અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યો છે. એને લઈને આજે 26 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડીને નવો બનાવવો કે માત્ર ઉપરનું સુપર સ્ટ્રક્ચર તોડી તેમજ જે સ્પાનમાં ખામી છે એને દૂર કરી રિપેરિંગ કરવો એ અંગે નિર્ણય લેવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી દ્વારા બપોરે ત્રણ વાગ્યે આ મામલે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. નિર્ણય લેવાય એ પહેલાં સુભાષબ્રિજનો ડિજિટલ સર્વે કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે તથા નિષ્ણાત એજન્સીએ જર્મન ટેક્નોલોજી, AI, 3D મેપ સાથે ડિજિટલ સર્વે કરવાની શરૂઆત પણ કરી દીધી છે. અંદાજિત એક અઠવાડિયામાં ડિજિટલ સર્વેની કામગીરી પૂર્ણ કરાશે, જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જે રિપોર્ટ આવ્યા છે એના આધારે આજે નિર્ણય લેવામાં આવશે. અગાઉ સુભાષબ્રિજનું અલગ અલગ નિષ્ણાતો પાસે ટેસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું, જેમાં કન્સલ્ટન્ટ એજન્સીઓએ બ્રિજને તોડી પાડવાની સલાહ આપી હોવાનું જાણવા મળ્યું છે. બ્રિજનું 50 વર્ષથી વધુનું આયુષ્ય, જૂની ટેક્નોલોજી અને ટ્રાફિકના વધતા ભારણને કારણે આ બ્રિજને તોડવાનો જ બેસ્ટ વિકલ્પ છે. ગઈ 4 ડિસેમ્બરના રોજ અમદાવાદના સુભાષબ્રિજમાં તિરાડ હોવાનો અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના સામે આવી હતી. એ બાદ તંત્ર દ્વારા બ્રિજને બંધ કરીને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરાવવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશને અમુક એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ એજન્સીઓને બ્રિજની મજબૂતાઈ ચકાસવાનું તેમજ રિપેરિંગ માટેના રસ્તા સૂચવવાનું કામ સોંપ્યું હતું. આ ઉપરાંત IIT રૂડકી, IIT મુંબઈ તેમજ SVNIT જેવી સંસ્થાઓ પાસે ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. સુભાષબ્રિજનો ડિજિટલ સર્વે શરૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુભાષબ્રિજનું ડિજિટલ સર્વે કરાવવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. જર્મન ટેકનોલોજીની મદદથી ડિજિટલ સર્વે કરવાની શરૂઆત કરવામાં આવી છે. સુભાષબ્રિજના સ્પાન, પિલર અને તમામ ભાગોનો ડિજિટલ સર્વે કરવામાં આવશે. બ્રિજમાં ક્યાં ખામી છે એ અંગેની સંપૂર્ણ જાણકારી અઠવાડિયામાં મળશે
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાત એજન્સી પાસે ડિજિટલ સર્વે કરાવવામાં આવી રહ્યો છે, જેમાં આખા સુભાષબ્રિજમાં ક્યાં, શું ખામી છે એની સંપૂર્ણપણે માહિતી આ સર્વે દ્વારા જાણવા મળશે. અંદાજે એક અઠવાડિયામાં આ અંગેની પણ જાણકારી મળી જશે. જર્મન ટેક્નોલોજી, AI, 3D મેપ સાથે ડિજિટલ સર્વે થશે
જર્મન ટેક્નોલોજીની મદદથી ડિજિટલ સર્વે કરવામાં આવશે, જેમાં AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે, 3D મેપ સાથે આ સમગ્ર સર્વે થશે. પ્રાથમિક રિપોર્ટના આધારે આજે નિર્ણય લેવાશે
દેશનાં અન્ય રાજ્યોમાં પણ આ મુજબ ડેમનો સર્વે કંપની દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે હવે આ ટેકનોલોજીની મદદ લઈ બ્રિજની સંપૂર્ણ માહિતી મેળવાશે, જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જે રિપોર્ટ આવ્યા છે એના આધારે આજે નિર્ણય લેવામાં આવશે. કન્સલ્ટન્ટ એજન્સીઓએ રિપોર્ટમાં ત્રણ વિકલ્પ સૂચવ્યા
