રાધનપુર: વોર્ડ-1માં રોડ, રસ્તા, પાણી અને ગટરની સમસ્યાઓને લઈને નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગયેલા સ્થાનિકો અને નગરસેવક જયા ઠાકોર તથા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષી વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વોર્ડ-1ના નાગરિકો પોતાના વિસ્તારની પાણી, ગટર અને રસ્તાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવા નગરપાલિકા પહોંચ્યા હતા. તેમની સાથે વોર્ડના ચૂંટાયેલા નગરસેવક અને વિપક્ષના નેતા જયા ઠાકોર પણ હાજર હતા. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ માત્ર પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા હતા, કોઈ પ્રકારના ઝઘડા કે હુમલાના ઇરાદા સાથે નહીં.
બીજી તરફ, નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જોષીએ ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો હતો કે જયા ઠાકોર અને મોટી સંખ્યામાં લોકો ટોળું લઈને આવ્યા હતા અને હુમલાનો પ્રયાસ થયો હતો. આ આક્ષેપોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જયા ઠાકોર અને સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો ખરેખર કોઈ ધમકી કે હુમલાનો પ્રયાસ થયો હોય તો તેના પુરાવા જાહેર કરવા જોઈએ. તેમણે માંગ કરી છે કે તે સમયના પ્રમુખના ચેમ્બરના તમામ CCTV ફૂટેજ જાહેર કરવામાં આવે જેથી હકીકત સામે આવી શકે.
સ્થાનિકોનું કહેવું છે કે નાગરિકોને પોતાની સમસ્યાઓ અંગે રજૂઆત કરવાનો બંધારણીય અને લોકશાહી અધિકાર છે. તેમના મતે, મોટી સંખ્યામાં લોકો પ્રશ્નોને લઈને રજૂઆત કરવા આવે તો તેને હુમલા કે ધમકી તરીકે રજૂ કરવું યોગ્ય નથી.
આ દરમિયાન સ્થાનિકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે રજૂઆત દરમિયાન નગરપાલિકા પ્રમુખ બેઠક છોડીને નીકળી ગયા હતા અને બાદમાં સમગ્ર ઘટનાને અલગ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વોર્ડ 1 તથા રાધનપુર ના અન્ય રહેવાશી ઓ અને નગરસેવક જયા ઠાકોરે ચેતવણી આપી છે કે જો સોમવાર સુધીમાં પાણી, ગટર, રસ્તા સહિતની સમસ્યાઓના ઉકેલ માટે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો લોકહિતના પ્રશ્નોને લઈને નગરપાલિકા ખાતે ધરણા-પ્રદર્શન કરવામાં આવશે..
સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પોતાના વિસ્તારના વિકાસ અને મૂળભૂત સુવિધાઓ માટેની લડત ચાલુ રાખશે અને પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી રજૂઆતો કરતા રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
