ગંભીર ગુનાઓના આરોપીઓના મકાનોમાંથી ગેરકાયદે વીજ કનેક્શન દૂર કરાયા
ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે ભચાઉ પોલીસે અસામાજિક તત્વો સામે કાર્યવાહી વધુ તેજ કરી છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની સૂચના અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે વીજ જોડાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસ દરમિયાન ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કેટલાક આરોપીઓના કબજા હેઠળના મકાનોમાં વીજ મીટર વિના વીજળીનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતને ગંભીરતાથી લઈને પોલીસ ટીમે પીજીવીસીએલના કર્મચારીઓ સાથે સંયુક્ત રીતે સ્થળ તપાસ કરી હતી.
તપાસ બાદ નિયમ વિરુદ્ધ જોવા મળેલા વીજ જોડાણો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા હતા. કોલીયાસરી, મદીનાનગર, માનસરોવર, હિમ્મતપુરા તેમજ જી.ઈ.બી. સામેના ભટ્ટ પાળિયા વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે.
પોલીસના જણાવ્યા મુજબ, કાર્યવાહીનો મુખ્ય હેતુ કાયદો અને વ્યવસ્થા જાળવવા ઉપરાંત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વો પર કાયદેસર રીતે દબાણ વધારવાનો છે. આગામી દિવસોમાં પણ આવા તત્વો સામે નિયમ મુજબની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
આ સમગ્ર કામગીરીમાં ભચાઉ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત પીજીવીસીએલ ભચાઉના કર્મચારીઓ જોડાયા હતા.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

