રૂ. ૭૩૦ લાખના ખર્ચે વિકાસકાર્ય પ્રગતિમાં: સાંતલપુર તાલુકાના ગામોને મળશે સુરક્ષિત અને સુગમ માર્ગ સુવિધા

પાટણ જિલ્લામાં માર્ગ અને મકાન રાજ્ય વિભાગ હસ્તકના રાધનપુર પેટા વિભાગ હેઠળ ૭ વર્ષ પૂર્ણ થયેલ એમ.ડી.આર./ઓ.ડી.આર. માર્ગને સમતલ અને મજબૂત બનાવવા અંતર્ગત વૌવા–દાત્રાણા મુખ્ય જિલ્લા માર્ગ (કી.મી. ૦/૦૦ થી ૮/૮૧૦) ના મજબુતીકરણ માટે સરકારશ્રી દ્વારા તા. ૦૧/૦૭/૨૦૨૫ના પત્રથી રૂ. ૭૩૦.૦૦ લાખની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે.
આ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત વૌવા–દાત્રાણા મુખ્ય જિલ્લા માર્ગ પર રીસરફેસીંગ, સી.સી. રોડ, એફડીઆર, પ્રોટેકશન વોલ, રોડ ફર્નીશીંગ તથા વિવિધ સ્ટ્રકચરલ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ કામગીરી માટે ઇજારદારશ્રી ગાયત્રી કન્સ્ટ્રક્શનને તા. ૨૫/૧૧/૨૦૨૫ થી વર્ક ઓર્ડર એનાયત કરવામાં આવ્યો છે.
સદર કામગીરીમાં હાલ પાઇપ કલ્વર્ટ, કોઝ-વે તથા વેરિંગ કોટની કામગીરી પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં ડામર કામ શરૂ થનાર છે. સમગ્ર કામગીરીમાંથી અંદાજે ૩૫ ટકા કામ પૂર્ણ થયેલ છે અને બાકીની કામગીરી સંભવિત તા. ૨૪/૦૫/૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
આ રસ્તાના વિકાસથી સાંતલપુર તાલુકાના વૌવા, દાત્રાણા, સાંતલપુર તેમજ તેને જોડતા અન્ય ગામોના રહેવાસીઓને સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો લાભ મળશે. માર્ગની સુધારેલી સપાટીથી મુસાફરીનો સમય ઘટશે, ઇંધણનો બચાવ થશે તેમજ સ્થાનિક નાગરિકોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય આવશ્યક સેવાઓ સુધી વધુ સરળ અને ઝડપી પહોંચ સુલભ બનશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
