અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજ બાદ હવે ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં પણ જુનિયર વિદ્યાર્થીઓ દ્વારા સિનિયર સામે રેગિંગની ફરિયાદ કરવામાં આવી છે. ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓ દ્વારા 6 સિનિયર વિદ્યાર્થીઓ સામે ફરિયાદ કરવામાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ જુનિયર પાસે પૈસા માગતા હોવાનો અને મુર્ગા બનાવતા હોવાનો આક્ષેપ કરાયો છે. જુનિયર વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓના નિવેદન લેવામાં આવ્યા છે. આ મામલે એન્ટી રેગિંગ કમિટી દ્વારા તપાસ કરી રિપોર્ટ સુપરત કરાશે ત્યારબાદ જવાબદાર વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. જુનિયર તબીબો સાથે રૂંવાડા ઊભા કરી દે તેવું રેગિંગ
ભાવનગર સર ટી. હોસ્પિટલના ટ્રોમા સેન્ટર બિલ્ડિંગમાં બનેલી રેગિંગની ચકચારી ઘટનામાં નામ ન આપવાની શરતે અમાનવીય ત્રાસનો ભોગ બનનારા પ્રથમ વર્ષના જુનિયર તબીબોએ બીજા વર્ષના 6 તબીબી વિદ્યાર્થી દ્વારા અપાતી રૂંવાડા ઊભા કરી દે તેવી તાલિબાની સજા વર્ણવી હતી. જેમાં દર મહિને અઢી લાખ પડાવતાં, દારૂની બોટલો મંગાવતાં, કુકડા બનાવતાં, ટ્રોમા સેન્ટરની બહાર નહીં નીકળવા દેવા, જમવા અને સુવાનો સમય નહીં આપવા, એક્સ-રે વિભાગમાં લેડ એપ્રન નહીં પહેરવા દેવા, આખી રાત એક પગે ઉભા રહેવા, છેલ્લા 15 દિવસ સુધી ન્હાવા સુદ્ધા નહીં દેવા જેવી તાલિબાની સજા અપાતી હોવાની આપવીતી વર્ણવી હતી. આખરે હિંમત કેળવી તેઓએ લેખિત ફરિયાદ કરી હોવાનું જણાવી દોષિતોને આકરી સજા થાય તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી. એન્ટી રેગિંગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
આ અંગે મેડિકલ કોલેજના ડીન ​ડો.ચિન્મય શાહે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલાં અમારી પાસે એક ઓનલાઈન ફરિયાદ આવી હતી. ઓર્થોપેડિક ફર્સ્ટ યરના 13 વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે કે, અમને અલગ અલગ રીતે ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. જેવા કે ઘણી બધી વાર લખવા આપવામાં આવે, મુરઘા બનાવવામાં આવે, ઉપરાંત કોઈને કોઈ ઇવેન્ટ બાબતે ખર્ચો કરવામાં આવે એટલે આ બધી બાબતને લઈ અને તેઓએ ફરિયાદ કરેલી હતી. એટલે નેશનલ મેડિકલ કમિશન (NMC)ના નોર્મ્સ પ્રમાણે એન્ટી-રેગિંગ સ્ક્વોડને તેઓની ઇન્ક્વાયરી શરૂ કરી છે. તેઓની ઇન્ક્વાયરી પણ પૂર્ણ થઈ ગઈ છે. અને તેઓના નિવેદન લેવાઈ ગયા છે. ત્યારબાદ છ વિદ્યાર્થીઓ જેના નામ એ પ્રથમ ફરિયાદમાં આવ્યા, તેઓને પણ બોલાવવામાં આવેલા છે અને તેઓની પાસેથી પણ નિવેદન લીધા છે અને જરૂરી દસ્તાવેજો તેઓ આજે આપવાના છે. ​તે ઉપરાંત ઓર્થોપેડિક વિભાગના તબીબી શિક્ષકો અને HOD સાથે પણ ચર્ચા થઈ છે અને આ બાબતમાં તેઓનો