વડોદરા શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે, ત્યારે 14 નવેમ્બરની રાત્રે વધુ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ચાલકે પૂરપાટ ઝડપે બાઈક હંકારી રોડ ક્રોસ કરતા યુવકને ટક્કર મારી 10 ફૂટ ઢસડ્યો હતો. આ દરમિયાન રસ્તા પર બાઈક ઘસડાતા તણખા પણ ઉડતા જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ માંજલપુર પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. બાઈકની ટક્કરે રોડ ક્રોસ કરતા UPના યુવકનું મોત
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા રેસ્ટોરન્ટમાં કામ કરતો બિપિન ગૌતમ (ઉ.વ. 28) તુલસીધામ ચાર રસ્તાથી કબીર કોમ્પ્લેક્સ તરફ જતો રોડ કરી રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા પૂરપાટ ઝડપે આવતા બાઈકચાલકે તેને ટક્કર મારી હતી. જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચતા બિપિનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું છે. જોકે, અકસ્માત કરનાર યુવકને પણ ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે. તો બીજી તરફ યુવકને ટક્કર મારનાર બાઈકચાલકના સંબંધીઓ મોડી રાત્રે રેસ્ટોરન્ટ આગળથી બાઈક લઈને ફરાર થઈ ગયા હતા. અકસ્માત કરનાર યુવક કોણ છે અને ક્યાં સારવાર લઈ રહ્યો છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ‘ઇજાગ્રસ્ત હોવા છતાં વાતચીત કરતો હતો’: મુકેશભાઈ માખીજાની
આ ઘટના અંગે દુકાનના માલિક મુકેશભાઈ માખીજાનીએ જણાવ્યું હતું કે, હું પંજાબી ઝાયકા નામની રેસ્ટોરન્ટ ચલાવવું છું અને આ જે બનાવ બન્યો છે તે મારો કારીગર હતો. એ રસ્તો ક્રોસ કરીને એના સંબંધીઓને લેવા જતો હતો અને અકસ્માતના લીધે તેનું મોત થયું છે. ઇજાગ્રસ્ત હોવા છતાં વાતચીત કરતો હતો અને દવાખાને લાવ્યા ત્યાં ટ્રીટમેન્ટ થાય એ પહેલાં મોત થયું છે. પીએમ કર્યા બાદ જે છોકરાએ અકસ્માત કર્યો તેના ઉપર કાર્યવાહી થાય અને મૃતકને ન્યાય મળે તેવી માગ છે. ‘નાના બાળકો અને પત્ની છે સંભાળ કોણ રાખશે?’: શિવમ ગૌતમ
આ અંગે મૃતકના મિત્ર શિવમ ગૌતમે જણાવ્યું હતું કે, અમે લોકો ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસી છીએ અને વડોદરામાં આવીને કામ કરીએ છીએ. મૃતક છોકરાનું નામ બિપિનકુમાર છે. તે મારો મિત્ર છે. 14 નવેમ્બરની રાત્રે 10 વાગ્યાની આસપાસ તેને અહીં એક બાઈકે ટક્કર મારી હતી. બાઈકચાલકે અકસ્માત કર્યાના થોડા સમય પછી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી હતી અને ત્યાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ પોલીસ હજુ સુધી પહોંચી નથી. આ ઘટનામાં બેદરકારી બાઈકચાલકની છે કે તે આટલી ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો. ‘અમને ન્યાય જોઇએ છે, તેના ઘરમાં કોઈ કમાનાર નથી’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તમે CCTVમાં જોશો તો બાઈક પણ સ્પીડમાં દેખાતી નથી. અમે બાઈક ચલાવીએ છીએ પણ આપણે એ જોવું જોઇએ કે કોણ આવે છે.. કોણ જાય છે. તેણે જોરદાર ટક્કર મારી છે છતાં હજુ સુધી પોલીસે કાર્યવાહી કરી નથી. અમે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ કાનપુર લઈ જઈશું. પરંતુ પોલીસે હજુ સુધી કોઇ કાર્યવાહી કરી નથી. હજુ સુધી પોસ્ટમોર્ટમ થયું નથી. આજે 12 વાગ્યા છે, બીજો દિવસ છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. તેના પરિવાર માટે કંઈક મળવું જોઇએ. તેના ઘરમાં કોઈ કમાનાર નથી. તેનો 25થી 30 હજાર પગાર હતો. ‘યુવકના પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલી રહી છે’: એલ.ડી. ગમારા
આ અકસ્માત અંગે માંજલપુર પોલીસ સ્ટેશનના PI એલ.ડી. ગમારાએ જણાવ્યું હતું કે, આ અકસ્માત અંગે અમે ગુનો નોંધ્યો છે. આ અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે તે અંગે કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં યુવકનું પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. અકસ્માત સર્જનાર ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!