પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં પડેલા અતિભારે વરસાદે વ્યાપક નુકસાન સર્જ્યું છે. બંને તાલુકામાં મળીને અંદાજે 30 ઇંચ જેટલો વરસાદ નોંધાતા અનેક ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.

ભારે વરસાદને પગલે અનેક ગામોના માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે કાચા તેમજ પાકા મકાનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને અવરજવર અને દૈનિક જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામની પ્રાથમિક શાળાના બિલ્ડિંગની છતના પોપડા ઉખડી પડવાની ઘટના સામે આવી છે. જોકે, હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના આધારે અગાઉથી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓ શાળામાં હાજર ન હતા. જેના કારણે સંભવિત મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, જ્યારે નુકસાનનું સર્વેક્ષણ અને જરૂરી રાહત કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