અભિપ્રાય પણ લીધો છે અને જે સૂચના આપવાની હોય તે જ વિગતો સૂચનાઓ પણ તેમને અપાઈ ગઈ છે. હવે આ એન્ટી-રેગિંગ સ્ક્વોડના જે નિર્ણય આવશે ત્યારબાદ NMCના નિયમ પ્રમાણેની એક તટસ્થ કમિટી ફરીવાર આ બધા ડોક્યુમેન્ટ ચેક કરશે અને છતાં જો એમાં રેગિંગનો તથ્ય લાગશે તો એન્ટી-રેગિંગ કમિટી – જે સુપ્રીમ કોર્ટ અને નેશનલ મેડિકલ કમિશન અને UGC ના નોર્મ્સ પ્રમાણે બનાવવામાં આવી છે. તે આખી ઘટનાનું અવલોકન કરશે અને જે ફરિયાદી અને આરોપી વિદ્યાર્થીઓ છે તેઓને બોલાવશે અને જે લેવલની તેઓની રેગિંગ અથવા બેદરકારી દેખાશે તે પ્રમાણે તેઓ સજા નક્કી કરી અને ડીનને સુપ્રત કરશે. ત્યારબાદ એ જ વસ્તુ અમે યુનિવર્સિટીને તેમજ અમારી વડી કચેરી એટલે કે ગાંધીનગરને, UGC ને, NMC ને મોકલી આપીશું. અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં પણ 8 જૂને રેગિંગની ફરિયાદ નોંધાઈ હતી
અમદાવાદની નામાંકિત બી.જે. મેડિકલ કોલેજમાં રેગિંગનો મામલો સામે આવ્યો છે. જુનિયર વિદ્યાર્થી દ્વારા સિનિયર સામે 8મી જૂને ફરિયાદ કરવામાં આવી હતી. જે મામલે એન્ટી રેગિંગ કમિટીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ રિપોર્ટ બાદ ઓર્થોપેડિક વિભાગના ત્રણ વિદ્યાર્થીઓને 6 મહિનાથઈ 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી ખુદ આરોગ્યમંત્રી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આપવામાં આવી હતી. ભૂતકાળમાં પણ ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની ચૂકી છે
ભાવનગર મેડિકલ કોલેજમાં સવા વર્ષ એટલે કે ગત માર્ચ-2025માં છ જેટલા સિનિયર તબીબી વિદ્યાર્થી દ્વારા ત્રણ જુનિયર તબીબ વિદ્યાર્થીઓ સાથે રેગિંગ કર્યું હતું. જે ઘટનામાં ડો. મીલન કાકલોતર, ડો. પિયુષ ચૌહાણ, ડો. નરેન ચૌધરી, ડો. મન પટેલ, ડો. અભિરાજ પરમાર અને ડો. બળભદ્રસિંહ નામના સિનિયરો દ્વારા ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અભદ્ર વર્તન કરી, વિડીયો ઉતાર્યો હતો અને બાદમાં વાયરલ કરવાની ધમકી આપી મારમાર્યો હતો. આ ઉપરાંત અન્ય એક વિદ્યાર્થીને મારમાર્યો હતો. જેમાં આરોપીઓ નશાની હાલતે હોવાનું ખુલ્યું હતું. ભાવનગર શહેરની મેડિકલ કોલેજમાં 2023ના મે માસમાં મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોકટર હરીશ વૈગીએ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીને તેની રૂમમાં બોલાવી શારિરીક અડપલા તેમજ જાતીય શોષણ કર્યું હતું. ડૌ. હરીશ વૈગી દ્વારા જુનિયર વિદ્યાર્થી સાથે ઘણા સમય સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતા કંટાળીને વિદ્યાર્થીએ ન્યાયની માંગ પોકારી હતી. આ ઘટના જાહેર થયા બાદ મોટી સંખ્યામાં નિલમબાગ પોલીસ મથક ખાતે વિદ્યાર્થીઓનું ટોળું ધસી ગયું હતું. આ કેસમાં તપાસના અંતે ડો. હરીશ વૈગીને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!