જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘પટેલ કેળવણી મંડળ’ હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ સામે ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીનીઓના વાલીઓએ ફરી એકવાર ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, તેઓ ગુંડાઓની ગેંગ બનાવીને સંસ્થાનો વહીવટ કરી રહ્યા છે. “કાંતિ ફળદુ હાય હાય” અને “કાંતિ ફળદુને હટાવો, સંસ્થા બચાવો” જેવા ગગનભેદી નારાઓ સાથે વાલીઓએ સંસ્થામાં ચાલતા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારની તપાસ કરવાની માંગ કરી છે. વાલીઓને પોતાની ઓફિસમાં બોલાવી અભદ્ર વર્તન કર્યું હતું
આ વિવાદની શરૂઆત થોડા સમય પહેલા થઈ હતી.જ્યારે સંસ્થાના કેમ્પસમાં દીકરીઓને મળવા ગયેલા વાલીઓએ એક અજાણ્યા યુવકને અનધિકૃત રીતે પ્રવેશ કરતા પકડ્યો હતો. વાલીઓએ તકેદારી રાખી તે યુવકને પોલીસને સોંપ્યો હતો. જોકે, આ ઘટના બાદ ટ્રસ્ટી કાંતિ ફળદુએ વાલીઓને પોતાની ઓફિસમાં બોલાવી તેમની સાથે અત્યંત અભદ્ર વર્તન કર્યું હતું અને ગાળાગાળી કરી હોવાનો આક્ષેપ છે. વાલીઓનું કહેવું છે કે, કાંતિભાઈએ તેમને ધમકાવતા કહ્યું હતું કે દીકરીઓને અહીં મૂકી ગયા પછી તમારી જવાબદારી પૂરી થઈ જાય છે, તમારે પોલીસ પાસે જવાની જરૂર નહોતી. તેમણે એવું પણ રટણ કર્યું હતું કે આ સંસ્થા સમાજની નથી પણ ટ્રસ્ટીઓની છે,જે વાતથી વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘આવા લોકો સંસ્થામાં ન શોભે તે ગુંડા તત્વોમાં જ શોભે’- વાલી
આંદોલનકારી વાલી ચંદ્રેશભાઇ ઝારખાણિયાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, કાંતિભાઈ ફળદુ પોતાના રૂપિયાના જોરે સંસ્થામાં બેઠા છે. કાંતિભાઈ ફળદુ સંસ્થામાં શોભે નહીં કારણકે તે ગુંડાઓની ગેંગ બનાવી રહ્યા છે અને આવા લોકો સંસ્થામાં ન શોભે તે ગુંડા તત્વોમાં જ શોભે.સંસ્થામાં હાલ જે અણધડ વહીવટ ચાલી રહ્યો છે તે ભણતી દીકરીઓ માટે જોખમી અને નુકસાનકારક છે. ટ્રસ્ટીઓની અભદ્ર ભાષા સંસ્થાની ગરિમા માટે કલંક સમાન છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, સંસ્થામાં કરોડો રૂપિયાના કોભાંડો થયા છે અને અનેક નિષ્ઠાવાન લોકોને રાજીનામું આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. જો આ ભ્રષ્ટ તત્વોને દૂર કરી નવી પેનલ બનાવવામાં આવે તો જ આ સંસ્થા બચી શકે તેમ છે. ‘અગાઉ દીકરીની પરીક્ષા હોવાથી આંદોલન સમેટી લીધુ હતું’ – વાલી
નાવડા ગામના વાલી પ્રવિણ લાડાણીએ પણ સંસ્થાની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, અગાઉ દીકરીઓની પરીક્ષા હોવાથી અમે આંદોલન સમેટી લીધું હતું પરંતુ, હવે અન્યાય સહન થાય તેમ નથી. જો આ સંસ્થામાં થયેલા ભ્રષ્ટાચારની ઊંડાણપૂર્વક તપાસ થાય તો અબજો રૂપિયાના કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે. તેમણે ‘મોલા પટેલ’ના સમયને યાદ કરતા કહ્યું કે, ત્યારે 1800થી 2000 દીકરીઓ અહીં નિર્ભય થઈને ભણતી હતી, જ્યારે આજે ટ્રસ્ટીઓની બેદરકારી અને ગેરવહીવટને કારણે આ સંખ્યા ઘટીને માત્ર 600 થઈ ગઈ છે. મોલા પટેલના શાસનમાં એક ચકલું પણ ફરકી શકતું નહોતું, જ્યારે આજે સુરક્ષાના નામે મીંડું છે. ચાર લોકોને બમણા પગાર ચૂકવીને સંસ્થાની તિજોરી ખાલી કરે છે
સમીર ભાલોડીયાએ આર્થિક ગેરરીતિઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પહેલા કે.સી. વૈષ્નાણી જેવા કેમ્પસ ડાયરેક્ટર એકલા હાથે જે કામ કરતા હતા, તેની સામે અત્યારે ચાર લોકોને બમણા પગાર ચૂકવીને સંસ્થાની તિજોરી ખાલી કરવામાં આવી રહી છે. ગરીબ અને ગામડાના વાલીઓ જે પોતાની દીકરીઓને ખાનગી શાળામાં મોકલી શકતા નથી, તેમના ભવિષ્ય સાથે આ ટ્રસ્ટીઓ રમત રમી રહ્યા છે. સંસ્થામાં માત્ર ત્રણ-ચાર ટ્રસ્ટીઓ જ બાકી, કોઈ મુખ્ય હોદ્દેદાર નથી
હાલમાં જ આ વિવાદ વકરતા સંસ્થાના પ્રમુખ સવજીભાઈ મેનપરા અને જોઈન્ટ મેનેજિંગ ટ્રસ્ટી રતિભાઈ મારડિયાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અત્યારે સંસ્થામાં માત્ર ત્રણ-ચાર ટ્રસ્ટીઓ જ બાકી રહ્યા છે અને કોઈ મુખ્ય હોદ્દેદાર નથી. વાલીઓની માંગ છે કે તાત્કાલિક ધોરણે યોગ્ય સંગઠન બનાવવામાં આવે અને કાંતિ ફળદુ જેવા તત્વોને બહાર કરી સંસ્થાના પારદર્શક વહીવટની જવાબદારી સમાજના સારા આગેવાનોને સોંપવામાં આવે, જેથી દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત રહે અને સંસ્થાનું અસ્તિત્વ ટકી રહે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!