ભચાઉ તાલુકાના મોરગર ગામની વર્ષોથી ચાલતી વિકાસસંબંધી માંગણીઓને સાકાર કરવા માટે ગામના કર્મનિષ્ઠ, સેવાભાવી અને યુવા સરપંચ શ્રી રાજેશભાઈ આહિર દ્વારા સતત અને અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.

આ રજૂઆતો રાપર ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી તથા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સમક્ષ કરવામાં આવતા વિકાસકાર્યોને મંજૂરી મળી અને આજે તે કાર્યો મૂર્તિમંત બનતાં તારીખ 08-01-2026ના રોજ મોરગર પ્રાથમિક શાળાના પટાંગણમાં ભવ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત મોરગર ગામમાં રૂ. 140 લાખના ખર્ચે નિર્મિત આધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી શાળા ઈમારતથી ગામના બાળકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક વાતાવરણ મળશે. પૂરતા વર્ગખંડો, હવામાં ખુલ્લી વ્યવસ્થા, યોગ્ય લાઇટ-વેન્ટિલેશન, સ્વચ્છ પીવાના પાણી તથા શૌચાલય જેવી સુવિધાઓથી વિદ્યાર્થીઓની હાજરી અને અભ્યાસ પ્રત્યે રસ વધશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના બાળકોને શહેર સમકક્ષ શિક્ષણ સુવિધા મળવાથી ડ્રોપઆઉટ દર ઘટશે અને ભવિષ્યમાં ગામનું શૈક્ષણિક સ્તર ઉંચું જશે.
આ સાથે રૂ. 210 લાખના ખર્ચે મોરગર–દેશલપર નવા રોડ તથા રૂ. 100 લાખના ખર્ચે મોરગર ગામના આંતરિક સીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. નવા રોડના નિર્માણથી દેશલપર ગામને તાલુકા અને આસપાસના વિસ્તારો સાથે ઝડપી અને સુરક્ષિત માર્ગ જોડાણ મળશે. વાહન વ્યવહાર સરળ બનશે અને સમય તથા ખર્ચ બંનેમાં બચત થશે. આંતરિક સીસી રોડથી ગામના રહેણાંક વિસ્તારોમાં કાદવ-ધૂળની સમસ્યા દૂર થશે તેમજ વરસાદી મોસમમાં ચાલવા-ફરવામાં થતી મુશ્કેલીઓમાંથી ગ્રામજનોને રાહત મળશે.
આ મહત્વપૂર્ણ વિકાસ પ્રસંગે લોકલાડીલા રાપર ધારાસભ્ય શ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ગેલાભાઈ આહિર, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રાણુભા જાડેજા, તાલુકા પંચાયત કાર્યકારી પ્રમુખ શ્રી પરબતભાઈ આહિર, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ગોપાલભાઈ આહિર, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી વાઘુભા જાડેજા, ભચાઉ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વાઘજીભાઈ આહિર, ગોપાલક નિગમના પૂર્વ ચેરમેન શ્રી અરજણભાઈ રબારી, ભચાઉ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી દેવશીભાઈ રબારી, આજુબાજુના વિસ્તારના સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
મહેમાનો દ્વારા મોરગર ગામના વિકાસ માટે સરકારની વિકાસલક્ષી નીતિઓ અને સ્થાનિક પ્રતિનિધિઓની સક્રિય ભૂમિકાને વખાણી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી ઈશ્વરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભારવિધિ શ્રી ખીમજી કાંઠેચા દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ વિકાસ, ઉત્સાહ અને લોકહર્ષથી ભરપૂર રહ્યો હતો.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
