ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે આજે (6 નવેમ્બર) ગીર સોમનાથના વેરાવળ-સોમનાથથી “ખેડૂત આક્રોશ યાત્રા”નો પ્રારંભ કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેતરે-ખેતરે જઈ ખેડૂતોની વેદના સાંભળશે અને 13મીએ દ્વારકામાં એનું સમાપન થશે. યાત્રાના પ્રારંભમાં વેરાવળમાં સભા સંબોધન બાદ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ સોમનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યા હતા અને મંદિર પરિસરમાં “જય જવાન, જય કિસાન” તથા “હર હર મહાદેવ”ના નારા લગાવ્યા હતા. હવે આ યાત્રા વેરાવળથી તલાલા જવા રવાના થઈ છે. “ખેડૂતોનું દેવું માફ… નહીં તો ભાજપ સાફ”
વેરાવળ ખાતે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના નેતાઓએ આક્રમક સંબોધન કર્યું હતું. અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે, આ જનાક્રોશ યાત્રા કોઈ ચૂંટણી કે મત લેવા માટે નહીં, પરંતુ જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેના આક્રોશને વાચા આપવા અને તેના હક-અધિકારની લડાઈ લડવા માટે શરૂ કરાઈ છે. તેમણે ઉદ્યોગપતિઓના માફ થતા દેવા સામે ખેડૂતોનું દેવું માફ ન કરવા બદલ સરકારને ઘેરી હતી અને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ શાંતિથી ઝંપશે નહીં. સભામાં મુખ્ય નારો ગુંજ્યો હતો કે “કુદરત રૂઠી… સરકાર જૂઠી…” અને “ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ… નહીં તો ભાજપ સાફ…” હવે કમળ ગંધાય છે- લાલજી દેસાઈએ બળાપો કાઢ્યો
આ સભામાં સેવા દળ પ્રમુખ લાલજી દેસાઈએ આક્રમક ઉદ્બોધન કરતા કહ્યું કે, “આ કમળ કાદવમાં ખીલે… પણ હવે કાદવ નકરો ગંધાય છે.” તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવા માફીનો દાખલો આપીને કહ્યું કે “બોલેલું પાળે એને નેતા કહેવાય.” લલિત કગથરાએ ભાજપના 165 ધારાસભ્યને મોદી-શાહના ‘પ્યાદા’ ગણાવ્યા
લલિત કગથરાએ ખેડૂતોને જ્ઞાતિ-જાતિના રાજકારણથી ઉપર ઉઠીને ‘ખેડૂત તરીકે’ રહેવા હાકલ કરી અને ભાજપના 165 ધારાસભ્યને મોદી-શાહના ‘પ્યાદા’ ગણાવ્યા. જ્યારે જિલ્લા પ્રમુખ પૂંજા વંશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતકાળના ભાષણો સંભળાવી વર્તમાન પરિસ્થિતિ સાથેના વિરોધાભાસને ઉજાગર કર્યો હતો. આ યાત્રા દ્વારા કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી, પાક યોજના અને ખોટી જમીન માપણી રદ કરવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે. પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા મદદની દુહાર
ખેડૂતોના પ્રશ્નોની સાથે, વેરાવળની જાહેરસભામાં બાદ સોમનાથમાં માછીમાર સમુદાયની બહેનોએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા મદદની દુહાર કરી હતી. અમિત ચાવડાએ તેમને આશ્વાસન આપીને આ ગંભીર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને સત્તાવાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!