જૂનાગઢ ખાતે કોંગ્રેસ હાઈકમાન્ડની તાલીમ શિબિરમાં રાજકીય હલચલ
ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને ફરી જીવંત કરવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડે મોટાપાયે વ્યૂહરચના ઘડી છે.

તેના ભાગરૂપે જૂનાગઢના ભવનાથ તળેટીમાં શહેર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની વિશાળ તાલીમ શિબિર યોજાઈ હતી.
આ તાલીમ શિબિરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શિબિરમાં રાહુલ ગાંધીએ ચાર કલાક સુધી નેતાઓને માર્ગદર્શન આપ્યું અને ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓને જાગૃત થવા આહ્વાન કર્યું.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કોંગ્રેસ હવે સક્રિયતા પર ભાર મૂકાશે અને જે કાર્યકર્તા તથા નેતાઓ સંગઠન માટે અખૂટ મહેનત કરે છે, તેમને જ સ્થાન આપવામાં આવશે.
આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંગઠન પર કડક વલણ દાખવતા રાજ્યના નવ જિલ્લા પ્રમુખોને નિષ્ક્રિય ગણાવ્યા હતા.
ખડગેએ તેમને “સડેલી કેરી” કહી સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે જે સક્રિય નથી, તે સંગઠનમાંથી દૂર થશે.
બીજી બાજુ, ખડગેએ પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સહિત રાજ્યના પાંચ જિલ્લા પ્રમુખોને ટોપ–૫ સક્રિય પ્રમુખોમાં સ્થાન આપીને વખાણી લીધા હતા.
ખાસ કરીને પાટણ જિલ્લાના પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અંગે હાઈકમાન્ડે જણાવ્યું કે તેઓ સતત સક્રિય રહી સંગઠનને મજબૂત બનાવી રહ્યા છે.
રાહુલ ગાંધી આગામી સમયમાં આ ટોપ–૫ પ્રમુખોના ઘરે ભોજન કરી જિલ્લામાં બે દિવસનું રોકાણ કરશે.
તે પ્રસંગે તેઓ વિધાનસભા દીઠ કાર્યકરો સાથે બેઠક યોજીને સીધી વાતચીત કરશે.
કોંગ્રેસમાં જૂનુ–નવું નેતૃત્વ એકસાથે કાર્યરત રહે તે દિશામાં હાઈકમાન્ડ પ્રયત્નશીલ હોવાનું જણાઈ રહ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