કન્સલ્ટન્ટ એજન્સીઓએ 23 ડિસેમ્બર, મંગળવારે તેમનો રિપોર્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપ્યો હતો, જેમાં મુખ્ય ત્રણ પ્રકારનાં સોલ્યુશન સૂચવવામાં આવ્યાં છે. એમાં એક વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો છે, જ્યારે બીજો વિકલ્પ બ્રિજનો જે ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે એ સ્પાનની નીચે વધારાનો એક પિલર ઊભો કરીને મજબૂતાઈ આપવાનો છે, જ્યારે ત્રીજો વિકલ્પ બ્રિજનું ઉપરનું તમામ સ્ટ્રક્ચર નીચે ઉતારી સ્ટીલનું સ્ટ્રક્ચર બનાવી બ્રિજને ચાલુ કરવાનો છે, જોકે નાગરિકોની સલામતી અને શહેરના વિકાસને ઘ્યાનમાં રાખી લાંબા ગાળા પ્લાનિંગ મુજબ જૂના બ્રિજને તોડી નવો બ્રિજ બનાવવાનો જ બેસ્ટ વિકલ્પ છે. આ પણ વાંચો:- અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષબ્રિજના સ્પાનનો ભાગ બેસી ગયો, વાહનચાલકોએ દધીચિબ્રિજનો ઉપયોગ કરવો નવો સુભાષબ્રિજ મોટો અને પહોળો બનાવાશે
સૂત્રોના જણાવ્યા મુજબ, કન્સલ્ટન્ટ એજન્સીઓએ સૂચવેલા ત્રણેય વિકલ્પમાં તંત્રને સૌથી સારો વિકલ્પ બ્રિજને તોડી પાડવાનો લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે, કેમ કે સુભાષબ્રિજ જૂની ટેક્નોલોજીથી બનેલો છે અને આયુષ્ય 50 વર્ષનું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ડિઝાઈન પણ નવા જમાનાના ટ્રાફિકને અનુરૂપ નથી. આવી સ્થિતિમાં રિપેરિંગ કરવા કરતાં સુભાષબ્રિજને હવે મોટો અને પહોળો બનાવવામાં આવશે. રાજ્ય સરકાર કે કોર્પોરેશન જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથી
આ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપના સત્તાધીશો મોરબી અને ગંભીરા દુર્ઘટના બાદ બ્રિજમાં કોઇ દુર્ઘટના સર્જાય નહીં એ માટે સુભાષબ્રિજને પણ રિપેર કરાવવાનું જોખમ કે જવાબદારી લેવા તૈયાર નથી. એની જગ્યાએ નવો અને હયાત જગ્યાનો ઉપયોગ કરીને ફોરલેન સુભાષબ્રિજ બનાવવામાં આવે આવી શકે છે. કોમનવેલ્થ અને ઓલિમ્પિક ગેમ્સને જોઈને લાંબા ગાળાનું આયોજન
અમદાવાદ વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા જઈ રહ્યું છે તેમજ વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સના યજમાન પદ માટે દાવેદારી કરી રહ્યું છે ત્યારે લાંબા ગાળાનું આયોજન જરૂરી છે. બ્રિજને હાલ રિપેરિંગ કરીને કામ ચલાવી લેવામાં આવે અને ભવિષ્યમાં ન કરે તથા કોઈ દુર્ઘટના સર્જાય તો અમદાવાદની શાખ પર મોટી અસર થઈ શકે એમ છે. આ માટે તંત્ર લાંબા ગાળાના આયોજનને લઈને જૂના બ્રિજને તોડી પાડવાના મૂડમાં છે. સાબરમતી નદીના પાણીમાં નવો બ્રિજ બનાવતાં દોઢ-બે વર્ષ લાગી શકે છે
નવો બ્રિજ બનાવવામાં સૌથી મોટી ચેલન્જ પાણીની આવવાની છે. સાબરમતી રિવરફ્રન્ટમાં બારે માસ પાણી ભરેલું હોય છે. પાણી વચ્ચે બ્રિજ બનાવવો સૌથી મોટી ચેલેન્જ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, નવો બ્રિજ નવી ટેક્નોલોજીથી બનાવવામાં આવશે તેમજ પહોળો અને નવા ટ્રાફિકના ફ્લો મુજબનો હશે. શું છે સમગ્ર મામલો?
અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતો અને શહેરોનું પ્રવેશદ્વાર કહેવાતા એવા 52 વર્ષ જૂના સુભાષબ્રિજને 4 ડિસેમ્બરની સાંજે 6 વાગ્યા આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો. બ્રિજના બંને તરફનો એક સ્પાનનો ભાગ બેસી ગયો હતો. એને કારણે બ્રિજ મધ્ય ભાગમાંથી બેસી જવા અને તિરાડ પડવાને કારણે તાત્કાલિક ધોરણે બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો, જોકે રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરી હતી, જોકે AMCના અધિકારીઓ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના અચાનક સાંજે છ વાગ્યાની આસપાસ પીક અવર્સમાં જ બ્રિજ બંધ કરાતાં નારાયણ ઘાટ અને સુભાષબ્રિજ સર્કલ પાસે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!