પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામ નજીક સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જન માટે આવેલા અમદાવાદના પાંચ યુવકો ડૂબતા બચ્યા હતા. ગામલોકો અને સ્થાનિક તરવૈયાઓની સમયસર મદદથી આ પાંચેય યુવકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
અમદાવાદથી ગણપતિ વિસર્જન માટે ઓરાણના ઓરાણ ગામે આવેલા પાંચ યુવકો નદીના ઊંડા પાણીમાં અચાનક ગરકાવ થવા લાગ્યા હતા. તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના ગામલોકોનું ધ્યાન ગયું. તરત જ, ગામના તરવૈયાઓ મદદે દોડી આવ્યા અને બચાવ કામગીરી શરૂ કરી.

સ્થાનિક તરવૈયાઓની કુશળતા અને ઝડપી કાર્યવાહીથી પાંચેય યુવકોને પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. યુવકો નદીમાં ડૂબ્યા હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતાં ઓરાણના સરપંચ, ગ્રામજનો, પ્રાંતિજ પોલીસ અને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

બચાવી લેવાયેલા યુવકોમાંથી ત્રણને પ્રાથમિક સારવાર માટે ૧૦૮ મારફતે પ્રાંતિજ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાંચેય યુવકો સુરક્ષિત હોવાની ખાતરી થતા તંત્ર અને નદી કિનારે એકઠા થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો
The Gujarat Live News અહેવાલ નિલેષભાઈ શર્મા સાબરકાંઠા

