જનહિતના પ્રશ્નોને લઈ રજૂઆત, 17 સપ્ટેમ્બરની ભુજ મહારેલીમાં જોડાવા સંજય બાપટનું આહ્વાન
![]()
![]()
![]()
વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને ભચાઉ ખાતે કોંગ્રેસના આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો દ્વારા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આઝાદ હિંદ ફોજના સંસ્થાપક શ્રી સંજય બાપટની ઉપસ્થિતિ રહી હતી.
આ પ્રસંગે સંજય બાપટે આગામી 17 સપ્ટેમ્બરે ભુજ ખાતે યોજાનારી મહારેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરી સૌને મહારેલીમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિવિધ જનહિતના પ્રશ્નોને લઈને લોકશાહી ઢબે અવાજ ઉઠાવવો જરૂરી છે અને લોકોના પ્રશ્નોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા માટે સંગઠિત પ્રયાસો થવા જોઈએ.
કાર્યક્રમ દરમિયાન સંજય બાપટે ગાંધીધામ વિસ્તારના વિવિધ પ્રશ્નોને લઈને સ્થાનિક ધારાસભ્ય સામે આક્ષેપો પણ કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, ગાંધીધામ મતવિસ્તારના મહત્વપૂર્ણ અને પ્રાથમિક પ્રશ્નો વિધાનસભામાં પૂરતી મજબૂતીથી રજૂ થવા જોઈએ. તેમણે એવો સવાલ ઉઠાવ્યો હતો કે સ્થાનિક લોકોના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત અન્ય વિસ્તારના મુદ્દાઓને પ્રાધાન્ય આપવાને બદલે સૌપ્રથમ પોતાના મતવિસ્તારની જનતાની સમસ્યાઓને વિધાનસભામાં અસરકારક રીતે રજૂ કરવી જોઈએ.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસ શહેર પ્રમુખ ભચાઉ મનજીભાઈ રાઠોડ સહિત વિભાભાઈ રબારી, રામજી લાલા રબારી, મોહનભાઈ દરજી, ઈકબાલ શેખ, નિર્મલસિંહ જાડેજા, ગજુભા જાડેજા, રમેશભાઈ ચાવડા, કિશન મહેશ્વરી અને સવજીભાઈ પરમાર સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનોએ જણાવ્યું હતું કે જનહિત સાથે જોડાયેલા પ્રશ્નો અંગે આગામી દિવસોમાં પણ સંગઠિત રીતે રજૂઆતો અને લડત ચાલુ રાખવામાં આવશે. સાથે જ 17 સપ્ટેમ્બરની ભુજ મહારેલીને સફળ બનાવવા મોટી સંખ્યામાં લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

