહેર કરી હતી. મોબાઈલના આખરી મેસેજ વાંચી પરિવાર સ્તબ્ધ
ઝેરી દવા પીતા પહેલાં બંનેએ પોતાના પરિવારને વ્હોટ્સએપ પર મેસેજ કર્યા હતા, જે વાંચીને પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. માનસીએ હોટેલમાંથી જ બપોરે તેના પિતા હસમુખભાઈના મોબાઈલ પર મેસેજ કર્યો હતો કે, મમ્મીનું ધ્યાન રાખજો, આઈ લવ યુ… જ્યારે અભયે તેના ભાઈને મેસેજ કરીને લખ્યું હતું કે, માનસીના પપ્પા લગ્નની તારીખ આપતા નથી એટલે અમે આ પગલું ભરીએ છીએ, જેમાં કોઈની પણ જવાબદારી નથી. બે વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા, દોઢ વર્ષ પહેલા ધામધૂમથી સગાઈ થઈ’તી
પોલીસ તપાસ અને પારિવારિક સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, મૃતક માનસી અને ગંભીર અભય એકબીજાના પ્રેમમાં હતા. બે વર્ષ પહેલાં જ બંનેએ કાયદાકીય રીતે કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. ત્યારબાદ દોઢ વર્ષ પહેલાં બંનેના પરિવારો આ સંબંધ માટે સહમત થયા હતા અને બંનેની ધામધૂમથી સગાઈ પણ કરવામાં આવી હતી. આગામી સમયમાં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ તેમના સામાજિક લગ્ન યોજાવાના હતા. પરંતુ કોઈ કારણોસર સામાજિક લગ્નની તારીખ નક્કી થઈ શકતી ન હોવાથી, લગ્ન અટકી જશે તેવા ડર અથવા અન્ય કોઈ અગમ્ય કારણોસર બંનેએ આ ઘાતકી પગલું ભરી લીધું હતું. બંને પરિવારો સામાન્ય વ્યવસાય સાથે સંકળાયેલા
મૃતક માનસી છેલ્લા છ મહિનાથી સરથાણા વિસ્તારમાં એક પ્રોપર્ટી લે-વેચની ઓફિસમાં નોકરી કરતી હતી. તેના પિતા હસમુખભાઈ રેતી-કપચીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેઓ મૂળ અમરેલીના ધારી તાલુકાના ગીગાસણ ગામના વતની છે. જ્યારે અભય ઘરબેઠા મકાન દલાલીનું કામ કરતો હતો. તેના પિતા રામજીભાઈ હીરાના કારખાનામાં કામ કરે છે અને તેઓ મૂળ જૂનાગઢના ભેંસાણના વતની છે. અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી
માનસીના પિતા અને માતા બંને દિવ્યાંગ છે અને તેની એક બહેન છે. જ્યારે અભયને એક મોટો ભાઈ છે. હાલમાં સરથાણા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. માનસી અને અભયના મોતના પગલે બંને પરિવારો સહિત સમગ્ર વરાછા-સરથાણા વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!