ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રજૂ કરાયેલા ‘પરખ’ (PARAKH) રાષ્ટ્રીય સર્વેક્ષણ 2024ના રિપોર્ટમાં ગુજરાતના શિક્ષણ સ્તરને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ મુજબ ગુજરાતનું શિક્ષણનું સ્તર અપેક્ષા કરતા ઘણુ જ નબળુ જોવા મળ્યું છે. સર્વેક્ષણના તારણો અનુસાર સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારા (ટોપ-10 પરફોર્મિંગ સ્ટેટ્સ)ની યાદીમાં ગુજરાત રાજ્યનો સમાવેશ થઈ શક્યો નથી. તેનાથી વિપરીત ગુજરાતનો સમાવેશ ઓછુ પ્રદર્શન કરનારા (લો-પરફોર્મિંગ) 10 રાજ્યોની યાદીમાં થયો છે. તળિયાના 10 રાજ્યોની યાદીમાં ગુજરાત
ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સુધારવા 2019માં સરકારે 5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું. આ પછીના વર્ષોમાં સરકારે આ કેન્દ્ર ચલાવવા માટે 60 લાખથી 85 લાખનાં બજેટનું આંધણ કર્યું, છતાંય ગુજરાતમાં શાળાકીય શિક્ષણનું સ્તર સાવ તળીયે હોવાનું કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલયના અહેવાલમાં સાબિત થયું છે. પરખ નામે રજૂ થયેલાં અહેવાલમાં ધોરણ-3, 6 અને 9માં શિક્ષણનું સ્તર તેમજ ગણિત, વિજ્ઞાન, ભાષા તેમજ સામાજિક વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી. આ માટે કેન્દ્રએ ટોચના 10 અને તળિયાના 10 રાજ્યોની યાદી બનાવી છે. યાદીમાં ગુજરાતને તળિયાના રાજ્યમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આમ આદમી પાર્ટીના શાસનમાં પંજાબે લગભગ તમામ કેટેગરીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લામાં ગુજરાતના અનેક જિલ્લાઓ
રિપોર્ટમાં માત્ર રાજ્યનું સ્તર જ નહિ પરંતુ જિલ્લાવાર પ્રદર્શનની પણ સમીક્ષા કરવામાં આવી છે. દેશમાં સૌથી ઓછું પ્રદર્શન કરનારા 50 જિલ્લાઓની યાદીમાં ગુજરાતના અનેક જિલ્લાઓનો સમાવેશ થયો છે. જેમાં જામનગર જિલ્લાનો 21મો ક્રમ આપવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લો 28માં ક્રમે છે. ખેડા જિલ્લો 44માં, છોટાઉદેપુર 47માં, પોરબંદર જિલ્લો 48માં ક્રમે આવે છે. રિપોર્ટ દર્શાવે છે કે રાજ્યના અંતરિયાળ અને અન્ય વિસ્તારોમાં શિક્ષણની ગુણવત્તા અને માળખાકીય સુવિધાઓ તાત્કાલિક સુધારવાની જરૂર છે. ટોપ-50માં એક પણ ગુજરાતનો જિલ્લો નહીં
2024ના વર્ષ માટે થયેલા આ સર્વેક્ષણમાં કેન્દ્ર સરકારે દેશની કુલ 74 હજારથી વધુ શાળાના 21 લાખથી વધુ બાળકોની સમીક્ષા કરી હતી, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 781 જિલ્લાને આવરી લેવામાં આવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ પૈકી રીપોર્ટમાં શિક્ષણ ક્ષેત્રે સારો દેખાવ કરનારાં ટોચના 50 જિલ્લાની તારવણી કરી હતી તેમાં પણ ગુજરાતનો એકેય જિલ્લો નથી. નવી તકનીકો, ડિજિટલ, સ્કિલ એજ્યુકેશનમાં પણ પ્રદર્શન ઠીક
