ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં દુર્ગાષ્ટમીની પવિત્ર રાત્રિએ ભક્તોને અષ્ટભુજાવાળી મા દુર્ગાનો અલૌકિક સાક્ષાત્કાર થયો હતો. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પરમ કૃપાળુ મા ભગવતીના પ્રેમપૂર્વક પ્રણામ સાથે મહાઆરતી ઉતારી, આધિ-વ્યાધિ-ઉપાધિનો વિનાશ કરનારી માના આશીર્વાદ મેળવ્યા હતા. વિશેષ ફોર્મેશનમાં મહાઆરતીનો અવર્ણનીય અનુભવ
‘આપણા નગરનો ભાવ’ સાથે નવરાત્રિની ઉજવણી કરી રહેલા ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશેષ ફોર્મેશનમાં ઊભા રહીને લોકોએ માની મહાઆરતી ઉતારી હતી. આ અલૌકિક દ્રશ્ય અને ભક્તિમય વાતાવરણે ઉપસ્થિત સૌ કોઈને અવર્ણનીય અનુભૂતિ કરાવી હતી. માન્યતા છે કે મા ભગવતી પોતાના ભક્તોની અરજ અને આજીજીનો સ્વીકાર કરીને પોતાની અષ્ટભુજાઓ વડે તેમની પરિપૂર્તિ કરે છે. ભક્તોની અતૂટ શ્રદ્ધા જ્યારે માની અખૂટ શક્તિ સાથે જોડાય છે, ત્યારે અસંભવ પણ સંભવ બની જાય છે. શૌર્ય અને કરૂણાનું પ્રતિક મા દુર્ગા
બ્રહ્માંડની આદ્યશક્તિ, જે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહાર કરનારી સર્વોચ્ચ શક્તિ છે, તે દુર્ગમ સંકટો અને દુઃખોનો નાશ કરનારી મા દુર્ગા છે. તેમના અંતરમાં અપાર કરૂણા છે અને તેમનો વરદ હસ્ત હંમેશા સૌની રક્ષા અને કલ્યાણ માટે ઉદ્ભૂત છે. દુર્ગતિ નાશીની મા દુર્ગા શૌર્ય અને નિર્ભયતાનું પ્રતિક છે, જેની પ્રતિતિ કલ્ચરલ ફોરમના ગરબામાં ઉપસ્થિત સૌ ભક્તોને થઈ હતી. કેવી રીતે મહાઆરતી થાય છે?
ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં અલૌકિક મહાઆરતી યોજાઈ હતી. જોકે આ દર વર્ષે મહા આરતીમાં હજારો દીવડાથી કેવી રીતે અલગ અલગ પ્રતિકૃતિ નિર્માણ કરાય છે પણ જાણવું ખૂબ મહત્વનુ છે. આ અંગે ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ ક્રિષ્નકાંત જહાએ જણાવ્યું કે, આઠમની મહાઆરતી માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. સૌથી પહેલા દર વર્ષે મહા આરતીની કઈ થીમ રાખવી એના માટે ડિઝાઇન ટીમ (આર્કિટેક) કામ કરતી હોય છે. ટીમના ચાર સભ્યો દ્વારા જુદી જુદી થીમની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. જુદી જુદી ડિઝાઈન કોર ગ્રુપને મોકલાય છે
બાદમાં આ જુદી જુદી ડિઝાઈન કોર ગ્રુપની પાસે મોકલી દેવામાં આવે છે. આ ટીમના સાત સભ્યો દ્વારા પોતાના મંતવ્યો સાથે જે તે કૃતિની ડિઝાઇનના ઓપ્શન નક્કી કરવામાં આવે છે. જે પછી ડિઝાઇન ગ્રુપના અધ્યક્ષ (ક્રિષ્નકાંત જહા) પાસે મોકલી આપવામાં આવે છે. જેઓ મહા આરતીની ડિઝાઇનથી માંડીને દરેક પાસાઓ ઉપર એનાલીસિસ કરે છે. 1થી 45 નંબર મુજબ બ્લોક્સ ઓન પેપર ડિઝાઇન પ્રમાણે બનાવાય છે
ત્યારબાદ ડિઝાઇન કોર ગ્રુપના સભ્યોને પાછી મોકલી આપીને વોટિંગ કરવાનું કહેવાય છે. જે ડિઝાઇનને વોટિંગ(1,2,3.. એ રીત ) મુજબ સૌથી વધુ મત મળે એ ડિઝાઇન ઉપર મંજૂરીની મહોર લાગી જતી હોય છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ડિઝાઈન સમિતિ જોડે મોકલી આપવામાં આવે છે. વધુમાં ફોરમના અધ્યક્ષે ઉમેર્યું કે, 122 સભ્યોની ટીમ ઉપરાંત જય અંબે પરિવારના 400 જેટલા સભ્યો મહા આરતીના દીવસે બપોરના સમયે ભેગા થાય છે અને આર્કિટેક એટલે કે ડિઝાઈન ટીમ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં સફેદ પેઇન્ટથી સાઇઝ પ્રમાણે જુદા જુદા સેક્શન તૈયાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે માતાજીની મુખાકૃતિની થીમ હોય તો આભૂષણથી માંડીને શણગાર સુધીના સેક્શન (બ્લોક્સ)તૈયાર કરવામાં આવે છે. 1થી 45 નંબર મુજબ બ્લોક્સ ઓન પેપર ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવે છે. જેના માપ મુજબ જ ગ્રીડ નક્કી કરવામા આવે છે. તૈયારી પૂર્ણ થાય એટલે ડ્રોન કેમેરાથી એરિયલ વ્યુ જોવાય છે
આ તૈયારી પૂર્ણ થાય એટલે ડ્રોન કેમેરાથી એરિયલ વ્યુ જોવામાં આવે છે. જેના થકી ખૂટતી કડીઓ જોડી દેવામાં આવે છે. કઈ જગ્યાએ મીણબત્તી, દીવો પ્રજવલિત કરવો એ બાબતો પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. ખાસ કરીને માતાજીના આભૂષણોની પ્રતિકૃતિ માટે જુદા જુદા રંગના LED બલ્બ સાથે સભ્યોને ઊભા રાખવામાં આવતા હોય છે. ત્રણ-ચાર કલાકમાં આ બધી તૈયારીઓને ગ્રાઉન્ડ ઉપર આખરી ઓપ આપી દેવાય છે. બાદમાં રાત્રે મહાઆરતીના સમયે ટીમના સભ્યો અને ખેલૈયાઓ પણ સેક્શન વાઇસ ઉભેલા સભ્યો દીવડા પ્રગટાવીને પોતાના સ્થાને ઊભા રહી જાય અને પાંચેક મિનિટમાં સ્ટેજ ઉપરથી એક કોડવર્ડ બોલવામાં આવે છે. અને તુરંત આખા ગ્રાઉંડની લાઈટો બંધ કરી દેવાય છે. આમ આખી મહા આરતીને ડ્રોન કેમેરાથી કેપ્ચર કરવામાં આવે છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!