હારીજ તાલુકાના રાવિન્દ્રા-ખાખડી માર્ગ પર તાજેતરમાં પૂર્ણ થયેલા નાળાના નિર્માણ કાર્યને લઈને સ્થાનિક ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો દ્વારા કામની ગુણવત્તા, ઉપયોગિતા અને આયોજન અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ માર્ગ પર બનાવવામાં આવેલ નાળાનું સ્થાન અને તેની જરૂરિયાત અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક ગ્રામજનોનું કહેવું છે કે જ્યાં નાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યાં પાણીના નિકાલની મોટી સમસ્યા જોવા મળતી નથી, ત્યારે આવા કામ માટે ખર્ચ કરવામાં આવેલા સરકારી નાણાંના ઉપયોગ અંગે સ્પષ્ટતા થવી જરૂરી છે.
ગ્રામજનોનું માનવું છે કે વિકાસના કામો લોકોની વાસ્તવિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને થવા જોઈએ. લાખો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલા પ્રોજેક્ટોમાં ગુણવત્તા અને આયોજનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. કેટલાક લોકોએ નાળાના બાંધકામની ગુણવત્તા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, કામની તકનિકી વિગતો જાહેર કરવામાં આવે તેમજ મંજૂર થયેલા ખર્ચ અને અમલીકરણ પ્રક્રિયા અંગે પારદર્શક માહિતી આપવામાં આવે તેવી માંગ કરી છે.
ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના કામોનો લાભ સીધો લોકોને મળવો જોઈએ અને જાહેર નાણાંનો ઉપયોગ યોગ્ય આયોજન સાથે થવો જોઈએ. સમગ્ર મામલે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય તપાસ હાથ ધરી હકીકતો જાહેર કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની રહી છે.
હાલ આ મુદ્દો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે અને ગ્રામજનો તંત્રના જવાબની રાહ જોઈ રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
