સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. એક તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું છે કે સાંતલપુર વિસ્તારમાં લોકોને નિયમિત રીતે પીવાનું પાણી મળી રહ્યું છે, જ્યારે બીજી તરફ સ્થાનિક લોકો આ દાવા સામે સવાલો ઉઠાવી રહ્યા છે.


તારીખ 15-06-2026ના એક વીડિયોમાં સાંતલપુર વિસ્તારના લોકો મુખ્ય કેનાલમાંથી ટેન્કર મારફતે પાણી ભરાવતા જોવા મળે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાના પાણીની અછતને કારણે તેઓને રૂપિયા એક હજાર જેટલો ખર્ચ કરીને ટેન્કર મંગાવવું પડે છે.
ગ્રામજનોમાં ચર્ચા છે કે જો વિસ્તારમાં રોજ પીવાનું પાણી મળતું હોય તો લોકોને કેનાલના પાણી પર આધાર રાખવાની જરૂર કેમ પડે છે? સાથે જ કેટલાક લોકોએ કેનાલમાંથી લાવવામાં આવતું પાણી પીવા યોગ્ય છે કે નહીં તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે.
ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે વ્યક્તિગત રીતે ગામોમાં જઈને પાણીની સ્થિતિની સમીક્ષા કરી છે અને લોકોને પાણી મળી રહ્યું છે. જોકે, આ દાવા બાદ કેટલાક સ્થાનિકો દ્વારા પૂછવામાં આવી રહ્યું છે કે મુલાકાત દરમિયાનના કોઈ ફોટા કે વીડિયો જાહેર કેમ કરવામાં આવ્યા નથી.
સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા પાણીની વાસ્તવિક સ્થિતિ અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી રહી છે. હાલ પાણીનો મુદ્દો તાલુકાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો જવાબદાર તંત્ર પાસેથી સ્પષ્ટતા ઈચ્છી રહ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
