ડીસા તાલુકાના કણજારા ગામમાં ડેરી સંચાલન અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ગામલોકોનું કહેવું છે કે વર્ષ 1978માં ડેરીની સ્થાપના બાદથી જ એક જ પરિવાર સતત મંત્રી અને સંચાલક પદે કાર્યરત છે. પહેલા પિતા મંત્રી રહ્યા હતા અને છેલ્લા 20 વર્ષથી તેમના દીકરા ડેરી સંચાલનમાં છે. આમ લગભગ 47 વર્ષથી ડેરી એક જ પરિવારના કબ્જામાં હોવાનો આક્ષેપ છે.
ગામલોકો અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા, નવા સભ્યોની નિમણુંક ન થાય ત્યાં સુધી ગામલોકોએ દૂધ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા 15 દિવસથી દરરોજ આશરે 2,500 થી 3,000 લિટર દૂધનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે.

ગામલોકોએ વકીલ મારફતે નોટિસ પાઠવી છતાં કોઈ જવાબ ન મળતા, વકીલ સાથે ડેરી સુધી પહોંચ્યા હતા. આ દરમિયાન ડીસા રૂરલ પોલીસે કાયદો-વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે બંને પક્ષોને સમજાવી શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો હતો.
આ સમગ્ર ઘટનામાં જણસરા ગામના મંત્રી ઠાકોર ગમનસિંહ બાબુજીએ ખુલ્લેઆમ ગામલોકોને એવો જવાબ આપ્યો કે, “40-50 વર્ષથી ડેરી અમારા કબ્જામાં છે, ડેરી મંત્રી અને સભ્યો માત્ર અમારા જ પરિવારના રહેશે, બીજાને ક્યારેય નહીં બનાવવામાં આવે. ગામના લોકો દૂધ ન ભરે તો ચાલશે, પરંતુ પેનલ અમારા જ પરિવારની રહેશે.” — આ રાજાશાહી વલણ સામે ગામલોકોમાં ભારે આક્રોશ છે.
વધુમાં, ઠાકોર રાયકમસિંહ ઓપજીજી, જે ઠાકોર સમાજના પ્રમુખ અને ગામના મોટા આગેવાન છે, તેમણે પણ ગામલોકો સાથે તોસળું વર્તન કર્યું હોવાનું ગામલોકોનો આક્ષેપ છે. સાથે ઠાકોર કરણસિંહ ઓપજીજી અને ઠાકોર દિનેશજી જીવણજીએ પણ ગામલોકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાની ચર્ચા છે.
પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં રજીસ્ટ્રેશન ઓફિસમાં રજુઆત બાદ નવા સભાસદોની નિમણુંક કરવામાં આવશે. ત્યાં સુધી બંને પક્ષ શાંતિ જાળવે તેવા પ્રયાસો ચાલુ છે.
The Gujarat Live News અહેવાલ આરકેશ ઠાકોર ભાટસણ
