સાંસદ હરિભાઈ પટેલની રજૂઆતને પગલે ખેડૂતોની સમસ્યાનો ઉકેલ

ઉત્તર ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો માટે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (CCI) ના કેન્દ્રોને લઈને મહત્વના સમાચાર છે કે હવેથી પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પણ ઉનાવા અને વિસનગર APMC સ્થિત CCI કેન્દ્ર ખાતે પોતાનો કપાસ વેચી શકશે. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલની રજુઆત આધારે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પણ મહેસાણા જિલ્લાના આ બે કેન્દ્ર ઉપર વેચાણ માટે પરવાનગી આપવામાં આવી છે.
અગાઉ ઉનાવા APMC ની ભૌગોલિક રીતે નજીક હોવા છતાં, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અહીં કપાસ વેચવાની પરવાનગી મળતી ન હતી. આ સમસ્યાના ઉકેલ માટે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ સમક્ષ રજૂઆત કરી હતી. સાંસદ હરિભાઈ પટેલ દ્વારા તારીખ 14 નવેમ્બર 2025 ના રોજ કેન્દ્રીય મંત્રીને પત્ર લખીને પાટણ અને બનાસકાંઠાના ખેડૂતોને ઉનાવા અને વિસનગર કેન્દ્રમાં સમાવવાની માંગણી કરવામાં આવી હતી. નવી વ્યવસ્થા મુજબ, વિસનગર મુખ્ય કેન્દ્ર તરીકે અને ઉનાવા પેટા કેન્દ્ર તરીકે કાર્યરત રહેશે. આ અંગે સાંસદ હરિભાઈ પટેલે કહ્યું હતું કે ઉનાવા એપીએમસી સેન્ટર નજીક પાટણ જિલ્લાના અનેક ગામ આવેલ હોવા છતાં જિલ્લો બદલાઈ જતો હોવાથી વેચાણ માટે પરવાનગી મળતી ન હતી. સ્થાનિક ખેડૂતોની આ સમસ્યાના ઉકેલ માટે રજીઆત કરવામાં આવી હતી, જેનું હકારાત્મક પરિણામ મળ્યું છે.ખેડૂતોની આ સમસ્યાનો સુખદ ઉકેલ લાવવા બદલ સાંસદ હરિભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય કાપડ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
The Gujarat Live News
અહેવાલ: આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
