તા. 09-01-26ને શુક્રવારના રોજ સવારે 9:30 કલાકે વી.એન.એસ.બી.લિ.આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગર સરદાર પટેલ મહિલા બી. એડ.,કૉલેજ, વડનગર તથા સરદાર પટેલ પી. ટી.સી.કૉલેજ,વડનગરના સંયુક્ત ઉપક્રમે વડનગર નગરપાલિકાના સહયોગથી ચાઈના દોરીના વિરોધમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, વડનગરના આચાર્યશ્રી ડૉ. દિલખુશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. હીરેન્દ્ર પંડ્યા અને ડૉ.ધરતી જૈન તથા એન.સી.સી.કેપ્ટન લેફ્ટેનન્ટ ડૉ.પ્રકાશ પટેલે કૉલેજના વિદ્યાર્થીઓની રેલીનું આયોજન કર્યું હતું.જેમાં સરદાર પટેલ બી.એડ કૉલેજ અને સરદાર પટેલ પી.ટી.સી. કૉલેજના પ્રમુખશ્રી ડો. પ્રકાશભાઈ જે પટેલ, ટ્રસ્ટીશ્રી સૌરભભાઇ પટેલ,આચાર્યશ્રી ડો.કલ્પેશ કે પટેલ, આચાર્યશ્રી વિજય પટેલ, પ્રા. ડૉ.હેતલબેન, પ્રા.નરેશભાઈ, પ્રા. રૂપાબેન, પ્રા.ચેતનાબેન, પ્રા. રાસેદાબેન, પ્રા. કોમલબેન, પ્રા.હરકિશનભાઈ, પ્રા.સંકેતભાઈનો સક્રિય સાથ-સહકાર સાંપડ્યો હતો. આ સહુની સક્રિયતાને લીધે ત્રણેય સંસ્થાઓના અંદાજે એક સો બાસઠ જેટલાં વિદ્યાર્થીઓ આ રેલીમાં જોડાયા હતા. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વડનગરની જનતાને ચાઈના દોરીના ઉપયોગ સામે જાગૃત કરવા માટે શ્રી મીતિકાબેન શાહ, વડનગર નગર પાલિકા પ્રમુખશ્રી, શ્રી મયંકભાઈ પટેલ, વડનગર શહેર પ્રમુખશ્રી, શ્રી હિતેન્દ્ર પુરોહિત, તાલુકા મામલતદાર શ્રી, ડૉ.અમિત ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી અને શ્રી કમલ પટેલ, જિલ્લા ભાજપ કોષાધ્યક્ષશ્રી પણ આ રેલીમાં જોડાયા હતા. શ્રી મીતિકાબેન શાહે લીલી ઝંડી આપીને આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના પ્રાંગણમાંથી રેલીનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ વડનગરના જૂના બસ સ્ટેન્ડથી અંડરપાસ, નગરપાલિકા ભવન, બી.એન. હાઈસ્કૂલ ત્રણ રસ્તા થઈને કૉલેજના પ્રાંગણમાં સૂત્રોચ્ચાર કરતાં કરતાં પરત ફર્યાં હતાં. સૂત્રોચ્ચારની સાથે સાથે વડનગરના બસ સ્ટેન્ડ પાસે, નગરપાલિકા પાસે અને ત્રણ રસ્તા પાસે વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક અને ચાઈના દોરીની પ્રતીકાત્મક સ્મશાન યાત્રા વડે પણ ચાઈના દોરીના ગેરલાભ વિશે નગરજનોને જાગૃત કરવાનો રચનાત્મક પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં કૉલેજની વિદ્યાર્થિનીઓએ ચાઈના દોરીના મરશિયા ગાયા હતાં અને એક વિદ્યાર્થીનીએ દોરીથી ઘવાયેલા નિર્દોષ કબૂતરની ભૂમિકા ભજવી હતી. રેલીના અંતે આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના પ્રાંગણમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ચાઈના દોરીની પ્રતીકાત્મક હોળી કરવામાં આવી હતી. રેલીમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ ચાઈના દોરીનો ઉપયોગ નહીં કરવાના શપથ પણ લીધા હતા. આમ, ત્રણેય સંસ્થાઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના સક્રિય સહયોગથી ચાઈના દોરીના વિરોધનો આ રચનાત્મક કાર્યક્રમ સફળ રહ્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
