વડોદરા શહેરમાં આજે(1 જુલાઈ)થી સવારે વિનાયક લોજિસ્ટિકે સિટી બસ સેવા બંધ કરી હતી, બાદમાં એક્સ્ટેન્શન મળતા 160 બસની સેવા 11 વાગ્યાથી ફરી શરૂ થઈ ગઈ છે. હવે નવી શરૂ કરાયેલી 30 બસ સાથે 160 બસ પણ ચાલશે. ઉલ્લેખનીય છે કે, આજે વહેલી સવારે અચાનક વિનાયક લોજિસ્ટિક્સ દ્વારા 160 સિટી બસોની સેવા બંધ કરી દેવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. જોકે, આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવતા તંત્ર દ્વારા 10:30 વાગ્યે બસ સેવાને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. આ રાહતના નિર્ણય બાદ, સવારે ખોરવાયેલી સિટી બસ સેવા 11 વાગ્યાથી ફરી પૂર્વવત કરી દેવામાં આવી છે, જેથી દૈનિક મુસાફરી કરતા નાગરિકોને મોટી રાહત મળશે. ‘તમામ રૂટો પર તમામ સિટી બસ સેવા ચાલુ’
વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હવે ટૂંક જ સમયમાં સિટી બસ સેવા ચાલુ થઈ જાય છે. અમને 3 મહિનાનું એક્સટેન્શન મળી ગયું છે. આજે 11 વાગ્યા સુધીમાં સિટી બસ સેવા ચાલુ થઈ જશે. અત્યારે જે રૂટ ચાલુ હતા એ જ તમામ રૂટો પર તમામ સિટી બસ સેવા ચાલુ થશે. કોઈ ખામી કે ભૂલ નથી, માત્ર સામાન્ય કોમ્યુનિકેશન ગેપ હતો: ડે.મ્યુનિ. કમિશનર
વડોદરા મહાનગર પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઋતુરાજ દેસાઈએ જણાવ્યું હતું કે, સિટી બસ સેવા તો હાલમાં શરૂ કરી દેવામાં આવી છે. તેમનો જે કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો, તેને લઈને એક્સટેન્શન બાબતની ચર્ચા હતી, જે આપણે આગામી ત્રણ મહિના માટે લંબાવી દીધું છે અને હાલમાં બસ સેવા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. વધુમાં જણાવ્યું હતું કે, લોકોની સગવડતા માટે પાલિકા હંમેશા તત્પર રહે છે અને લોકોને કોઈ અગવડ ન પડે તે માટેના જ અમારા પ્રયત્નો હોય છે. એટલે જ આ એક્સટેન્શન ત્રણ મહિના માટે આપી દેવાયું છે. અમે ચોક્કસ તપાસ કરીશું કે કયા કારણે કોમ્યુનિકેશન ગેપ રહ્યો. આ આખી બાબતની તપાસ કર્યા બાદ જ આગળનો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. હાલ પૂરતું ત્રણ મહિના માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જેમ-જેમ નવી EV બસો આવતી જશે તેમ-તેમ તેને સેવામાં જોડવામાં આવશે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જ્યાં સુધી પરિવહન વ્યવસ્થા સરળ ન થાય ત્યાં સુધી લોકોને કોઈ તકલીફ ન પડે, અને તે અમે સુનિશ્ચિત કરીશું. 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી
વડોદરા ખાતે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ દરમિયાન સોમવારે(29 જૂન) જીએસએફસી ગેટ નંબર-1 ખાતેથી 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન સિટી-ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પીએમ ઈ બસ સેવા હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની 100 બસોના બદલે હવે કુલ 250 એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે. આ યોજનાના પ્રથમ ચરણમાં કુલ 130 બસો ફાળવવામાં આવશે, જેના ભાગરૂપે આ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આધુનિક સુવિધાઓથી સજ્જ છે ઈ બસ
આ ઈલેક્ટ્રિક બસો ઝીરો એમિશન ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને અવાજરહિત હોવાથી મુસાફરી વધુ સુખદ અને આરામદાયક બનશે. મુસાફરોની સુરક્ષા માટે બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે. એપ, ટિકિટિંગ કાર્ડથી ટિકિટ મેળવી શકશે
આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ પિન્ક સીટ્સ અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે. તદુપરાંત આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે. બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!