પાટણ જિલ્લાના હારીજ તાલુકાના ખાખડી ગામની પ્રાથમિક શાળામાં આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તા અંગે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.










ગ્રામજનોનું કહેવું છે કે શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનમાં ગુણવત્તાનો ભંગ થતો હોય છે.
બાળકોને મળતા ભોજનમાં વારંવાર વાળ, જીવજંતુ તથા ધૂળધાંણ જેવા અશુદ્ધ પદાર્થો જોવા મળતા હોવાથી અભિભાવકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
આ મુદ્દે ગ્રામજનો દ્વારા શાળાના મધ્યાહન ભોજન સંચાલકને રજૂઆત કરવામાં આવી હતી.
પરંતુ રજૂઆત બાદ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે સંચાલકના સગા-સંબંધીઓ દાદાગીરી કરવા ઊતરી આવ્યા હતા.
ગ્રામજનોના જણાવ્યા અનુસાર સંચાલકના સગાએ ગામજનોને અપશબ્દો બોલી ધમકી આપી હતી તેમજ લાકડી વડે મારપીટ કરવા માટે પણ આગળ વધ્યા હતા.
જેના કારણે શાળાના પરિસરમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું.
સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સરકારના ખર્ચે બાળકોને પોષણયુક્ત અને સ્વચ્છ ભોજન મળવું જોઈએ, પરંતુ ખાખડી ગામમાં બાળકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે.
ગ્રામજનોમાં આ મુદ્દે ભારે રોષ ફેલાયો છે અને તેઓએ તંત્રને તાત્કાલિક દખલ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
ગ્રામજનોનો આગ્રહ છે કે બાળકોને ગુણવત્તાયુક્ત મધ્યાહન ભોજન ઉપલબ્ધ કરાવવું જોઈએ તેમજ ભોજન વ્યવસ્થામાં બેદરકારી દાખવનાર સંચાલક અને તેમના સગા-સંબંધીઓ વિરુદ્ધ યોગ્ય કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ ઘટનાના પગલે હારીજ તાલુકા સહિત પાટણ જિલ્લામાં મધ્યાહન ભોજન યોજનાની અમલવારી અંગે પ્રશ્નચિહ્ન ઊભા થયા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
