મહેસાણા જિલ્લા પંચાયતની 32-રાંતેજ બેઠકના ભાજપના સદસ્ય વીરેન્દ્રસિંહ કીર્તિસિંહ ઝાલાએ મનરેગા અને વિકાસના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ ખુદ ભાજપના નેતા દ્વારા કરવામાં આવ્યો છે. રૂપપુરા ગામના અને ભાજપના બેચરાજી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રહલાદસિંહ વદનસિંહ ઝાલાએ DDOને અરજી કરી છે. આ અરજીમાં પ્રહલાદસિંહ ઝાલાએ સદસ્ય વીરેન્દ્રસિંહ ઝાલાને તાત્કાલિક સભ્યપદેથી દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે. પરિવારના નામે જોબકાર્ડ બનાવી ગેરરીતિ આચર્યાનો આક્ષેપ
અરજદાર પ્રહલાદસિંહ વદનસિંહ ઝાલાના જણાવ્યા મુજબ, જિલ્લા સદસ્ય વીરેન્દ્રસિંહ ઝાલા અને તેમનાં પત્ની પૂર્વ સરપંચ દ્વારા 2015થી 2025 દરમિયાન મનરેગા યોજના, વોટરશેડ યોજના અને અન્ય વિકાસ કાર્યોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. મુખ્ય આક્ષેપ એ છે કે, ઝાલા પરિવારે એક જ પરિવારના 6થી 7 સભ્યોના નામે અલગ-અલગ જોબકાર્ડ બનાવીને નાણાં ખાતામાં જમા કરાવ્યા છે. ‘ગામ લોકોના પૈસા થયેલું કામ બતાવી ગ્રાન્ટ મેળવી લીધી’
2018-19માં કરણસાગર ગામે તળાવ ઊંડું કરવાના (વર્ક કોડ-87763) અને માટીકામના (વર્ક કોડ-47338) કામોમાં લાખો રૂપિયાના બીલ પરિવારના જોબકાર્ડના આધારે પાસ કરાવ્યા હોવા છતાં સ્થળ પર કામ થયું નથી. કરણસાગર ગામમાં રસ્તાનું માટીકામ ગામના લોકોએ પૈસા ઉઘરાવીને કરાવ્યું હોવા છતાં તેના નાણાં સરકારી ગ્રાન્ટમાંથી ગેરરીતિ દ્વારા મેળવ્યાનો આક્ષેપ છે. ‘એક જ ગામને 68.49 લાખના પેવર બ્લોકના કામો આપી સત્તાનો દુરુપયોગ કર્યા’
અરજીમાં સૌથી મોટો મુદ્દો 2021-22માં કરણસાગર ગામમાં થયેલા વિકાસ કાર્યોનો છે. આ સમયગાળામાં એક જ ગામ કરણસાગરને મનરેગા અંતર્ગત એકીસાથે કુલ 11 પેવરબ્લોકના કામો ફાળવવામાં આવ્યા, જેની કુલ રકમ રૂ. 68.49 લાખ થાય છે. અરજદારનો દાવો છે કે, બેચરાજી તાલુકાના અન્ય 52 ગામોને મનરેગાના કામો મળ્યા નથી, ત્યારે માત્ર કરણસાગરને આટલી મોટી રકમ ફાળવવી એ સદસ્ય દ્વારા સત્તાના સ્પષ્ટ દુરુપયોગ કર્યો છે. કૌભાંડમાં તલાટી મંત્રી, મનરેગા કર્મીઓની સંડોવણીનો પણ અરજીમાં ઉલ્લેખ
આ તમામ પેવરબ્લોકના કામોમાં પણ સદસ્ય અને તેમના પરિવારે જોબકાર્ડનો ઉપયોગ કરી કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો છે. આ કૌભાંડમાં તલાટી મંત્રી, તાલુકા પંચાયતના મનરેગા કર્મચારીઓ સહિતની સંડોવણી હોવાનું અરજીમાં જણાવાયું છે. વહીવટદારના સમયગાળામાં પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ વીરેન્દ્રસિંહ ઝાલાએ વહીવટદારના સમયગાળા 2 મે, 2022થી 22 જૂન, 2025 દરમિયાન પણ પોતાની સત્તાનો દુરુપયોગ કરી ATVT, આયોજન, ધારાફંડ, 15મું નાણાપંચ વગેરેની ગ્રાન્ટમાં મોટા ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ છે. વળી વર્ષ 2024-25માં મનરેગા અંતર્ગત થયેલા બાગાયતનાં કામો પણ સદસ્યના પિતા, ભાઈ અને બહેનને વ્યક્તિગત લાભ આપીને મંજૂર કરાવ્યા હોવાનું અરજીમાં જણાવાયું છે.
મારા સદસ્ય કાર્યકાળ દરમિયાન જોબકાર્ડનો ઉપયોગ કર્યો જ નથીઃ વીરેન્દ્રસિંહ
જિલ્લા પંચાયતના સદસ્ય વીરેન્દ્રસિંહે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, જોબકાર્ડ જુના વખતમાં બનેલા છે. સરપંચની કામગીરી દરમિયાન બનાવ્યા હશે. જોબકાર્ડ તો દરેક ને હોઈ. આ રાજકીય ઇર્ષાના કારણે કોઈએ અરજી આપી હશે. મેં મારા સદસ્ય કાર્યકાળ દરમિયાન જોબકાર્ડનો ઉપયોગ નથી કર્યો. મારા જોડે રજૂઆત આવી હતી, જેથી મારા સહિત બસો ખેડૂતોની મંજૂરી બાગાયતમાંથી લાવ્યા હતા. ચોમાસુ જતું રેતા એ કામ થયા નહોતા. બીજું કે ગામવાળાની રજૂઆત હતી કે, રસ્તા બનાવવા છે તો લોકફાળાથી રસ્તા બનાવ્યા હતા. ગ્રાન્ટ પણ પડી રહી હતી, એમાં પણ કઈ નથી થયું. તેમજ શાળામાં જે પુરાણ કરાવ્યું છે એ મારા પૈસાથી મેં કરાવ્યું છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!