બહુચરાજી સહિત સમગ્ર ઉત્તર ગુજરાત માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ થી કટોસણ રોડ પેસેન્જર અગાઉ ચાલું કરી દેવામાં આવી હતી એજ ટ્રેક પર કટોસણ રોડ થી રણુજ સુધી નુ ટેસ્ટીગ બાકી હોવાથી પેસેન્જર ટ્રેન વ્યવહાર ચાલુ કરવા મા નહતો આવ્યો હવે કટોસણ રોડ થી બહુચરાજી સુધી નિર્માણ પામેલી નવી બ્રોડગેજ રેલવે લાઇન પર કમિશનર ઓફ રેલવે સેફ્ટી (CRS) દ્વારા તાજેતરમાં સફળ નિરીક્ષણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ ગત રોજ આ જ રેલવે ટ્રેક પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન ટ્રેકની મજબૂતાઈ, સિગ્નલિંગ સિસ્ટમ, સલામતીના તમામ માપદંડો તેમજ ટ્રેનના સંચાલનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
નિરીક્ષણ દરમિયાન પશ્ચિમ રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) વેદ પ્રકાશ ગુપ્તા તેમજ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનો અને નાગરિકોએ પણ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવાનો લાભ લીધો હતો
બહુચરાજી દેશભરમાં પ્રસિદ્ધ શક્તિપીઠ અને યાત્રાધામ તરીકે ઓળખાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન માટે અહીં આવે છે. પેસેન્જર ટ્રેન સેવા શરૂ થતાં ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી આવતા યાત્રાળુઓને વધુ સરળ, ઝડપી અને સસ્તી મુસાફરીની સુવિધા મળશે. જેના કારણે ધાર્મિક પ્રવાસનને નવી ગતિ મળશે અને સ્થાનિક વેપાર-ધંધા, તથા નાના વેપારીઓને પણ સીધો લાભ થશે.
બહુચરાજી વિસ્તાર માત્ર યાત્રાધામ જ નહીં પરંતુ ઉત્તર ગુજરાતના મહત્વપૂર્ણ ઔદ્યોગિક કેન્દ્ર તરીકે પણ વિકસી રહ્યો છે. નજીકના હાંસલપુર-વીઠલાપુર વિસ્તારમાં આવેલી મારુતિ સુઝુકી સહિત અનેક ઓટોમોબાઇલ અને અન્ય ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે દરરોજ હજારો કર્મચારીઓ અવરજવર કરે છે. રેલવે સેવા શરૂ થતાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ઝડપી, સુરક્ષિત અને ઓછી ખર્ચાળ મુસાફરીનો વિકલ્પ મળશે. સાથે જ ઉદ્યોગોને કુશળ માનવબળની અવરજવર વધુ સરળ બનશે, જેના કારણે સમગ્ર વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે.
સ્થાનિક લોકોમાં હવે એક જ અપેક્ષા છે કે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ બહુચરાજી સુધી પેસેન્જર ટ્રેન સેવા વહેલી તકે શરૂ થાય, જેથી યાત્રાધામ અને ઔદ્યોગિક હબ તરીકે વિકસતા બહુચરાજીને રેલવે કનેક્ટિવિટીનો લાંબા સમયથી રાહ જોવાતો લાભ મળી શકે.
The Gujarat Live News રિપોર્ટર : પ્રદીપ ઠાકોર, બેચરાજી
