સરપંચો પાસેથી ટકાવારી લેવાઈ હોવાના આક્ષેપોની ચર્ચા, જવાબદારો સામે તપાસની માંગ
રાધનપુર તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયાને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક સરપંચો પાસે થી ગ્રાન્ટ મંજૂર કરાવવાના નામે ટકાવારી લેવામાં આવી હોવાના આક્ષેપો સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બન્યા છે.
ચર્ચા મુજબ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર ભરત પટેલ અને પૂર્વ ઉપપ્રમુખ અંબારામ ઠાકોરના નામ આક્ષેપોમાં સામે આવી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વિકાસ કામોની ગ્રાન્ટ અપાવવાની ખાતરીના આધારે કેટલાક સરપંચો પાસેથી અગાઉથી નાણાં લેવામાં આવ્યા હતા. જોકે, કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ અનેક ગામોને અપેક્ષિત ગ્રાન્ટ ન મળતાં સરપંચોમાં અસંતોષ જોવા મળી રહ્યો હોવાનું કહેવાય છે.
આ સમગ્ર મામલે અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી તેમજ સંબંધિત વ્યક્તિઓનો પક્ષ પણ જાહેર થયો નથી. તેમ છતાં, સમગ્ર પ્રકરણની પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, હકીકતો જાહેર કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સ્થાનિક સ્તરે ઉઠી રહી છે.
તપાસ બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત બહાર આવશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. તેથી સંબંધિત તંત્ર આ મામલે વહેલી તકે તપાસ હાથ ધરે તેવી માંગ વધુ તેજ બની રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
