પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી માં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ખેડૂતો, ગ્રામજનો અને લોકો ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક રાહત અને સર્વેની માંગણી કરી છે.

ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉપરાંત અનેક કાચા-પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે તેમજ પશુઓના મૃત્યુના બનાવો પણ સામે આવ્યા છે. આ તમામ નુકસાનનો તાત્કાલિક ધોરણે સરકારી સર્વે કરાવી અસરગ્રસ્તોને નિયમ મુજબ કેસડોલ સહાય અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગામડાઓ અને શહેરોમાં વરસાદી પાણીના નિકાલની કાયમી અને અસરકારક વ્યવસ્થા ઉભી કરવા, ભારે વરસાદથી તૂટી ગયેલા રસ્તાઓનું ઝડપથી સમારકામ કરવા તેમજ બંધ પડેલો વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરવા પણ રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ધારાસભ્ય લવિંગજી ઠાકોરે જણાવ્યું કે વરસાદથી પ્રભાવિત વિસ્તારોના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રાજ્ય સરકાર તાત્કાલિક કાર્યવાહી કરીને અસરગ્રસ્ત પરિવારોને રાહત અને જરૂરી સહાય પૂરી પાડે તેવી તેમણે મુખ્યમંત્રી સમક્ષ માંગણી કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!