નાની નાગલપરથી અંજાર ટાઉનહોલ સુધીની પદયાત્રામાં 

બહોળી સંખ્યામાં શહેરીજનો થયા સહભાગી

સ્વદેશી વસ્તુના વપરાશ થકી આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરીએ

: ઉચ્ચ અને ટેકનિક્લ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંકલ્પ સાથે

યોજાયેલી પદયાત્રાનું વિવિધ સંસ્થાઓ, સમાજ દ્વારા અભિવાદન કરાયું

એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં ‘સરદાર @ ૧૫૦ યૂનિટી માર્ચ’ પદયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે અંજાર વિધાનસભા વિસ્તારની પદયાત્રાને નાની નાગલપરથી રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જણાવ્યું હતુ કે, આઝાદ ભારતની અખંડિતતા માટે સરદાર પટેલે કૂનેહ વાપરીને દેશને એક તાંતણે જોડયો છે ત્યારે આ અખંડિતતાને જાળવી રાખીને એકજૂટ બનીને વિકસિત ભારતનું સ્વપન આપણે સાકાર કરવાનું છે. તેમણે દેશને આત્મનિર્ભર ભારતના સ્વેદેશી અપનાવવા અનુરોધ કર્યો હતો. આ પદયાત્રાના સંદેશ વિશે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે, આ પર્વના માધ્યમથી આપણે સરદાર સાહેબના આદર્શોને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.”જે રીતે સરદાર સાહેબે દેશને ભૌગોલિક રીતે એક કર્યો, તે જ રીતે આપણે પણ ભેદભાવ ભૂલીને ભારતને વિશ્વગુરુ બનાવવાના સંકલ્પમાં જોડાઇએ.

આ પ્રસંગે કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારતના શિલ્પી છે, તેમણે રજવાડાઓનું અખંડ ભારતમાં વીલીનીકરણ કરી દેશને કરાવ્યું હતું. સરદાર પટેલના આવા કાર્યોથી લોકો પરિચિત થાય તેવા ઉમદા હેતુ સાથે આ પદયાત્રા યોજાઈ રહી છે. દેશ હિતમાં સરદારે કરેલા કાર્યોના વિકાસના રૂપમાં આજે આપણે જોઈ રહ્યા છીએ. વધુમાં, તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે, જે આગામી સમયમાં વિશ્વના દેશોને દિશાનિર્દેશો આપશે.

નાની નાગલપરથી શરૂ થયેલી પદયાત્રા યોગેશ્વર ચોકડી, સવાસર નાકા, જુના સ્વામીનારાયણ મંદિર, ગંગાનાકા પાંજરાપોળ, જડેશ્વર મહાદેવ, ગાયત્રી ચાર રસ્તા, દેવળીયા નાકા તથા અંજાર ટાઉનહોલ ખાતે સરદાર વલ્લભાઇ પટેલની પ્રતીમા ખાતે સમાપ્ત થઈ હતી. પદયાત્રા સમગ્ર રૂટ પર મહાનુભાવો સહિત સૌ કોઈ ઉત્સાહ સાથે તિરંગો લહેરાવી જોડાયા હતા.

પદયાત્રાના પ્રારંભ પૂર્વે સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના શપથ ગ્રહણ કર્યા હતા. ઉપરાંત, યૂનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટાઉનહોલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

વિધાનસભા વિસ્તારની પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખશ્રી વૈભવ કોડરાણી, ડૉ. સંજયભાઇ દેસાઇ, અગ્રણીશ્રી દેવજીભાઇ વરચંદ, શ્રી નરેન્દ્ર પ્રજાપતિ, શ્રી ધવલ આચાર્ય, શ્રી દિલીપભાઇ, પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી સહિત અધિકારીઓ, કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!