સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું છે પણ છેલ્લા એક-બે વર્ષથી જે રીતે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, તેના પગલે ટ્રાફિક સિટી તરીકે ઓળખ થવા લાગે તો નવાઈ નહીં. એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે જ્યારે સીટીની મધ્યમાં આવેલા સુરત રેલ્વે સ્ટેશનની પણ રિ-ડેવલોપમેન્ટની કામગીરી ચાલી રહી છે. આ બંને કામગીરીને કારણે લોકો દિલ્હી મુંબઈ જેવા ટ્રાફિકજામમાં ફસાઈ રહ્યા છે. આજે રાત્રે પીક અવર્સમાં 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દૃશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. મેટ્રો અને રેલવે રિ-ડેવલોપમેન્ટનો પ્રોજેક્ટ નાગરિકો માટે સૌથી મોટી મુસીબત
જે શહેરને તેના સમૃદ્ધ ટેક્સટાઇલ અને ઝગમગતા ડાયમંડ ઉદ્યોગ માટે “ડાયમંડ સિટી” તરીકે વૈશ્વિક ઓળખ મળી છે, તે સુરત હવે છેલ્લા એક-બે વર્ષથી સર્જાતા ભયંકર ટ્રાફિક જામને કારણે એક નવી, અનિચ્છનીય ઓળખ તરફ ધકેલાઈ રહ્યું છે ‘ટ્રાફિક સિટી’. શહેરના વિકાસ માટે ચાલી રહેલી બે મહત્ત્વની કામગીરી મેટ્રો રેલ પ્રોજેક્ટ અને સુરત રેલવે સ્ટેશનનું રિ-ડેવલોપમેન્ટ હાલમાં નાગરિકો માટે સૌથી મોટી મુસીબત બની ગઈ છે. શહેરના હાર્દ સમા વિસ્તારમાં એકસાથે ચાલી રહેલા આ મોટા પ્રોજેક્ટ્સને કારણે વાહનવ્યવહારની ગતિ અટકી ગઈ છે. આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છે
સુરત રેલવે સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ (MMTH) તરીકે વિશ્વસ્તરીય બનાવવાની મહત્ત્વાકાંક્ષી કામગીરી ચાલી રહી છે. જોકે, આ કામગીરીને કારણે જાહેર માર્ગો પર મોટો અવરોધ ઊભો થયો છે. ખાસ કરીને દિલ્હી ગેટ વિસ્તારથી લઈને રિંગરોડ સુધીના મુખ્ય માર્ગ પર સ્ટેશનના કામકાજને લીધે બેરીકેટિંગ કરી દેવામાં આવ્યું છે. આ બેરીકેટિંગને કારણે રોડની પહોળાઈ ઘટી ગઈ છે અને ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. આ સાથે જ રીંગરોડ પર મેટ્રોની કામગીરી ચાલી રહી છે. જેના કારણે થોડા થોડા દિવસોના અંતરે અલગ-અલગ રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે. હાલ પણ મજુરાગેટ બ્રિજની સાઈડના રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. પરિણામે, આ રૂટ પર રોજબરોજ વાહનોની લાંબી કતારો જોવા મળે છે. મજુરા ગેટથી લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશન સુધી 5 KMનો ટ્રાફિકજામ
આજે રાત્રે પીક અવર્સ દરમિયાન મજુરા ગેટથી લઈને મહીધરપુરા પોલીસ સ્ટેશન સુધી પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ પાંચ કિલોમીટરના ટ્રાફિક જામના કારણે ઉધના ખરવર નગરથી ઉધના દરવાજા સુધી પણ ટ્રાફિકજામ સર્જાઈ ગયો હતો. આ દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા, જેમાં રસ્તાઓ પર વાહનોના થપ્પા લાગી ગયા હોય તેવું જોવા મળ્યું હતું. વર્તમાન સ્થિતિ સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહી છે
એક તરફ મેટ્રોની કામગીરીને કારણે પણ શહેરના અનેક માર્ગો પર ખોદકામ અને ડાયવર્ઝન છે, અને બીજી તરફ રેલવે સ્ટેશનના રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. આ બંને મોટા પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં સુરતની કાયાપલટ કરવાના છે અને મુસાફરીને સરળ બનાવશે, પરંતુ વર્તમાનમાં તે સુરતવાસીઓની ધીરજની કસોટી કરી રહ્યા છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!