સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામે સમસ્ત અખાણી (આહીર) પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય અને ધાર્મિક માહોલમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે સમગ્ર ગામ ભક્તિમય રંગમાં રંગાઈ ગયું છે અને શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સપ્તાહના ચોથા દિવસે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ભજન-કીર્તન, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ગુંજી ઉઠ્યું હતું. બાળકો થી લઈને વડીલો સુધી દરેક વયના લોકો આ ધાર્મિક મહોત્સવમાં ઉમંગભેર જોડાયા હતા.
આ ધાર્મિક સપ્તાહનો પ્રારંભ ચૈત્ર સુદ-૦૯, તા. 27 માર્ચ ૨૦૨૬ ના રોજ શુભ મુહૂર્તમાં કરવામાં આવ્યું હતું. ત્યારથી દરરોજ કથાવાચક દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું ભાવપૂર્ણ અને સરળ ભાષામાં વર્ણન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિ અને ધર્મપ્રત્યેની ભાવના વધુ મજબૂત બની રહી છે.
સપ્તાહ દરમિયાન વિવિધ ધાર્મિક વિધિઓ, પૂજન, ભજન-કીર્તન અને પ્રસાદ વિતરણ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપી ધર્મલાભ મેળવી રહ્યા છે. સમગ્ર આયોજન દરમિયાન શિસ્તબદ્ધ વ્યવસ્થા અને સેવાભાવ પણ નોંધપાત્ર રીતે જોવા મળી રહ્યો છે.
આ મહોત્સવની પૂર્ણાહુતિ ચૈત્ર સુદ-૧૪, તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬, ગુરુવારના રોજ ભવ્ય રીતે યોજાનાર છે, જેમાં વિશેષ પૂજા, હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવશે. આયોજકો દ્વારા પૂર્ણાહુતિના દિવસે વધુમાં વધુ ભક્તો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.
સમસ્ત અખાણી (આહીર) પરિવાર-ધોકાવાડા દ્વારા આયોજિત આ ધાર્મિક સપ્તાહે ગામમાં એકતા, ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ સર્જ્યો છે. આયોજકો દ્વારા સર્વે ધર્મપ્રેમી ભક્તોને આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવાયું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
