રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ હતી તે હવે નબળી પડી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી જશે. આગામી બે દિવસ સુધી કેટલાક જિલ્લાઓમાં છૂટો-છવાયો વરસાદ થઈ શકે છે. જો કે, હજુ દરિયાકાંઠાના વિસ્તારમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ યથાવત્ છે. આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, કચ્છ અને જૂનાગઢમાં છૂટો-છવાયો વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના આસપાસના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. એક અઠવાડિયા સુધી વાતાવરણમાં કોઈ પણ વધારે બદલાવ જોવા નહીં મળે. સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ પણ પ્રકારનો બદલાવ જોવા મળશે નહીં. હવામાન વિભાગની આગાહીના પગલે, આજે જુનાગઢ અને ભાવનગરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જુનાગઢમાં ચાલુ વરસાદે લોકો ગિરનાર પર્વત પર ચઢાણ કરી રહ્યાં હતાં. અમદાવાદ અને બોટાદમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. સરકાર ટૂંક સમયમાં પાક નુકસાનનું રાહત પેકેજ જાહેર કરશે
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર ખેડૂતોની સાથે સંવેદનશીલ રીતે ઉભી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી જણાવ્યું કે, રાજ્યના મંત્રીઓએ પ્રત્યક્ષ સ્થળ પર જઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે અને તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા તેમજ સર્વેની કામગીરી તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું સતત મંત્રીઓ અને અધિકારીઓ સાથે સંકલનમાં છું. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખેડૂતોને રાહત-સહાય પેકેજ જાહેર કરશે. રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ આ ઝડપી કાર્યવાહીથી ખેડૂતોને ટૂંક સમયમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગિરનાર અને ભવનાથમાં ધીમીધારે વરસાદ શરૂ
જુનાગઢમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલમાં ગિરનાર પર્વત પર જવા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી રહી છે. પરિક્રમા રદ થતાં શ્રદ્ધાળુઓનો ગિરનાર તરફ ધસારો વધ્યો છે. ચાલુ વરસાદે પણ લોકો ગિરનાર પર્વત ચડી રહ્યાં છે. અમદાવાદ-બોટાદમાં ગાઢ ધુમ્મસ છવાયું
આજે વહેલી સવારે અમદાવાદમાં હીલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધુમ્મધભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિઝિબિલિટી ઘટી જવાના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદના એસજી હાઈવે પર ધુમ્મધભર્યુ વાતાવરણ થતા વાહનચાલકોને વાહનની લાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી. તો બોટાદમાં પણ રાતથી જ ધુમ્મસ ભર્યું વાતાવારણ જોવા મળ્યું હતું. 10 ફૂટના અંતરે જોવા પણ લોકો માટે મુશ્કેલ બન્યું હતું. (1 નવેમ્બરના વરસાદની પળેપળની અપડેટ)
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!