થરાદ: વીજ મીટર લગાવવાની સામાન્ય પ્રક્રિયામાં પણ લાંચ વગર કામ ન થાય? એવો સવાલ થરાદ શહેરમાં સામે આવ્યો છે. મોહરમ મસ્જિદ વિસ્તારમાં UGVCLના કર્મચારીઓ દ્વારા એક ગ્રાહક પાસેથી મીટર લગાવવા બદલ રૂ.1500થી 2000ની માંગ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.
ગ્રાહકનું મીટર મંજૂર હોવા છતાં કર્મચારીઓએ “મકાનનું ઢાબું બાકી છે” એવું કહી મીટર લગાવવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ જ્યારે પૈસા આપવાની વાત આવી, ત્યારે નિયમો બદલાતા હોય તેમ મીટર લગાવવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે.
જ્યારે ગ્રાહકે લાંચ આપવાનો ઇનકાર કર્યો અને કર્મચારીઓના નામ પૂછ્યા, ત્યારે પકડાઈ જવાની ભીતિથી કર્મચારીઓ સ્થળ છોડીને ફરાર થઈ ગયા હતા.
સ્થાનિકોમાં આ બનાવને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો ઢાબું બાકી હોવાને કારણે મીટર ન આપી શકાય તો લાંચ કેમ માંગવામાં આવી? શું પૈસા આપવાથી નિયમો બદલાઈ જાય છે?
હવે લોકો UGVCL તંત્ર પાસેથી માંગ કરી રહ્યા છે કે આવા ભ્રષ્ટ કર્મચારીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
