કેનાલમાં બાવળો અને ઝાડી-ઝાંખરાં ઊગી નીકળતાં સિંચાઈનું પાણી અટક્યું; ખેડૂતોએ જાત મહેનતે કરી કેનાલની સફાઈ
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
સાંતલપુર તાલુકાના ગાંજીસર ગામના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઈંદરવાથી ગાંજીસર જતી મુખ્ય સિંચાઈ કેનાલની લાંબા સમયથી યોગ્ય સફાઈ અને જાળવણી ન થતાં તેમાં મોટા પ્રમાણમાં બાવળિયા તથા ઝાડી-ઝાંખરાં ઊગી નીકળ્યાં હતાં. આ ઉપરાંત કેનાલમાં કચરો જમા થતાં પાણીનો પ્રવાહ પણ અવરોધાયો હતો.
કેનાલમાં પાણીનો પ્રવાહ અવરોધાતા છેવાડાના ખેડૂતો સુધી પૂરતું સિંચાઈનું પાણી પહોંચી શક્યું નહોતું. જેના પરિણામે પાણીના અભાવે ખેડૂતોના પાકને નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ હતી.
સ્થાનિક તંત્ર અને સિંચાઈ વિભાગની કામગીરી સામે રોષે ભરાયેલા ગાંજીસર ગામના ખેડૂતો આખરે એકજૂથ થયા હતા. સરકારી તંત્રની કામગીરીની રાહ જોવાને બદલે ખેડૂતોએ સ્વખર્ચે અને જાત મહેનતે કેનાલમાંથી બાવળિયા તથા ઝાડી-ઝાંખરાં દૂર કરી સફાઈ હાથ ધરી હતી. ખેડૂતોએ કેનાલમાં પાણીનો પ્રવાહ ફરીથી સુચારુ બને તે માટે શ્રમદાન કરીને સફાઈ ઝુંબેશ ચલાવી હતી.
ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે દર વર્ષે કેનાલની જાળવણી અને સફાઈ માટે સરકારી બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં સમયસર યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. જેના કારણે ખેડૂતોને સિંચાઈના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પાકને નુકસાન થાય છે.
ખેડૂતોએ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ નીચે મુજબની માંગણીઓ કરી છે:
1. સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓની કામગીરી અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને બેદરકારી સાબિત થાય તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
2. કેનાલની સમયસર સફાઈ અને જાળવણી ન થવાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન અંગે યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવામાં આવે.
3. ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કેનાલની નિયમિત સફાઈ અને જાળવણીની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ જેવી મૂળભૂત સુવિધામાં બેદરકારીનો સીધો ભોગ ખેડૂતોને બનવું પડે તે ગંભીર બાબત છે. જો સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ મુદ્દે વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