આ ઉપરાંત ગુજરાત સહિત કેટલાંક રાજ્યોમાં નવી તકનીકો, ડિજિટલ અને શૈક્ષણિક સાધનો, સ્કિલ એજ્યુકેશન તથા સ્વૈચ્છિક સંગઠનોનો શૈક્ષણિક ક્ષેત્રમાં સહયોગ જેવી બાબતોની પણ સમીક્ષા કરાઇ હતી અને તેમાં પણ ગુજરાતનું પ્રદર્શન ખાસ પ્રોત્સાહન જનક દેખાયું નથી. જો કે શાળામાં વર્ગખંડો, પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધા બાબતે ગુજરાતનો દેખાવ ઠીકઠીક રહ્યો હોવાનું અહેવાલમાં નોંધવામાં આવ્યું છે. આ પણ વાંચો: શિક્ષકોને મંદિરમાં VVIPના ભોજનની જવાબદારી સોંપતો હુકમ રદ જામનગર,પોરબંદર, ખેડા સહિત 7 જિલ્લા દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં સમાવિષ્ટ
આ અહેવાલમાં જણાવાયું છે કે, વિવિધ ઇન્ડેક્સની તારવણી કરીને તેમાં ડાંગ, છોટા ઉદેપુર અને દાહોદ એમ ત્રણ આદિવાસી જિલ્લા, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જામનગર અને પોરબંદર તથા મધ્ય ગુજરાતનો ખેડા જિલ્લો દેશના સૌથી ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં સમાવિષ્ટ છે. ધોરણ-3માં જામનગર, ગીર-સોમનાથ, ખેડા, છોટાઉદેપુર અને પોરબંદર જેવા જિલ્લામાં પ્રદર્શન નબળું રહ્યું છે, જ્યારે ધોરણ-9માં દાહોદ, ડાંગ અને છોટાઉદેપુરની ગણના રાષ્ટ્રીય સ્તરના નબળા 50 જિલ્લામાં થઈ છે. જિલ્લાવાર યાદીમાં પણ ટોચનું પ્રદર્શન કરાનારા જિલ્લાની સંખ્યાની દૃષ્ટિએ પંજાબ અવ્વલ સ્થાને રહ્યું છે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ છત્તા ગુણવત્તા ના સુધરી
પરખના રિપોર્ટને લઈને ખાસ કરીને શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ રિપોર્ટમાંથી સમરી કરીને પોતાના ગ્રુપમાં વાઈરલ કરી છે. ઉપરાંત તેઓ એકબીજાને જણાવી રહ્યા છે કે, ગુજરાતના બજેટમાં સૌથી વધુ બજેટ શિક્ષણ વિભાગનું છે. વર્ષે કરોડો-અબજો રુપિયોનો ખર્ચ કરાઈ રહ્યો છે. ગુણોત્સવ-પ્રવેશોત્સવ, કન્યા કેળવણી જેવા અનેક કાર્યક્રમો કરાઈ રહ્યા હોવા છતાં ગુજરાતના શિક્ષણનુ સ્તર સુધર્યુ નથી. આ પણ વાંચો: ગુજરાતમાં 12,500 શિક્ષકો અને 700 આચાર્યોની ઘટ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસીને અધિકારીઓ વીડિયો કોન્ફરન્સ કરીને સંતોષ માની રહ્યા છે
ગાંધીનગરમાં સચિવાલયની નજીક જ વિભાગે વિદ્યા સમીક્ષા કેન્દ્ર બનાવ્યું છે. જેની પાછળ પણ કરોડો રૂપિયાનો ખર્ચ થયો છે. દર મહિને હજુ પણ લાખોનો ખર્ચ થઈ રહ્યો છે. ઓનલાઈન મોનીટરીંગની મોટી વાતો થાય છે જે હવે પોકળ સાબિત થઈ છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસીને અધિકારીઓ,ડીપીઓ કક્ષાના માણસો માત્ર વાતો અને વીડિયો કોન્ફરન્સ કરીને સંતોષ માની રહ્યા છે. આવા કેટલાક શિક્ષકો અને અધિકારીઓને દૂર કરવા માટેની માગણીઓ પણ થઈ છે, આમ છતા તેઓનું ઉચ્ચ અધિકારીઓ સાથે સેટીંગ હોવાથી કેટલાય અધિકારીઓ તો અહીં પાંચ-પાંચ વર્ષથી નોકરી કરી રહ્યા છે. વિદ્યા સમીક્ષા કેન્દ્રના દાવાની ‘પરખ’
વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા શિક્ષણની ગુણવત્તાનું એનાલીસીસ કરાતું હોવાના અનેક વખત દાવા કરાયા છે. પણ પરખે બધાના દાવાની પરખ કરાવી દીધી છે. કરોડો રૂપિયાના સોફ્ટવેર હોવા છતાં માત્ર મોટી મોટી વાતો થઈ પરંતુ ગુણવત્તામાં 1થી10 નંબર પણ નથી આવ્યા.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!