કપરા સમયમાં ગુજરાત સરકાર, સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની પડખે ઊભા છે
પાટણ જિલ્લાના સરહદી તાલુકાઓમાં થયેલા ભરેલા વરસાદના લીધે આ વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે.

આ વિસ્તારમાં ફરીથી જન જીવન ધબકતું થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અગ્રેસર બન્યું છે.
ગુજરાતના પાડોશી રાજ્ય તેમજ ગુજરાતમાં થયેલા સાર્વત્રિક વરસાદના લીધે નદીઓમાં પાણીનો પ્રવાહ વધતા રાજ્યમાં આકસ્મિક બનાવ બનતા રાજ્ય સરકારે સંવેદનશીલ અભિગમ સાથે નાગરિકોની વહારે આવી છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકા ના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં મુક્તેશ્વર ડેમ માંથી છોડવામાં આવેલા પાણીના પ્રવાહમાં બે યુવતીઓ ભેંસ ચરાવતી વખતે આવેલા પાણીના પ્રવાહમાં તણાતા અવસાન પામી હતી. આ દુખદ ઘટનાના પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે પરિવારને મળીને સાંત્વના આપીને પીડિત પરિવારને ચેક અર્પણ કર્યો હતો.
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતમાં થોડાક દિવસ પહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. અંબાજી અને મુકેશ્વરમાં અતિશય વરસાદ પડવાથી નદીઓમાં પાણીનું સ્તર ખૂબ વધી ગયું હતું, જેના પરિણામે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં દુઃખદ ઘટનાઓ બની છે. પશુપાલન માટે ગયેલી બે દીકરીઓ – સજ્જનબા અને કાજલબા – નું અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. જેને પગલે ગુજરાત સરકાર તેમજ સ્થાનિક આગેવાનો દ્વારા આ પરિવારને મદદ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી અધિકારીઓ અને પદાધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વહીવટી તંત્ર પરિવારની સાથે છે.
મંત્રીશ્રીએ સાંત્વના આપતા જણાવ્યું હતું કે, હું માતાજીને પ્રાર્થના કરું છું કે બંને દીકરીઓના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. આવા કપરા સમયમાં ગુજરાત સરકાર, સ્થાનિક આગેવાનો અને સમગ્ર સમાજ આ શોકગ્રસ્ત પરિવારની પડખે ઊભા છે.
સંગઠનના આગેવાનો શંભુભાઇ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર, એપીએમસી ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, ગામના સરપંચ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
