રાધનપુર નગરપાલિકા વોર્ડ–3માં ચાલી રહેલા રોડ રિફ્રેસિંગ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે.
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
નગરસેવક જયાબેન ઠાકોર દ્વારા સોશિયલ મીડિયામાં વાઇરલ કરાયેલા વીડિયોમાં રોડમાં અત્યંત નીચી ગુણવત્તાનો સામાન ઉપયોગ થતો હોવાનું સ્પષ્ટ દેખાઈ આવ્યું હતું.
રહીશોની ફરિયાદ બાદ જયાબેનનું સ્થળ પર જવું
રહીશોએ ફરિયાદ કરી હતી કે લાખો રૂપિયાના ખર્ચે બનતા આ રોડમાં ના સિમેન્ટ, ના કપચી—માત્ર રેતીનો જ વધારાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વધુમાં PCC કર્યા વગર જ જૂના CC રોડ પર રેતી પાથરી દેવામાં આવી હતી, જે સ્પષ્ટ રીતે નિયમવિરોધી છે.
ફરિયાદ મળતા જ નગરસેવક જયાબેન ઠાકોર તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોચ્યા અને કામ તાત્કાલિક બંધ કરાવ્યું.
જયાબેને ઉપપ્રમુખ સામે તીખા સવાલો કર્યા હતા
ઘટના સમયે નગરપાલિકા ઉપપ્રમુખ પણ સ્થળ પર હાજર હતા. જયાબેન ઠાકોરે તેમને સીધા સવાલો કરતા પૂછ્યું કે—
“પ્રજાના ટેક્ષના પૈસાનું હલકી ગુણવત્તાના કામથી કેટલું નુકસાન કરાયું? કેટલા પૈસા ખિસ્સામાં ભરાયા? આ કેવી પ્રકારની દેખાદેખી છે?”
સ્થળ પર ઉપપ્રમુખ કોઈ સંતોષકારક જવાબ આપી ન શકતા વિવાદ વધુ ગાઢ બન્યો.
“આ 100% ભ્રષ્ટાચાર છે” — જયાબેન ઠાકોર
જયાબેને દાવો કર્યો કે,
“આ કામમાં સીધો ભ્રષ્ટાચાર છે. આવા કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવો જોઈએ. પ્રજાના પૈસાને આ રીતે વેડફવા નહીં દેવામાં આવે. તમામ બીલો અટકાવવા માટે લેખિતમાં રજૂઆત કરીશું.”
ઘટનાસ્થળે હાજર પક્ષના આગેવાનો રફીકભાઈ ઘાંચી, નરેશભાઈ પ્રજાપતિ, સમીરાબેન, લીલાબેન સહિત અન્ય હોદેદારોએ પણ નગરપાલિકાને આડે હાથ લીધી. તેમના જણાવ્યા મુજબ—
“રાધનપુરના હિત માટે અવાજ ઉઠાવીએ તો સત્તાધારી પક્ષ બહુમતીના દમ પર મનમાની કરે છે અને પ્રજાના પૈસાનો ખુલ્લો વેડફાટ કરે છે.”
સ્થાનિકોમાં ભારે રોષ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ
રોડની ગુણવત્તાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર કામની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવાય તેવી લોક માંગ ઉઠી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ


