રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો દ્વારા કન્વેનશન સેન્ટર માટે સરકાર પાસે વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં પણ ખાસ રૂ.50 કરોડ જેટલી રકમ આ કન્વેનશન સેન્ટર માટે ફાળવવામાં આવી છે.ત્યારે રાજકોટના સ્માર્ટ સીટી વિસ્તાર એટલે કે સેકન્ડ રિંગ રોડ પર અટલ સરોવર પાસે કન્વેનશન સેન્ટર બનાવવા માટે તંત્ર દ્વારા 45 હજાર વારથી વધુ જગ્યાની ફાળવણી કરી દેવામાં આવી છે અને ડિઝાઇન તૈયાર કરી આગામી ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ કન્વેનશન સેન્ટર બનવાથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને આનો સીધો ફાયદો થશે અને તેમણે પોતાના બિઝનેશ પ્રોડક્ટના એક્ઝિબિશન માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્લી નહિ પરંતુ રાજકોટમાં ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે જેથી સૌરાષ્ટ્રનો વિકાસ પણ સારી રીતે આગળ વધી શકશે. સૌરાષ્ટ્રના ઉદ્યોગોને એક્ઝિબિશન માટે ઘરઆંગણે સુવિધા ઉભી થશે
રાજકોટ શહેરએ ઓટોમોબાઈલ, એન્જીનીયરીંગ અને ઇમિટેશન માર્કેટ માટે દેશભરમાં જાણીતું શહેર છે. આ ઉપરાંત રાજકોટની બાજુમાં મોરબી એ સીરામીક હબ માનવામાં આવે છે જયારે જામનગર એ બ્રાસ પાર્ટ ઉદ્યોગનું હબ માનવામાં આવે છે આ બધા ઉદ્યોગોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એક્ઝિબિશન માટે ગાંધીનગર મહાત્મા મંદિર, મુંબઈ કે દિલ્લી જેવા શહેરો તરફ ન જવું પડે તે માટે સૌરાષ્ટ્ર ભરના 2.50 લાખથી વધુ ઉદ્યોગકારોને ફાયદો થાય તે માટે સરકાર દ્વારા રાજકોટની અંદર ગાંધીનગર કરતા પણ મોટું અને વિશાળ કન્વેનશન સેન્ટર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે પ્રથમ તબક્કામાં જગ્યાની ફાળવણી કરી દેવામાં આવ છે બાદમાં તબક્કાવાર એક બાદ એક એજન્સી નક્કી કરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી આવતા ત્રણ વર્ષની અંદર આધુનિક કન્વેનશન સેન્ટર રાજકોટમાં બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્રણ વર્ષમાં કન્વેન્શન સેન્ટરનું કામ પૂર્ણ કરી દેવાશે- જયમીન ઠાકર
રાજકોટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, રાજકોટ મનપા દ્વારા દિવાળી પૂર્વે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં કન્વેનશન સેન્ટરના કન્સલ્ટન્ટ નિમણુંક માટે દરખાસ્ત આવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટના ઔદ્યોગિક વિકાસને ધ્યાનમાં રાખી ઉદ્યોગકારોની માંગણીને સ્વીકારી રાજ્ય સરકારની સૂચનાથી સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો માટે રાજકોટમાં કન્વેનશન સેન્ટર બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારની મંજૂરી બાદ હવે મનપા દ્વારા અટલ સરોવર પાસ સ્માર્ટ સીટી વિસ્તારમાં 45000 વારથી વધુ જગ્યા ફાળવણી કરી દેવામાં આવી છે જ્યાં આધુનિક કન્વેનશન સેન્ટર બનાવવા નિર્ણય કરાયો છે. કન્સલ્ટન્ટની નિમણુંક કરી બાદમાં અલગ અલગ ડિઝાઇન મેળવી એક સારામા સારી ડિઝાઇન નક્કી કરી લગભગ ત્રણ વર્ષમાં કન્વેનશન સેન્ટર તૈયાર કરી દેવામાં આવશે. તેમને વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારો પોતાના બિઝનેશના પ્રમોશન માટે ગાંધીનગર, દિલ્લી, મુંબઈ, તેમજ જાપાન, રશિયા અને ચીન સહિતના દેશોમાં જતા હતા જો કે હવે આ ઉદ્યોગકારોએ પોતાના બિઝનેસ પ્રમોશન માટે દૂર નહિ જવું પડે અને ઘર આંગણે રાજકોટમાં કન્વેનશન સેન્ટર ખાતે જ એક્ઝિબિશન યોજી શકશે અને દેશ વિદેશના અન્ય ઉદ્યોગકારો તેમાં ભાગ લઇ શકશે અને પોતાની વસ્તુઓનું વધુ સારી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરી શકશે. આનાથી માત્ર ઔદ્યોગિક જ નહિ પરંતુ રાજકોટ અને સૌરાષ્ટ્રનો સર્વાંગી વિકાસ પણ બધું મજબૂત બનશે માટે ત્રણ વર્ષની અંદર કન્વેનશન સેન્ટર બનાવી દેવાનો અમારો લક્ષ્યાંક છે.
2022માં જ્યારે DPR બનાવાયો ત્યારે 538 કરોડના ખર્ચનો અંદાજ હતો
રાજકોટ મનપા દ્વારા રૈયા સ્માર્ટ સિટી (અટલ સરોવર) વિસ્તરમાં 45000 વારથી વધુ જમીન ફાળવણી કરી કન્વેનશન સેન્ટર બનાવવા જાહેરાત કરી છે આ માટે વર્ષ 2022માં પ્રોજેક્ટનો ડીપીઆર તૈયાર કરાયો ત્યારે 538 કરોડ રૂપિયાનો ખર્ચ નિર્ધાર કરવામાં આવ્યો હતો જે પૈકી મનપા દ્વારા જે 25% રકમ આ પ્રોજેક્ટ પાછળ આપવાની થાય છે તે જમીન આપવાના બદલામાં વાળી લેવામાં આવશે. સરકાર દ્વારા 25 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે જેના થકી પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટ કમ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર તેમજ પીએમસીની નિમણૂક કરવામાં આવશે. આ પછી કન્વેનશન સેન્ટરના બાંધકામ માટેનું ટેન્ડર તૈયાર કરી એજન્સી ફાઈનલ કરવામાં આવશે. 4 જાન્યુઆરી, 2025ના રોજ મુખ્યમંત્રીએ કન્વેન્શન સેન્ટર માટે જાહેરાત કરી હતી
ગત તારીખ 4 જાન્યુઆરી 2025ના રોજ રાજકોટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી રાજકોટને કન્વેનશન સેન્ટર ફાળવવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ સમયે તેમને જણાવ્યું હતું કે કલેકટર, કમિશનર, ધારાસભ્યશ્રીઓ સહીત તમામ લોકો ઉપસ્થિત છે બધાની હાજરીમાં મંજૂરી આપી દઈએ છીએ અને હવે જેટલી ઝડપથી જગ્યા શોધી આપશો એટલી જલ્દી કન્વેનશન સેન્ટર બનાવવાની સરકારની તૈયારી છે. આ સાથે તેમને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોના વખાણ કરતા કહ્યું હતું કે, વર્લ્ડ ક્લાસ ફેસેલિટી સૌરાષ્ટ્રમાં છે અને સૌરાષ્ટ્રના લોકો તો પથ્થરને પણ પાટુ મારી પૈસા કમાવવાની તાકાત ધરાવે તેવા સાહસિક લોકો છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય લેવલનું કન્વેન્શન સેન્ટર બનવાથી રાજકોટની આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે તેની સાથેસાથે રોકાણકારોને આકર્ષિત પણ કરશે જેનાથકી રોજગારીની નવી તકોનું સર્જન થશે તેવું ચોક્કસ કહી શકાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા રાજકોટની વૈશ્વિક સ્તરે ઓળખ વધુ મજબૂત બનશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે રાજકોટનું ઓટોમોબાઇલ હોય એન્જીનીયરીંગ ક્ષેત્ર હોય કે ઇમીટેશ માર્કેટ હોય તે દેશ વિદેશમાં જાણીતી છે જ પરંતુ આ સેન્ટર બનાવથી એક નવા સફળતાનાં શિખર સર થતા જોવા મળી શકશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!